'મારણ'એ રિલીઝ પહેલાં જ નેશનલ એવોર્ડ જીત્યો!:'ચોકલેટી બોય' યશનો સૌથી ડાર્ક રોલ, માનવ તસ્કરી કરતો 'બાબુ' 'લાલો'માં ભગવાન બન્યો

Last Updated: July 30, 2026By

“બ્યૂટી અને બીસ્ટ ભેગા થાય ખાલી વાર્તાઓમાં… રિયલ દુનિયામાં બીસ્ટ માટે બ્યૂટી હંમેશાં આઉટ ઓફ લીગ… આઉટ ઓફ રિચ.” ભારે અવાજમાં યશ સોની બોલેલો આ શબ્દો માત્ર એક ડાયલોગ નથી, પરંતુ ‘મારણ’ની આખી દુનિયાનો પરિચય કરાવે છે. જેને તાજેતરમાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ‘બેસ્ટ ગુજરાતી ફિલ્મ’નો ખિતાબ જીત્યો છે, હવે આખરે ચાર વર્ષ બાદ 31 જુલાઇએ થિયેટરોમાં ગુંજવા જઈ રહી છે. ફિલ્મની સફર, નેશનલ એવોર્ડ જીતવાની પળ, પાત્રોની તૈયારી અને પડદા પાછળની અનેક વાતો યશ સોની, દીક્ષા જોષી અને શ્રૃહદ ગૌસ્વામીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં શેર કરી. ‘સારી સ્ક્રિપ્ટ મળવી એ મારા માટે સૌથી મોટું નસીબ’ ગુજરાતી સિનેમાના ‘ચોકલેટી બોય’ તરીકે ઓળખાતા યશ સોની વિશે ઘણીવાર કહેવાય છે કે તે જે ફિલ્મમાં હોય તે હીટ જ હોય છે. આ વિશે પૂછતાં તેણે હસતાં કહ્યું, “એક તો જીવનમાં ગમતું કામ કરી રહ્યો છું, અને એ ગમતા કામમાં પણ સરસ સ્ક્રિપ્ટ ઓફર થઈ રહી છે. એટલે હું મારી જાતને નસીબદાર માનું છું.” ફિલ્મોની પસંદગી અંગે યશ કહે છે, “વાર્તા સાંભળીને જ અંદરથી એવું લાગે કે આમાં કંઈક ખાસ કરવાની તક છે તો એવી ફિલ્મો તરફ મારો ઝુકાવ વધારે રહે છે. સાથે જ હું હંમેશાં મારા અગાઉના કામ કરતાં અલગ જોનર અજમાવવાનો પ્રયાસ કરું છું. ‘મારણ’ પસંદ કરવાનું કારણ એ હતું કે આ ફિલ્મમાં જે ઘટનાઓ છે, તે આપણી આસપાસ જ બનતી હોય છે. લોકો તેની સાથે સહેલાઈથી કનેક્ટ થઈ શકે છે અને એ જ વાત મને સ્પર્શી ગઈ.” ‘રતન’ બનવા માટે વજન વધાર્યું, ડોક્યુમેન્ટરી જોઈ અને મહિનાઓ સુધી રિસર્ચ કર્યું ફિલ્મમાં યશ ‘રતન’ના પાત્રમાં જોવા મળશે, જે અત્યંત હિંસક અને ક્રૂર માણસ છે. આ પાત્ર માટે કરેલી તૈયારી વિશે તેઓ કહે છે, “મારે બે પ્રકારની તૈયારી કરવી પડી હતી. પ્રથમ, આ દુનિયાને સમજવાની. તેના માટે ડોક્યુમેન્ટરી જોઈ, આર્ટિકલ્સ વાંચ્યા અને જ્યાંથી શક્ય હોય ત્યાંથી માહિતી એકત્ર કરી. ડિરેક્ટર અભિષેક જૈન અને ફિલ્મના લેખક દિવ્યાબેન પાસે ખૂબ જ સચોટ રિસર્ચ હતું, જેના કારણે અમારું કામ સરળ બન્યું.” તે આગળ ઉમેરે છે, “બીજી તૈયારી ફિઝિકલ અને મેન્ટલ ટ્રાન્સફોર્મેશનની હતી. અમારા એક્ટિંગ કોચ પ્રતિક રાઠોડ સાથે અનેક વર્કશોપ કર્યા. શૂટિંગ દરમિયાન થોડું ઇમ્પ્રોવાઇઝેશન પણ કર્યું, જે અભિષેક જૈનને ખૂબ ગમ્યું. આ પાત્ર માટે મારે વજન વધારવું પડ્યું, કારણ કે ‘રતન’ને બને તેટલો ખતરનાક અને ગંદો દેખાડવાનો હતો. આ સમગ્ર પ્રક્રિયા બાદ ‘રતન’નો જન્મ થયો.” ‘પાત્રની માનસિક દુનિયામાં જવું મારા માટે સૌથી મોટો પડકાર હતો’ પાત્રની માનસિક સ્થિતિ વિશે વાત કરતાં યશ કહે છે, “હું સામાન્ય રીતે કોઈ પણ પાત્રને મારા પર હાવી થવા દેતો નથી. પરંતુ ‘રતન’ એવો માણસ છે, જે ખૂબ જ નકારાત્મક દિશામાં વિચારે છે. હું વ્યક્તિગત રીતે ક્યારેય એ માનસિક સ્થિતિમાં જવા માગતો નથી. છતાં ફિલ્મ માટે ત્યાં સુધી પહોંચવા જેટલી તૈયારી, વર્કશોપ અને રિસર્ચ કરવી પડી, એ મારી માટે સૌથી મોટો પડકાર હતો.” નેશનલ એવોર્ડની જાહેરાત બાદ સ્પેશિયલ મોમેન્ટ? નેશનલ એવોર્ડની જાહેરાત પછીની સૌથી યાદગાર પળ વિશે યશ કહે છે, “ઘણા લોકોના અભિનંદન મળ્યા અને તે બદલ હું સૌનો આભારી છું. પરંતુ મારા માટે સૌથી ખાસ ક્ષણ એ હતી, જ્યારે મેં અભિષેક જૈન સાથે ફોન પર વાત કરી. તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને એ ક્ષણે ખરેખર દિલ ગદગદ થઈ ગયું હતું.” ‘સ્ક્રિપ્ટ અને ડિરેક્ટરનો ઇરાદો સાચો હોય તો હું તરત હા પાડી દઉં’ લીડ એક્ટ્રેસ દીક્ષા જોષી હંમેશાં કન્ટેન્ટ-ડ્રિવન ફિલ્મો અને મજબૂત મહિલા પાત્રો માટે જાણીતી રહી છે. સ્ક્રિપ્ટ પસંદ કરવાની પોતાની રીત વિશે તેઓ કહે છે, “મારી પહેલી પસંદ હંમેશાં વાર્તા હોય છે, ત્યારબાદ પાત્ર. બાકીની બાબતોમાં હું ટીમ, કાસ્ટ અને ટેકનિકલ પાસાં પર ધ્યાન આપું છું.” ‘બે યાર’ જોયા પછી નક્કી કર્યું હતું અભિષેક જૈન સાથે કામ કરવું જ છે’ ‘મારણ’ પસંદ કરવાનું કારણ જણાવતાં દીક્ષા કહે છે, “2015-16માં મેં ‘બે યાર’ જોઈ હતી. ત્યારથી મનમાં એક ઈચ્છા હતી કે જો હું ગુજરાતી ફિલ્મોમાં કામ કરીશ, તો અભિષેક જૈન સાથે જરૂર કરીશ. કોરોના પછી તેમનો ફોન આવ્યો, તેમણે પાત્ર અને ફિલ્મનો પ્લાન સમજાવ્યો. મારી તો પહેલેથી જ તેમની સાથે કામ કરવાની ઈચ્છા હતી અને સાથે આટલી સારી વાર્તા મળી, એટલે સોનામાં સુગંધ ભળ્યા જેવું લાગ્યું.” ‘તું ઠીક છે?