પાકિસ્તાનમાં 12-12 કલાક અંધારપટ:લોકો રસ્તા પર ઉતર્યા, રસ્તો જામ કર્યો; સતત વીજ કાપને કારણે પાણી સપ્લાય ખોરવાયો
પાકિસ્તાનમાં વીજળી સંકટ વધી રહ્યું છે, કરાચી સહિત ઘણા શહેરોમાં 12-12 કલાક વીજળી કાપ થઈ રહ્યો છે. કરાચીમાં વીજળી કાપ સામે શનિવારે લોકોએ પ્રદર્શન કર્યું, ઘણા કલાકો સુધી રસ્તાઓ જામ રાખ્યા. આ પ્રદર્શનથી શહેરમાં ટ્રાફિક ઠપ્પ થઈ ગયો અને હજારો લોકો જામમાં ફસાઈ ગયા. ડોન મુજબ, લોકોએ જણાવ્યું કે તેમને રોજ 12 કલાક કે તેથી વધુ વીજળી કાપનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનું કહેવું છે કે ઘણીવાર કાપની જાણકારી પણ આપવામાં આવતી નથી. વીજળી ન હોવાને કારણે પમ્પિંગ સ્ટેશનો બંધ રહે છે. આનાથી પાણીનો પુરવઠો પણ અટકી રહ્યો છે. કરાચીમાં વેપારીઓ પણ પ્રદર્શનમાં ઉતર્યા આ સમસ્યાને લઈને કરાચીના વેપારીઓ અને વીજ કંપની કે-ઈલેક્ટ્રિક (KE)ના કર્મચારીઓ વચ્ચે વિવાદ થયો. પ્રદર્શનમાં સામેલ વેપારીઓએ કહ્યું- વીજળીના અનિયમિત પુરવઠાથી ધંધાને ઘણું નુકસાન થઈ રહ્યું છે. પ્રદર્શન અને જામની પણ લોકો પર ખરાબ અસર પડી રહી છે. એક મહિલાએ જણાવ્યું કે તેમની માતાને તાવ હતો, તેઓ માતાને તપાસ માટે ક્લિનિક લઈ જઈ રહ્યા હતા, પરંતુ તેમની એમ્બ્યુલન્સ લગભગ 2 કલાક સુધી જામમાં ફસાયેલી રહી. ગરીબાબાદના રહેવાસી ઇમરાને કહ્યું- સમયસર વીજળીનું બિલ ભરીએ છીએ છતાં 12 કલાક વીજળી કપાય છે. આજે તો અમે ઘર સુધી પહોંચી શક્યા નહીં. જુલુસ અને આ પ્રદર્શનોને કારણે આખું શહેર જામ છે. ઇસ્લામાબાદ-રાવલપિંડીમાં ભારે વરસાદથી વીજળી ગુલ પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં પણ શનિવારે રાત્રે ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ વીજ સપ્લાયને અસર થઈ. ઘણા રસ્તાઓ અને અંડરપાસ પાણીમાં ડૂબી ગયા. રાવલપિંડીમાં નુલ્લાહ લાઈનું જળસ્તર 19 ફૂટ સુધી વધી ગયું. રસ્તાઓ પર એટલું પાણી ભરાઈ ગયું કે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ તળાવ જેવા દેખાયા. કરાચીમાં વીજળી કેમ કપાઈ રહી છે? 1. કરાચીમાં વીજળીનો પુરવઠો મુખ્યત્વે કે-ઇલેક્ટ્રિકની જવાબદારી છે. કંપનીને વીજળીની અછતની સાથે તેના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં ખામીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કોઈ વિસ્તારમાં લાઇન કે ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાય તો નિર્ધારિત લોડશેડિંગ ઉપરાંત પણ વીજળી બંધ થઈ શકે છે. 2. પાકિસ્તાનના ઘણા વીજળી પ્લાન્ટ ગેસ અને રીગેસિફાઇડ લિક્વિફાઇડ નેચરલ ગેસ (RLNG)થી ચાલે છે. આ દિવસોમાં ઇંધણના પુરવઠામાં મુશ્કેલીઓની અસર વીજળી ઉત્પાદન પર પડી છે. 3. પાકિસ્તાનમાં વીજળી કંપનીઓ પૂરતી વીજળી આપી શકતી નથી, તેથી માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત લોડશેડિંગ દ્વારા સંભાળવામાં આવે છે. 4. કરાચીમાં ઉનાળા દરમિયાન વીજળીનો વપરાશ ઝડપથી વધી જાય છે. મોટી સંખ્યામાં લોકો AC, પંખા અને અન્ય કૂલિંગ સાધનો ચલાવે છે. આનાથી ખાસ કરીને પીક ટાઇમમાં ગ્રીડ પર ઘણું દબાણ આવે છે. જ્યારે સિસ્ટમ વધુ લોડ સંભાળી શકતી નથી, ત્યારે કેટલાક વિસ્તારોમાં વીજળી કાપવી પડે છે. 5. કરાચીના કેટલાક વિસ્તારોમાં વીજળી ચોરી અને બિલની ઓછી વસૂલાત જેવા કારણોસર પહેલેથી જ વધુ લોડશેડિંગ કરવામાં આવે છે. આવા વિસ્તારોમાં જો સામાન્ય કાપ દરમિયાન કોઈ ટેક્નીકલી ખામી પણ આવી જાય, તો વીજળી ઘણા કલાકો સુધી બંધ રહી શકે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

