'સરકાર નિર્લજ્જતામાં નગ્ન છે':સ્વરા ભાસ્કરે બળાપો ઠાલવ્યો, સોનમ વાંગચુકના સમર્થનથી દૂર રહેલા સેલેબ્સ પર કહ્યું- 'મારી સાથે જે થયું, તેનો તેમને ડર છે'
એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે તાજેતરમાં જ જંતર-મંતર પહોંચીને કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શન અને સોનમ વાંગચુકના ઉપવાસને સમર્થન આપ્યું છે. આ દરમિયાન એક્ટ્રેેસે વર્તમાન સરકાર પર જોરદાર ગુસ્સો ઠાલવ્યો. તેણે એમ પણ કહ્યું કે, ‘ઘણા સેલેબ્સ આ ડરથી આ મામલે મૌન સેવી રહ્યા છે, કારણ કે તેમને ડર છે કે તેમની સાથે પણ એવું જ થશે, જે સ્વરા સાથે થયું.’ જંતર-મંતરમાં ‘લલ્લનટોપ’ સાથે વાતચીત કરતા સ્વરાએ સેલેબ્સના ન પહોંચવા પર કહ્યું, ‘તેઓ મારી હાલત જોઈને નથી આવી રહ્યા. તેમને ખબર છે કે વધુ બોલવાથી સ્વરા ભાસ્કર સાથે જે થયું, તે આપણા બધા સાથે થશે. 2010-2011ની વાત અલગ હતી. જે સરકાર કેન્દ્રમાં હતી, તે અલગ સરકાર હતી. હા, તેમણે પણ ભ્રષ્ટાચાર કર્યો હશે. ખોટી વસ્તુઓ કરી હશે, પરંતુ આ સરકાર કઈ હદ સુધી જાય છે. તેમણે આટલા વર્ષો સુધી કોઈ કારણ વગર આટલા લોકોને, કાર્યકર્તાઓને, વિદ્યાર્થીઓને જેલમાં સડાવ્યા ન હતા. જામીન વગર, કેસ વગર.’ સ્વરાએ આગળ કહ્યું, ‘આવી સરકાર છે કે 84 વર્ષના ફાધર સ્ટેન સ્વામી જેલમાં મૃત્યુ પામ્યા. કોણ જવાબદાર હશે? તે સમય અલગ હતો, જેવો પણ ભ્રષ્ટાચાર હતો, નાગરિકોને એટલો હક હતો કે તેઓ પોતાની માંગણીઓ મૂકી શકે, આવી ગેરવાજબી સજા વિના. આ સરકાર હું કહું છું કે નિર્લજ્જ છે, પોતાના અહંકારમાં નગ્ન છે, પોતાની બેશરમીમાં નગ્ન છે.’ સેલિબ્રિટીઝની ચૂપકીદી પર સ્વરાએ કહ્યું છે કે, ‘હું કોઈ બોલિવૂડની ક્લાસ મોનિટર તો નથી. પરંતુ હું એક વાત કહેવા માંગીશ. સેલિબ્રિટીઝ પર આટલો ભરોસો ન કરો. સેલિબ્રિટી જરૂરી નથી. કારણ પોતે જ જરૂરી છે. આ જે બધા લોકો મહેનત કરી રહ્યા છે, તેઓ પોતે જ જરૂરી છે. તેમને સેલિબ્રિટીની જરૂર નથી. હું અહીં સેલિબ્રિટી તરીકે નથી આવી. હું અહીં એક નાગરિક અને માતા તરીકે આવી છું, કારણ કે મને લાગે છે કે આ જે વિરોધ પ્રદર્શન છે, તે મારી દીકરી માટે પણ જરૂરી છે. હું મજબૂરીમાં ગોલ્ડન વિઝા લઈને દુબઈ શિફ્ટ થવા નથી માંગતી. મારી દીકરી આ દેશમાં ઉછરે અને મોટી થાય અને તેને તે તક મળે, જે મને મળી.’ આ સેલેબ્સ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ ચૂક્યા છે સ્વરા ભાસ્કર ઉપરાંત, લોકપ્રિય અભિનેતા પ્રકાશ રાજ અને રોડીઝ હોસ્ટ રઘુ પણ કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઘણા સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા વિરોધને સમર્થન આપી રહ્યા છે. સોનાક્ષી સિન્હા, ઝીનત અમાન, ઓમી વૈદ્ય, સોની રાઝદાન, સમય રૈના સહિત ઘણા સેલેબ્સે વિરોધ પર પોસ્ટ શેર કરી છે. આમિર ખાને કહ્યું- તેમના માટે ચિંતિત છું લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ લગાનના સ્ક્રીનિંગ દરમિયાન આમિર ખાને સોનમ વાંગચુકના ઉપવાસ પર વાત કરતા ચિંતા વ્યક્ત કરી છે. કિરણ રાવે કોકરોચ જનતા પાર્ટીનું સમર્થન કર્યું આમિર ખાન પહેલાં તેની પૂર્વ પત્ની કિરણ રાવે સોનમ વાંગચુકને સપોર્ટ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે, ‘હું સોનમ વાંગચુક, અભિજીત દિપકે, CJP અને આ દેશના તે તમામ નાગરિકો, યુવા અને વૃદ્ધ, સાથે એકતાથી ઊભી છું, જેઓ આપણા વિદ્યાર્થીઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. સોનમજી, નેહા, મનીષ, અમીન અને તે તમામ લોકોને મારા સલામ, જેમણે ન્યાય સુનિશ્ચિત કરવા માટે ભૂખ હડતાળ શરૂ કરી છે. આપણે આ વાતના આભારી હોવા જોઈએ કે તમે અમને અમારી ઉદાસીનતામાંથી જગાડ્યા અને યાદ અપાવ્યું કે દરેક અવાજ મહત્વનો છે.’ ‘3 ઇડિયટ્સ’માં ચતુર બનેલા ઓમી વૈદ્યે કહ્યું- ‘નથી ઈચ્છતો કે તેઓ મરે’ સોનમ વાંગચુકની ભૂખ હડતાળના 16મા દિવસે ‘3 ઇડિયટ્સ’માં ચતુર રામલિંગમનું પાત્ર ભજવી ચૂકેલા ઓમી વૈદ્યે એક વીડિયો જાહેર કરીને કહ્યું, ‘હું અવારનવાર આવા વીડિયો બનાવતો નથી, તેથી મારી વાત ધ્યાનથી સાંભળો. શું તમને ખબર છે કે 3 ઇડિયટ્સમાં આમિર ખાનનું પાત્ર ફુનસુખ વાંગડુ વાસ્તવિક જીવનના લદ્દાખના એન્જિનિયર, ઇનોવેટર, શિક્ષક અને સમાજ સુધારક સોનમ વાંગચુકથી પ્રેરિત હતું? હું તેમને મળી ચૂક્યો છું. તેઓ ખૂબ જ રસપ્રદ અને સાદગી પસંદ વ્યક્તિ છે. તેમણે પોતાના જીવનમાં ઘણા ઉત્તમ કાર્યો કર્યા છે. તેથી હું તમને કહીશ કે તેમના વિશે જાણો અને જુઓ કે આ સમયે તેઓ શું કરી રહ્યા છે. હાલમાં સોનમ વાંગચુક લાંબા સમયથી ભૂખ હડતાળ પર છે. ઘણા અઠવાડિયા વીતી ચૂક્યા છે અને તેમનું બ્લડ શુગર ઘણું ઓછું થઈ ગયું છે.’ ‘આ ખૂબ ગંભીર મામલો છે. તેઓ ભૂખ હડતાળ કેમ કરી રહ્યા છે? કારણ કે તેમને ભારતની શિક્ષણ વ્યવસ્થા, લદ્દાખ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ અને પર્યાવરણની ચિંતા છે. તમે તેમની વાત સાથે સહમત હો કે ન હો, પણ હું એટલું જરૂર કહેવા માંગુ છું કે હું નથી ઈચ્છતો કે આ વ્યક્તિ મરી જાય. મારા માટે તેઓ એક પ્રેરણાદાયક વ્યક્તિ છે અને હું ઈચ્છું છું કે તેઓ સુરક્ષિત રહે અને જીવતા રહે.’ સોનાક્ષી બોલી- હવે ચૂપ રહેવું શક્ય નથી એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા કહ્યું કે, ‘દેશના યુવાનો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ આ મુદ્દે સંવાદ શરૂ થઈ રહ્યો નથી. હું પણ દેશનું યુથ છું અને દેશનું ભલું ઈચ્છું છું, તેથી મેં પોતાની વાત સાર્વજનિક રૂપે રાખવાનો નિર્ણય કર્યો.’ તેણે એમ પણ કહ્યું, ‘હું ફક્ત એટલું પૂછવા માંગુ છું કે આ ક્યારે પૂરું થશે? જ્યારે આ લોકો મરી જશે, ત્યારે શું તમે જાગશો? અને તેની જવાબદારી કોની હશે? જે થઈ રહ્યું છે, તે યોગ્ય નથી. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું.’ શત્રુઘ્ન સિન્હાએ નરેન્દ્ર મોદીને અપીલ કરી સોનાક્ષીનો વીડિયો સામે આવ્યા બાદ શત્રુઘ્ન સિન્હાએ તેની ખુલીને બોલવાની પ્રશંસા કરી અને પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે વાત કરવાની અપીલ કરી છે. તેમણે લખ્યું છે કે, ‘છેલ્લા કેટલાક દિવસોમાં દેશ અને વિદેશના અનેક રાજકીય નેતાઓ, રાજકીય પક્ષો, જાણીતી હસ્તીઓ, કલાકારો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને સામાજિક કાર્યકરોએ તેમના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. સોનમ વાંગચુકની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિને જોતા સરકાર, સંબંધિત અધિકારીઓ, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કાર્યાલય (PMO) ને અપીલ છે કે તેઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરે, તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી કરે અને જલદીથી જલદી આ આંદોલનનો ઉકેલ લાવે. વાંગચુકને બચાવો!’ આગળ સોનાક્ષીના વખાણમાં તેમણે લખ્યું, ‘મારા પરિવારનું ગૌરવ અને મારી વહાલી દીકરી સોનાક્ષી સિન્હાએ આ મુદ્દે ખુલીને અને નિર્ભયતાથી પોતાનો અભિપ્રાય આપીને આજે મને વધુ ગર્વ અનુભવ કરાવ્યો છે. હું તેમની પ્રતિક્રિયા આપ સૌની સાથે પણ શેર કરી રહ્યો છું.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