… અને હું રડી પડી’ ફિલ્મમાં દીક્ષા એવી યુવતીનું પાત્ર ભજવી રહ્યા છે, જે અત્યાચારનો ભોગ બને છે. આ પ્રકારના ભાવનાત્મક પાત્રમાંથી બહાર આવવું કેટલું મુશ્કેલ રહ્યું, તેના જવાબમાં તેઓ કહે છે, “આવી ફિલ્મોમાં ટીમનો સાથ ખૂબ મહત્વનો હોય છે. મારા કો-એક્ટર અને ડિરેક્ટર દરેક પગલે મારી સાથે ઊભા રહ્યા, જેથી સેટનું વાતાવરણ સામાન્ય રહે. હું અને યશ માત્ર સ્ક્રિપ્ટની માંગ પ્રમાણે કામ કરી રહ્યા હતા. પરંતુ એક દિવસ શૂટિંગ પૂરું થયા પછી અભિષેક સર મને સાઇડમાં લઈ ગયા અને માત્ર એટલું પૂછ્યું, ‘તું ઠીક છે?’ બસ, એ સાંભળીને હું સીધી રડી પડી. તેમણે મને ગળે લગાવી લીધી. કદાચ આ જ કારણ છે કે આ પાત્ર મારા પર હાવી થઈ શક્યું નહીં.” ‘મારણ’ના બાબુથી ‘લાલો’ના ભગવાન સુધી શ્રૃહદની સફર ‘લાલો’માં ભગવાન શ્રીકૃષ્ણના પાત્ર માટે પ્રશંસા મેળવનારા શ્રૃહદ ગૌસ્વામી ‘મારણ’માં ‘બાબુ’ના પાત્રમાં જોવા મળશે. ટ્રાન્ઝિશન વિશે તે કહે છે, “વાસ્તવમાં ‘મારણ’નું શૂટિંગ 2022માં થયું હતું અને ‘લાલો’ 2024માં. એટલે મને ટ્રાન્ઝિશન માટે પૂરતો સમય મળી ગયો હતો. એક્ટર તરીકે આપણું કામ જ એ છે કે એક પાત્રમાંથી બહાર આવીને બીજા પાત્રમાં ઢળી જઈએ. એટલે મારા માટે આ સફર થોડી સરળ રહી.” ‘બાબુ ખરાબ નથી, માત્ર અણસમજ છે’ પોતાના પાત્ર વિશે શ્રૃહદ કહે છે, “‘બાબુ’ અણસમજ છે. તેને ખબર નથી કે શું સાચું અને શું ખોટું. તે માત્ર જે જુએ છે અને જે કહેવામાં આવે છે, તે જ કરે છે. તેની પોતાની કોઈ વિચારધારા કે સિદ્ધાંત નથી. કદાચ એ જ તેની સૌથી મોટી ખાસિયત પણ છે.” ‘આ ફિલ્મે મારા વિચારોની ઘણી બારીઓ ખોલી દીધી’ એક કલાકાર તરીકે ‘મારણ’એ શું શીખવ્યું, તેના જવાબમાં શ્રૃહદ કહે છે, “મારા માટે આ પહેલો મોટો પ્રોજેક્ટ હતો. અહીં મેં એક સારો કો-એક્ટર કેવી રીતે બનવું તે શીખ્યું. સાથે જ યશ અને દીક્ષા જેવા કલાકારો સાથે કામ કરવાની તક મળી, જેમને હું અત્યાર સુધી માત્ર પડદા પર જોતો હતો. સૌથી મોટી વાત એ કે, સમાચાર કે પુસ્તકોમાં વાંચેલા વિષયને અભિષેક સરના દૃષ્ટિકોણથી જોવાની તક મળી. આ ફિલ્મે મારા વિચારોની ઘણી બારીઓ ખોલી દીધી.” રેપિડ ફાયર વિથ ‘મારણ’ સ્ટારકાસ્ટ 1. ‘મારણ’ માટે એક શબ્દ? 2. સેટ પર સૌથી વધુ બિન્દાસ કોણ હતું? ‘મારણ’ ટીમ: તર્જની ભાડલા. 3. નેશનલ એવોર્ડની ખબર સૌથી પહેલા કોને પડી? ‘મારણ’ ટીમ: અભિષેક જૈન અને શ્રૃહદ. 4. ગુજરાતી સિનેમાની સૌથી મોટી USP શું છે? ‘મારણ’ ટીમ: “રૂટેડ સ્ટોરીઝ… એટલે કે મૂળ સાથે જોડાયેલી વાર્તાઓ.”

Leave A Comment