મુખ્યમંત્રીનો દીકરો હોવાથી રિતેશે ખૂબ મેણાં સાંભળ્યા:ફ્લોપ ફિલ્મો બાદ કોમેડીએ ટકાવી રાખ્યો, વિલન બનીને ભાગ્ય બદલ્યું; મરાઠી સિનેમાની કાયાપલટી નાખી

Last Updated: May 16, 2026By

કોમેડી ફિલ્મોથી ઓળખ બનાવનાર રિતેશ દેશમુખ આજે ‘રાજા શિવાજી’માં છત્રપતિ શિવાજી મહારાજના પાત્રને લઈને ચર્ચામાં છે. જોકે એક સમય એવો પણ હતો, જ્યારે સતત ફ્લોપ ફિલ્મો અને ટ્રોલિંગથી પરેશાન થઈને તેણે એક્ટિંગ છોડવાનું મન બનાવી લીધું હતું. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના દીકરા હોવાને કારણે લોકો તેને ઘણીવાર એક્ટર નહીં, પરંતુ મુખ્યમંત્રીનો દીકરો કહેતા હતા. ડેબ્યૂ ફિલ્મ ‘તુજે મેરી કસમ’ પછી તેની ઘણી ફિલ્મો ચાલી નહીં અને તેણે ફરીથી આર્કિટેક્ટની નોકરી કરવાનું નક્કી કરી લીધું હતું. બાદમાં ‘મસ્તી’, ‘ધમાલ’, ‘હે બેબી’ અને ‘હાઉસફુલ’ જેવી ફિલ્મોએ તેને ઇન્ડસ્ટ્રીમાં ટકાવી રાખ્યો. પછી ‘એક વિલન’માં નેગેટિવ પાત્ર ભજવીને તેણે અલગ ઓળખ બનાવી. આજની ‘સક્સેસ સ્ટોરી’માં જાણીએ રિતેશ દેશમુખના કરિયર અને અંગત જીવન સાથે જોડાયેલી વાતો… રાજકીય પરિવાર સાથે સંબંધ, પરંતુ રાજકારણથી દૂર રિતેશ દેશમુખનો જન્મ 17 ડિસેમ્બર 1978ના રોજ મહારાષ્ટ્રના લાતુરમાં થયો હતો. તે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના દીકરા છે. રાજકીય પરિવાર સાથે સંબંધ હોવાને કારણે તેનું બાળપણ રાજકારણ અને જાહેર જીવનના વાતાવરણમાં વીત્યું. જોકે, રિતેશે ક્યારેય રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી ન હતી. તેનો ઝુકાવ શરૂઆતથી જ ક્રિએટિવ ફિલ્ડ અને ડિઝાઇનિંગ તરફ હતો. આર્કિટેક્ચરનો અભ્યાસ, ન્યૂયોર્કમાં નોકરી મળી રિતેશનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની જી.ડી. સોમાણી મેમોરિયલ સ્કૂલમાંથી થયો હતો. ત્યારબાદ તેણે મુંબઈની કમલા રહેજા કોલેજ ઓફ આર્કિટેક્ચર એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝમાંથી આર્કિટેક્ચરની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂરો કર્યા પછી, તેણે થોડો સમય ન્યૂયોર્કની એક આર્કિટેક્ચર ફર્મમાં કામ કર્યું. તે સમયે તેનું ધ્યાન સંપૂર્ણપણે આર્કિટેક્ચર કારકિર્દી પર હતું અને તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે, તે ફિલ્મોમાં કામ કરશે. રિતેશને કોલેજના દિવસોથી જ સ્ટેજ, એક્ટિંગ અને એન્ટરટેઈનમેન્ટ પસંદ હતું. જોકે, તે ખૂબ જ શરમાળ સ્વભાવનો હતો. રાજકીય પરિવારમાંથી હોવાને કારણે તે મર્યાદિત વર્તુળમાં રહેતો હતો અને તેને લાગતું હતું કે, સાવચેતી રાખવી જોઈએ. ‘તુજે મેરી કસમ’ થી ફિલ્મોમાં એન્ટ્રી રિતેશનો ફિલ્મોમાં આવવાનો વિચાર ધીમે ધીમે બન્યો. તે સમયે તેલુગુ ફિલ્મ ‘નુવ્વે કવાલી’ મોટી હિટ થઈ હતી અને તેના હિન્દી રિમેકની તૈયારી ચાલી રહી હતી. આ દરમિયાન રિતેશ સુધી ફિલ્મની સ્ક્રિપ્ટ પહોંચી. શરૂઆતમાં તેણે ઓરિજિનલ ફિલ્મ જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભાષા સમજાઈ નહીં હોવાને કારણે લાંબો સમય જોઈ શક્યો નહીં. બાદમાં ડિરેક્ટર કે. વિજય ભાસ્કરે તેને હૈદરાબાદ બોલાવીને આખી સ્ક્રિપ્ટ સંભળાવી. રિતેશ સ્ક્રિપ્ટ અને પાત્રની સાદગીથી પ્રભાવિત થયો. તેને લાગ્યું કે આ પાત્ર તેની કોલેજ લાઈફ જેવું છે. રિતેશ કહે છે, ‘‘તુજે મેરી કસમ’ દ્વારા મને બધું જ કરવાનો મોકો મળ્યો, જે હું કોલેજના દિવસોમાં ક્યારેય ખૂલીને કરી શક્યો નહોતો.’ લોકો એક્ટર કરતાં વધુ સીએમનો દીકરો માનતા હતા તે સમયે ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા હતી કે, મુખ્યમંત્રીનો દીકરો હોવાને કારણે તેને સરળતાથી લોન્ચ મળી ગયું. પરંતુ રિતેશ માને છે કે, આ બેકગ્રાઉન્ડને કારણે તેના પર દબાણ પણ ખૂબ વધારે હતું. લોકો તેને એક્ટર કરતાં વધુ સીએમનો દીકરો માનતા હતા. ડેબ્યૂ પછી તેની કારકિર્દી સરળ રહી ન હતી. તેની ઘણી ફિલ્મો સતત ફ્લોપ રહી અને ઇન્ડસ્ટ્રીમાં એવી ધારણા બનવા લાગી કે, તે લાંબા સમય સુધી ટકી શકશે નહીં. સિદ્ધાર્થ કન્નનને આપેલા ઇન્ટરવ્યુમાં રિતેશે જણાવ્યું હતું કે, જ્યારે તેણે ફિલ્મોમાં પગ મૂક્યો, ત્યારે તેને વિશ્વાસ ન હતો કે તે ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટકી શકશે. ફિલ્મો ફ્લોપ થઈ તો એક્ટિંગ છોડવાનો વિચાર આવ્યો રિતેશે જણાવ્યું કે, એક સમય એવો આવ્યો જ્યારે તેની સતત પાંચ ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી નહીં. તે સમયે તેને લાગવા માંડ્યું હતું કે, તેની કારકિર્દી પૂરી થઈ ગઈ છે. તેણે કહ્યું હતું કે, ‘એક સમય એવો આવ્યો, જ્યારે મારી સતત પાંચ ફિલ્મો ફ્લોપ થઈ. ત્યારે મેં વિચાર્યું- બસ, હવે પેકઅપ… હું પાછો આર્કિટેક્ચરમાં જતો રહીશ.’ તે સમયે ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે, રિતેશ કદાચ લાંબા સમય સુધી બોલિવૂડમાં ટકી નહીં શકે. સતત નિષ્ફળ ફિલ્મોને કારણે તેનો આત્મવિશ્વાસ પણ પ્રભાવિત થયો. કોમેડી ફિલ્મોએ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવાની તક આપી સતત નિષ્ફળતાઓ પછી રિતેશના કરિયરે નવો વળાંક લીધો. ફ્લોપ ફિલ્મો પછી જ્યારે તેની ફિલ્મો સફળ થવા લાગી, ત્યારે તેને લાગ્યું કે ઇન્ડસ્ટ્રીમાં તેનું નવું જીવન શરૂ થઈ ગયું છે. કોમેડી ફિલ્મોમાં રિતેશ દેશમુખની ટાઈમિંગ દર્શકોને પસંદ આવવા લાગી. ‘મસ્તી’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘માલામાલ વીકલી’, ‘હે બેબી’, ‘ધમાલ’ અને ‘હાઉસફુલ’ જેવી ફિલ્મોએ તેને બોલિવૂડમાં ઓળખ અપાવી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રિતેશ દેશમુખ કહે છે- ‘હું લોકોનો આભારી છું. તે સમયે જ્યારે મેં ડેબ્યૂ કર્યું હતું, જો કોઈ એક પ્રકારની ફિલ્મ હિટ થઈ જતી હતી, તો તે જ પ્રકારના વધુ કામ મળતા હતા.’ ‘એટલે મારી એક કોમેડી ફિલ્મ ચાલી, તો પછી મને બીજી અને ત્રીજી કોમેડી ફિલ્મ મળી. હું નસીબદાર હતો કે કોમેડી-જોનરે મને લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીમાં ટકાવી રાખ્યો.’ રિતેશના મતે, રાજકીય પરિવારમાંથી આવવાને કારણે તેણે બાળપણથી હાર અને વાપસી (કમબેક) બંને નજીકથી જોઈ છે. આ જ કારણ છે કે તે નિષ્ફળતાથી જલ્દી હિંમત હારતો નથી. કોમેડી ઇમેજ તોડવાનો નિર્ણય કર્યો રિતેશ દેશમુખ લાંબા સમય સુધી બોલિવૂડમાં કોમેડી ફિલ્મો માટે જાણીતો રહ્યો. પરંતુ કારકિર્દીના એક તબક્કે તેણે પોતાની ઇમેજ તોડવાનો નિર્ણય કર્યો. તેણે એવા પાત્રો પસંદ કરવાનું શરૂ કર્યું, જેમાં તેનો ડાર્ક અને ખતરનાક અંદાજ દેખાય. રસપ્રદ વાત એ રહી કે, વિલન તરીકે પણ તેને ઘણી પ્રશંસા મળી. ‘એક વિલન’ બન્યો કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ રિતેશની કારકિર્દીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ‘એક વિલન’ રહી. વર્ષ 2014માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેણે રાકેશ મહાડકર નામના સીરીયલ કિલરનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેનું પાત્ર એક સામાન્ય માણસનું હતું, જે બહારથી શાંત અને સાધારણ દેખાય છે, પરંતુ અંદરથી અત્યંત હિંસક અને માનસિક રીતે પરેશાન હોય છે. રાકેશ પોતાની પત્ની દ્વારા સતત અપમાનિત અનુભવે છે અને આ જ હતાશામાં મહિલાઓની નિર્દયતાથી હત્યા કરવા લાગે છે. ફિલ્મમાં રિતેશનો શાંત ચહેરો અને અચાનક હિંસક થઈ જવું દર્શકો માટે ખૂબ જ ચોંકાવનારું હતું. સાબિત કર્યું કે માત્ર કોમેડી એક્ટર નથી ‘એક વિલન’ના રોલ માટે રિતેશની ખૂબ પ્રશંસા થઈ. ઘણા વિવેચકોએ લખ્યું કે, ‘રિતેશે પહેલીવાર સાબિત કર્યું કે તે માત્ર કોમેડી એક્ટર નથી.’ વર્ષ 2019માં ફિલ્મ ‘મરજાવાં’માં રિતેશે વિષ્ણુ શેટ્ટી નામનું નકારાત્મક પાત્ર ભજવ્યું. આ રોલ અલગ હતો, કારણ કે ફિલ્મમાં તેનું પાત્ર ઠીંગણા ગેંગસ્ટરનું હતું. વિષ્ણુ ખૂબ જ ગુસ્સેલ, તરંગી (મનમોજી) અને સત્તાનો ભૂખ્યો માણસ હોય છે. ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાના પાત્રને ધિક્કારે છે અને પોતાના વર્ચસ્વ માટે કોઈપણ હદ સુધી જાય છે. જોકે, ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ રિતેશના ડાયલોગ્સ અને સ્ક્રીન પ્રેઝન્સની ઘણી ચર્ચા થઈ હતી. ખાસ કરીને તેનો ડાયલોગ- ‘કમિનેપન કી હાઈટ તીન ફૂટ’ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રિતેશે જણાવ્યું કે, ‘એક વિલન’ તેના માટે મોટું જોખમ હતું, કારણ કે લોકો તેને તેવા પાત્રમાં જોવા ટેવાયેલા ન હતા. પરંતુ ફિલ્મની સફળતા પછી ઇન્ડસ્ટ્રીનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. આ પછી તેને અલગ પ્રકારના રોલ મળવાના શરૂ થયા. રિતેશની સૌથી મોટી તાકાત તેનો સોફ્ટ ફેસ માનવામાં આવે છે. સ્ક્રીન પર તે સામાન્ય અને શાંત વ્યક્તિ જેવો દેખાય છે. આ જ કારણ છે કે જ્યારે તે અચાનક હિંસક કે ખતરનાક પાત્ર ભજવે છે, ત્યારે તેની અસર વધુ મજબૂત દેખાય છે. ક્રિટિક્સનું માનવું છે કે, રિતેશે વિલનના પાત્રોમાં ઓવરએક્ટિંગ કરવાને બદલે શાંત અને દબાયેલા ગુસ્સાનો ઉપયોગ કર્યો, જેનાથી તેના પાત્રો વધુ ડરામણા બન્યા. પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે નવી ઇનિંગ્સની શરૂઆત એક્ટર હોવા ઉપરાંત, રિતેશ દેશમુખ હવે પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે પણ મરાઠી ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ચૂક્યો છે. રિતેશ અને તેની પત્ની જેનેલિયા ડિસોઝાએ મળીને ‘મુંબઈ ફિલ્મ કંપની’ નામની પ્રોડક્શન કંપની શરૂ કરી. રાજકીય પરિવારમાંથી આવતો રિતેશ હંમેશા