2 મિનિટમાં જ 600થી વધુ જિંદગીઓ વહી ગઈ:લોકોને સવારે 7.30 વાગ્યે ખબર પડી અને સરકાર 9.15 વાગ્યે જાગી; નેપાળમાં 6 લાખ લોકોને SMS મળે એ પહેલાં તબાહી આવી ગઈ!

Last Updated: August 30, 2026By

નેપાળમાં 26 ઓગસ્ટની સવારે આવેલા પૂર પછી એલર્ટ જાહેર કરવાના સમયને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચીન તરફથી રસુવા જિલ્લા પ્રશાસનને સવારે 9 વાગ્યે પૂરની માહિતી મળી હતી. ત્યારબાદ સવારે 9.15 વાગ્યે નદીના બંને કિનારે રહેતા છ લાખ લોકોને SMS એલર્ટ મોકલવામાં આવ્યા હતા. વડાપ્રધાન કાર્યાલયનું કહેવું છે કે તેમને જિલ્લા પ્રશાસન તરફથી સવારે 8.40 વાગ્યે જ પૂરની માહિતી મળી ગઈ હતી. લોકોને SMS એલર્ટ સવારે 9.35 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ, સ્થાનિક લોકોનો દાવો છે કે તેમને મિત્રો અને સંબંધીઓ પાસેથી સવારે 7.30 વાગ્યે જ પૂરની ચેતવણી મળી ગઈ હતી. શનિવાર સુધીમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 682 પર પહોંચી ગઈ છે. ત્રણ હજારથી વધુ લોકો હજુ પણ ગુમ છે. જેમાં 275 ભારતીયોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 7,514 લોકોને બચાવવામાં આવ્યા છે, જેમાં 163 વિદેશીઓ પણ છે. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું- સવારે 7.30 વાગ્યે જાણકારી મળી ગઈ હતી ત્રિશુલી નિવાસી 36 વર્ષીય રમેશ રિઝાલના જણાવ્યા અનુસાર, ચીન બોર્ડર પાસે રહેતા તેમના એક મિત્રએ સવારે 7.30 વાગ્યે ફોન કરીને ભયાનક પૂર આવવાની જાણકારી આપી હતી. રિઝાલે તેને ગંભીરતાથી લીધું નહીં. તેઓ બાળકોને શાળાએ મોકલવાની તૈયારી કરતા રહ્યા. સવારે 9.20 વાગ્યે તેમણે પોતાના નવા ઘરના નિર્માણનો વીડિયો પણ બનાવ્યો. ત્યારબાદ અફરાતફરી મચતા પરિવાર સાથે સુરક્ષિત જગ્યાએ ચાલ્યા ગયા. ત્રિભુવન સેકન્ડરી કો-એજ્યુકેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીએ જણાવ્યું કે એક સહકર્મીને નદીના ઉપરના વિસ્તારમાંથી પૂરની સૂચના મળી હતી. ત્યારબાદ તેમણે સ્કૂલની ઘંટડી સતત વગાડવાનો નિર્દેશ આપ્યો. સ્કૂલમાં લગભગ 1,600 વિદ્યાર્થીઓ છે. દવાડીના મતે, તેમની આંખો સામે સ્કૂલ પૂરમાં તણાઈ ગઇ, જોકે બાળકોને સુરક્ષિત બચાવી લેવાયા. બાદમાં તેમને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. ભૂકંપના 13 મિનિટ બાદ ડેટા સિસ્ટમ બંધ હવામાન વિભાગના મતે, 26 ઓગસ્ટના રોજ સવારે 8.37 વાગ્યે નેપાળ-તિબેટ સરહદ પાસે 4.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના 13 મિનિટ બાદ સવારે 8.50 વાગ્યે ભોટે કોશી નદીનું જળસ્તર માપનાર ડેટા રિસીવિંગ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું. ભૂકંપ પછી તિબેટની લ્હેંદે ખોલા નદીમાં પહાડનો એક મોટો હિસ્સો બરફ અને ખડકો સાથે પડ્યો હતો. લ્હેંદે ખોલા, ભોટેકોશી નદીની સહાયક નદી છે. ભોટેકોશી ચીનમાંથી નીકળીને નેપાળમાં પ્રવેશે છે. 9.36 વાગ્યે પાણી બજાર તરફ આગળ વધ્યું, 2 મિનિટમાં બધું વહી ગયું ત્રિશૂલી બજારમાં ભંગારનો ધંધો કરતા બિહાર મૂળના જલેશ્વર સાહનીએ પૂરની તબાહીની તસવીરો ખેંચી. તેમણે જણાવ્યું કે સવારે લગભગ 9.15 વાગ્યે રાસુવાગઢીમાં હાજર તેમના ભાઈએ ફોન કરીને વિશાળ પૂર આવવાની જાણ કરી. આ પછી સાહની પરિવાર સાથે પહાડી પર ચાલ્યા ગયા. સાહનીએ સવારે 9.36 વાગ્યે એક તસવીર લીધી, જેમાં પૂરનું પાણી ત્રિશૂલી બજાર તરફ આગળ વધતું દેખાઈ રહ્યું હતું. તેના માત્ર બે મિનિટ પછી 9.38 વાગ્યે લેવાયેલી બીજી તસવીરમાં આખું ત્રિશૂલી બજાર પૂરના પાણીમાં વહી ગયું હતું. એટલે કે, વિનાશની ગતિ એટલી ઝડપી હતી કે બે મિનિટમાં આખો નજારો બદલાઈ ગયો. વિપક્ષે ચીનના સેટેલાઇટ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા નેપાળી કોંગ્રેસના ઉપનેતા અભિષેક પ્રતાપ શાહે કહ્યું કે ચીનનું સેટેલાઇટ સિસ્ટમ ગ્લેશિયરો પર નજર રાખે છે. તેથી ચીને સમયસર ખતરાની જાણ કરવી જોઈતી હતી. આને લઈને એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે પૂરની ચેતવણી સ્થાનિક પ્રશાસન અને લોકો સુધી યોગ્ય સમયે કેમ ન પહોંચી.

Leave A Comment