સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય મહિલા ટી-20 ટીમ જાહેર:હરમનપ્રીત કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન; 17 એપ્રિલથી 5 મેચની સિરીઝ શરૂ થશે

Last Updated: March 24, 2026By

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની મહિલા પસંદગી સમિતિએ સાઉથ આફ્રિકા સામે રમાનારી આગામી ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ માટે 15 સભ્યોની ટીમની કમાન અનુભવી ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી છે, જ્યારે સ્મૃતિ મંધાના ટીમની ઉપકપ્તાન હશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની આ ટી-20 શ્રેણી 17 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. શેફાલી અને જેમિમા જેવા અનુભવી ખેલાડીઓ પર ભરોસો પસંદગીકારોએ ટીમમાં અનુભવ અને યુવા જોશનો તાલમેલ બેસાડવાનો પ્રયાસ કર્યો છે. ટીમના બેટિંગ ક્રમમાં શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ અને રિચા ઘોષ જેવા વિસ્ફોટક બેટર શામેલ છે. ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા પણ ટીમનો મહત્વનો ભાગ છે, જે બોલ અને બેટ બંનેથી મેચ પલટાવવાની ક્ષમતા ધરાવે છે. રિચા ઘોષ અને ઉમા છેત્રીને વિકેટકીપરના વિકલ્પ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. બોલિંગમાં રેણુકા અને અરુંધતિ કમાન સંભાળશે ફાસ્ટ બોલિંગ વિભાગની જવાબદારી રેણુકા સિંહ ઠાકુર અને અરુંધતિ રેડ્ડી પર રહેશે. સ્પિન વિભાગમાં શ્રેયંકા પાટીલ અને કાશ્વી ગૌતમ જેવા ઉભરતા ચહેરાઓને શામેલ કરવામાં આવ્યા છે. ટીમમાં અન્ય મુખ્ય નામોમાં ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, ભારતી ફુલમાલી અને અનુષ્કા શર્મા શામેલ છે. પસંદગી સમિતિએ આ ખેલાડીઓને ઘરેલું ક્રિકેટ અને પાછલા પ્રવાસો પર કરેલા સારા પ્રદર્શનના આધારે પસંદ કર્યા છે. ડરબન અને જોહાનિસબર્ગમાં મુકાબલા થશે ભારતીય ટીમ આ પ્રવાસ પર કુલ 5 ટી-20 મેચ રમશે. શ્રેણીનો પ્રારંભ 17 એપ્રિલે ડરબનમાં થશે. પ્રથમ બે મેચ આ જ શહેરમાં રમાશે. ત્યારબાદ ત્રીજી અને ચોથી ટી-20 જોહાનિસબર્ગના મેદાન પર રમાશે. શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 27 એપ્રિલે બેનોનીમાં રમાશે. દક્ષિણ આફ્રિકાની ઉછાળભરી પિચો પર ભારતીય બેટ્સમેનોની કસોટી થવાની અપેક્ષા છે. મેચનો સમય: ભારતીય સમય અનુસાર સાંજે 5.30 વાગ્યે શરૂ થશે ભારતીય દર્શકો માટે સારા સમાચાર એ છે કે શ્રેણીની મેચો સાંજના સમયે યોજાશે. શેડ્યૂલ મુજબ, મેચો ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે અને રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે. BCCI ને આશા છે કે વર્લ્ડ કપની તૈયારીઓના સંદર્ભમાં આ પ્રવાસ ટીમ ઇન્ડિયા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.