મરાઠી સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાયેલો રહ્યો છે. આ જ કારણ છે કે, તેણે મરાઠી ફિલ્મોને મોટા પાયે રજૂ કરવાનો પ્રયાસ કર્યો અને એવી ફિલ્મો બનાવી, જેનો સ્કેલ હિન્દી ફિલ્મો જેવો દેખાય. ‘લય ભારી’એ મરાઠી સિનેમાની તસવીર બદલી નાખી વર્ષ 2014માં રિલીઝ થયેલી ‘લય ભારી’ રિતેશના મરાઠી કરિયરની સૌથી મોટી ફિલ્મોમાંની એક ગણાય છે. આ ફિલ્મને જેનેલિયાએ પ્રોડ્યુસ કરી હતી અને ડિરેક્ટર નિશિકાંત કામત હતા. ફિલ્મમાં રિતેશે બેવડી ભૂમિકાઓ ભજવી હતી. એક્શન, ભાવનાઓ અને લોકપ્રિય મનોરંજનથી ભરપૂર આ ફિલ્મે મરાઠી બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી હતી. તે સમયે મરાઠી ફિલ્મોનું બજેટ પ્રમાણમાં ઓછું માનવામાં આવતું હતું, પરંતુ ‘લય ભારી’એ સાબિત કર્યું કે મરાઠી સિનેમા પણ મોટા પાયે બનેલી ફિલ્મોને સફળ બનાવી શકે છે. ફિલ્મમાં સલમાન ખાનનો નાનો કેમિયો પણ ચર્ચામાં રહ્યો હતો. રિતેશે ઘણી મરાઠી ફિલ્મો પ્રોડ્યુસ કરી. તેનું ધ્યાન એવી વાર્તાઓ પર રહ્યું, જે મરાઠી દર્શકો સાથે જોડાયેલી હોય, પરંતુ પ્રેઝન્ટેશન અને સ્કેલમાં રાષ્ટ્રીય સ્તરની દેખાય. મરાઠી ફિલ્મ ‘વેડ’થી ડિરેક્ટોરિયલ ડેબ્યૂ કર્યું વર્ષ 2022માં મરાઠી ફિલ્મ ‘વેડ’ દ્વારા રિતેશે ડિરેક્શનમાં પગ મૂક્યો. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘મજિલી’ની મરાઠી રિમેક હતી. ફિલ્મમાં રિતેશ અને જેનેલિયાની જોડી જોવા મળી હતી. ‘વેડ’ બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થઈ અને મરાઠી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઈ ગઈ. ડિરેક્ટર તરીકે પણ રિતેશના ખૂબ વખાણ થયા. હવે ‘રાજા શિવાજી’થી ચર્ચામાં આ દિવસોમાં રિતેશ પોતાની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘રાજા શિવાજી’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ ‘છત્રપતિ શિવાજી મહારાજ’ના જીવન, યુદ્ધ કૌશલ્ય અને હિંદવી સ્વરાજ્યની સ્થાપનાના સંઘર્ષ પર આધારિત છે. ફિલ્મમાં રિતેશે પોતે શિવાજી મહારાજની ભૂમિકા ભજવી છે અને ડિરેક્શન પણ કર્યું છે. સલમાન ખાન સહિત અનેક મોટા સ્ટાર્સની હાજરી ફિલ્મની સૌથી મોટી વિશેષતા તેની મોટી સ્ટારકાસ્ટ માનવામાં આવી રહી છે. સલમાન ખાન ફિલ્મમાં ખાસ કેમિયો રોલમાં જોવા મળ્યો છે. તેના સિવાય સંજય દત્ત, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, વિદ્યા બાલન, જેનેલિયા અને અનેક મરાઠી કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળ્યા છે. આ ફિલ્મ મરાઠી અને હિન્દીમાં રિલીઝ થઈ છે. પોતાને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી સંઘર્ષ અને પડકારો વિશે વાત કરતા રિતેશ દેશમુખ કહે છે- ‘પડકાર અને સંઘર્ષ એ જ છે કે, સમય બદલાતો રહે છે અને સિનેમા સાથે દર્શકોની વિચારસરણી પણ બદલાઈ જાય છે. આપણે ઘણીવાર એ જ જૂની શૈલીની એક્ટિંગમાં અટવાઈ જઈએ છીએ, કારણ કે તે પહેલાં ચાલતી હતી.’ ‘પરંતુ સમય બદલાતા જો તમે એ જ રીતે રહો, તો આઉટ-ડેટેડ લાગવા માંડો છો. તેથી, પોતાને સમય સાથે અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે.’

Leave A Comment