125 વર્ષ જૂના સ્વાદને શહેર સુધી પહોંચાડવાની વાર્તા:પરંપરા, પ્રતિષ્ઠા ને પ્રેમની ખાટી-મીઠી 'ચટણી'! મલ્હાર-પૂજા લગ્ન પછી પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે
ગુજરાતી સિનેમા હાલમાં અવનવી વાર્તાઓને દર્શકો સમક્ષ લાવી રહ્યું છે, અને દર્શકો પણ તેમને વધાવી રહ્યા છે. ત્યારે ગુજરાતી સિનેમાના પાવર કપલ એટલે કે મલ્હાર ઠાકર અને પૂજા જોશી તેમની ખાટી, મીઠી, તીખી અને મસાલેદાર વાર્તાને ‘ચટણી’ના રૂપમાં લઈને આવી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. ‘ચટણી’ ફિલ્મ પેઢીઓના વારસાને નવા રૂપે આગળ લઈ જવાની વાર્તા છે. ટ્રેલરમાં જોવા મળે છે કે, 125 વર્ષ જૂની કાળુકાકા એન્ડ સન્સ દુકાનની કૌટુંબિક પરંપરાગત વાનગી અને ચટણીનો ચટકારો ગામના લોકોને દાઢે વળગ્યો છે. નાના ગામમાં વસેલા આ જ વારસાને મહત્ત્વકાંક્ષી દીકરો (મલ્હાર) અમદાવાદ શહેર સુધી લઈ જવા માંગે છે. મલ્હારની સામે મોટા શહેરમાં નવો ધંધો શરૂ કરવાનો જેટલો મોટો પડકાર છે, તેનાથી પણ મોટો પડકાર તેના પિતાને મનાવવાનો છે. દીકરાની વાત સાંભળીને પિતાને આંચકો લાગે છે અને દીકરા સાથે છેડો ફાડી નાખવાની વાત કરે છે. પણ મલ્હાર અડગ છે, તે કહે છે કે, ‘ભલે શહેર જઈ રહ્યો છું, પણ ગજવામાં ગામડું લઈને જઈ રહ્યો છું.’ આ દરમિયાન પૂજા પણ તેની સાથે અડીખમ ઊભી રહે છે. ફિલ્મની વાર્તા ગૃહિણી માતાના હાથની ‘ચટણી’ના અસલ સ્વાદને શહેરીજનો સુધી પહોંચાડવાના સપના, પ્રેમ અને પરિવારની લાગણીઓની આસપાસ ફરે છે. આ વાર્તાને સંદીપ પટેલ અને હર્ષ શોધને લખી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશી ઉપરાંત પ્રશાંત બારોટ, હેતલ મોદી, સ્મિત જોશી, પ્રેમલ યાજ્ઞિક, મનિષા ત્રિવેદી અને આકાશ ઝાલા સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. EForU Entertainment દ્વારા પ્રસ્તુત અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી પ્રોડક્શનના બેનર હેઠળ નિર્માણ પામેલી આ ફિલ્મનું ડિરેક્શન સંદીપ પટેલે કર્યું છે. ફિલ્મમાં મલ્હાર અને પૂજા લગ્ન પછી પહેલીવાર મોટા પડદા પર એકસાથે જોવા મળશે. ફિલ્મ 18 સપ્ટેમ્બર 2026ના રોજ રિલીઝ થશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


