Ranveer Singh Banned by FWICE Over Don 3 Exit; Farhan Akhtar Complaint
2 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પર ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ’ (FWICE) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય સોમવારે સાંજે ફિલ્મ ‘ડોન 3’ ને લઈને ફિલ્મમેકર અને એક્ટર ફરહાન અખ્તર સાથે થયેલા વિવાદ બાદ લેવામાં આવ્યો હતો. રણવીર સિંહના અચાનક આ ફિલ્મમાંથી બહાર નીકળી જવા બાદ ફરહાને વર્કર્સ એસોસિએશન (FWICE)ને તેની ફરિયાદ કરી હતી.
FWICE એ આ મામલે રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનો નિર્દેશ જારી કર્યો છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રણવીર સાથે કામ ન કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. અગાઉ, ફેડરેશનના મુખ્ય સલાહકાર, અશોક પંડિતે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દેવામાં આવશે નહીં.
અશોક પંડિતે આ મામલે બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું-
આ ખૂબ જ ગંભીર મામલો છે, અને આ ટ્રેન્ડ બિલકુલ ખોટો છે. શૂટ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા તમે કોઈ પ્રોજેક્ટમાંથી પાછા હટી શકતા નથી. પહેલા અમે આંતરિક બેઠક કરીશું, ત્યારબાદ જ કોઈ નિર્ણય લઈશું.
આગળ તેમણે કહ્યું, “હવે અમે તે જ કરીશું જે સાચું અને ન્યાયી હશે. અમે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દઈશું નહીં. કાલે કોઈ પણ ફિલ્મ છોડીને જતું રહેશે. અમે જે પણ પગલાં લઈશું, તે ઇન્ડસ્ટ્રીના હિતમાં જ હશે.”

અશોક પંડિત FWICEના ચીફ એડવાઈઝર છે.
શું છે ‘ડોન 3’નો આખો વિવાદ?
‘ડોન 3’ કાસ્ટિંગ વિવાદ પર આજે લગભગ 5 વાગ્યે મુંબઈમાં ફેડરેશન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રેસ કોન્ફરન્સમાં વિવાદ પર થયેલા સત્તાવાર નિર્ણયની જાણકારી આપવામાં આવી. ફરહાન અખ્તરે વર્ષ 2023માં ફિલ્મ ‘ડોન 3’ની ઘોષણા, એક્ટર રણવીર સિંહ સાથે કરી હતી.
1978માં આવેલી અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ડોન અને શાહરુખ અભિનીત ડોન (2006) પછી આ ડોન ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. જાહેરાત સમયે કિયારા અડવાણીને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ પ્રેગ્નન્સી અને મેટરનિટી બ્રેકના કારણે કિયારાએ ફિલ્મ છોડી દીધી, જેના પછી ક્રિતી સેનનને કાસ્ટ કરવાના સમાચાર રહ્યા.
આ ફિલ્મ ફરહાન અખ્તર, હોમ પ્રોડક્શન એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવી રહ્યા હતા. ડોન 3 ને ચાલુ રાખવા માટે ફરહાને પોતાની બીજી ફિલ્મ જી લે ઝરા પોસ્ટપોન કરી દીધી.

ફિલ્મ મોડી પડતાં રણવીર સિંહ ધુરંધરમાં વ્યસ્ત થઈ ગયા. રિપોર્ટ્સ હતા કે 2025માં ડોન 3નું શૂટિંગ શરૂ થશે, પરંતુ પછી અચાનક રણવીર સિંહે ફિલ્મ છોડી દીધી. મેકર્સનો આરોપ છે કે રણવીર સ્ક્રિપ્ટમાં હસ્તક્ષેપ કરી રહ્યા હતા. તે ગાળાગાળી અને હિંસક દ્રશ્યોની માંગ કરી રહ્યા હતા, પરંતુ મેકર્સ આના પર રાજી ન થયા. મિડ ડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રણવીરે ફિલ્મ છોડી દીધી છે અને તે જલ્દી જ ફિલ્મનો સાઈનિંગ અમાઉન્ટ પણ પરત કરી દેશે. જ્યારે મેકર્સ પહેલાથી જ પ્રી-પ્રોડક્શન, વિલંબ અને રી-વર્કના કારણે ફિલ્મ પર ખર્ચ કરી ચૂક્યા હતા.
આના પર ફરહાન અખ્તરે પ્રોડ્યુસર્સ ગિલ્ડમાં ફરિયાદ કરીને 40 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી. તેનું કહેવું હતું કે પ્રી-પ્રોડક્શન, શૂટિંગ શેડ્યૂલમાં ફેરફારને કારણે તેને ભારે નુકસાન થયું છે. ત્યારે આમિર ખાને પણ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત બની નહીં. પ્રોડ્યુસર ગિલ્ડે બંને પક્ષોને સમાધાન માટે સમય પણ આપ્યો, પરંતુ ત્યારે પણ કોઈ ઉકેલ આવ્યો નહીં.
રણવીર સિંહની ટીમનો દાવો- એક્ટર સમજી-વિચારીને ચૂપ છે રણવીર સિંહના પ્રવક્તાએ જણાવ્યું કે- ‘રણવીર સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ‘ડૉન’ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું દિલથી સન્માન કરે છે. ‘ડૉન 3′ ને લઈને હાલમાં જે કંઈ પણ બન્યું છે, તેના પર તેમણે સમજી-વિચારીને મૌન રહેવું જ યોગ્ય માન્યું છે. તેમનું માનવું છે કે કામ સાથે જોડાયેલી બાબતો અને પરસ્પર સંબંધો હંમેશા ગરિમા, સમજદારી અને પરસ્પર સન્માન સાથે જ નિભાવવા જોઈએ.’
‘આ દરમિયાન ઘણી બધી વાતો અને અફવાઓ સામે આવી છે, પરંતુ રણવીરે ક્યારેય પણ જાહેરમાં આ અંગે કોઈ સ્પષ્ટતા કરવી કે આ અટકળોને પ્રોત્સાહન આપવું જરૂરી નથી સમજ્યું. તેમનું પૂરું ધ્યાન સંપૂર્ણપણે તેમના કામ અને આગામી પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત છે.’

રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝે વિશ્વભરમાંથી 3000 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
‘તેઓ આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો માટે પોતાના દિલમાં સન્માન રાખે છે અને ઈચ્છે છે કે આ ફ્રેન્ચાઇઝી આગળ પણ ખૂબ સફળ થાય. આવા મુશ્કેલ સમયમાં સંયમ અને શાલીનતા જાળવી રાખવી એ હંમેશાથી તેમનો પોતાનો નિર્ણય રહ્યો છે, અને તેઓ આગળ પણ આ જ વલણ પર કાયમ રહેશે.’
રણવીરની આગામી ફિલ્મો પર શું અસર થશે?
આ નિર્દેશને કારણે રણવીર સિંહના નવા પ્રોજેક્ટ્સ અને ફિલ્મોના નિર્માણમાં મુશ્કેલીઓ આવી શકે છે. રણવીર સિંહની આગામી ફિલ્મોમાં ‘કિંગ’ (સ્પેશિયલ કેમિયો), ડિરેક્ટર આદિત્ય ધર સાથેનો આગામી મોટો પ્રોજેક્ટ, કિયારા અડવાણી સાથેની એક ફિલ્મ અને સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’ સામેલ છે.
શૂટિંગમાં અડચણ: રણવીરની જે ફિલ્મોનું શૂટિંગ હજુ થવાનું બાકી છે, ત્યાં કામ કરતા 90 ટકા ટેકનિશિયનો, જુનિયર આર્ટિસ્ટો અને ક્રૂ મેમ્બર્સ આ જ ફેડરેશન સાથે જોડાયેલા છે. અસહકારના નિર્દેશને કારણે આ વર્કર્સ રણવીરના સેટ પર કામ કરવાની ના પાડી શકે છે, જેનાથી શૂટિંગ અટકી શકે છે.
મેકર્સની મુશ્કેલી: રણવીર સાથે નવી ફિલ્મનું પ્લાનિંગ કરી રહેલા અન્ય પ્રોડ્યુસર્સ માટે કામ આગળ ધપાવવું મુશ્કેલ બનશે. તેમણે ફિલ્મ શરૂ કરતા પહેલા ફેડરેશન પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવાની જરૂર પડી શકે છે. જ્યાં સુધી આ વિવાદ ઉકેલાશે નહીં, ત્યાં સુધી રણવીરના નવા પ્રોજેક્ટ્સ અટકી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


