Alka Yagnik Seen on Wheelchair at Padma Awards; Singer Clarifies on Her Health After Video Goes Viral
28 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના દિગ્ગજ સિંગર અલ્કા યાજ્ઞિકને 23 જૂનના રોજ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. સમારોહમાંથી સિંગરની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા. એક વીડિયોમાં સિંગર વ્હીલચેર પર બેઠેલા જોવા મળ્યા, જેનાથી તેમના ચાહકો ચિંતિત થઈ ગયા. સ્વાસ્થ્ય બગડવાના અટકળો વચ્ચે હવે સિંગરે પોતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, તેમની રિકવરી ચાલી રહી છે.
અલ્કા યાજ્ઞિકે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લખ્યું કે,
તમારા બધાના પ્રેમ, ચિંતા અને શુભેચ્છાઓ માટે આભાર. સમારોહનો એક વીડિયો જોઈને ઘણા લોકોએ મારા સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હું બધાને જણાવવા માંગુ છું કે, હું બિલકુલ ઠીક છું અને મારી રિકવરી સારી રીતે ચાલી રહી છે. પદ્મ સન્માન સમારોહમાં આખો દિવસ વ્યસ્ત અને ભાવુક રહ્યો, જેના કારણે હું ખૂબ થાકી ગઈ હતી. તેથી જતા સમયે મેં વ્હીલચેરની મદદ લીધી હતી.

અલ્કા યાજ્ઞિકની પોસ્ટ.
સિંગરે આગળ લખ્યું છે, ‘કૃપા કરીને ચિંતા ન કરો. હવે હું પહેલા કરતાં ઘણું સારું અનુભવી રહી છું. તમારા સૌની પ્રાર્થનાઓ અને સમર્થન માટે હું હૃદયથી આભારી છું, જેમણે મને હંમેશા હિંમત આપી છે. આ સન્માન માટે હું ભારતના માનનીય રાષ્ટ્રપતિ, માનનીય પ્રધાનમંત્રી, ગૃહ મંત્રાલય અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ચાલો, આ ખુશીના અવસરને આપણે સૌ સાથે મળીને ઉજવીએ. પ્રેમ અને આભાર સાથે, અલ્કા યાજ્ઞિક.’
જુઓ પદ્મ પુરસ્કાર સમારોહમાંથી અલ્કા યાજ્ઞિકની તસવીરો-

વાયરલ થઈ રહેલા વીડિયોમાં અલ્કા યાજ્ઞિક વ્હીલચેર પર બેઠેલા જોવા મળ્યાં.

પદ્મ પુરસ્કાર સ્વીકારતા પહેલા અલ્કા પ્રધાનમંત્રી મોદીને પગે લાગ્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અલ્કા યાજ્ઞિકને ‘પદ્મ ભૂષણ’ એનાયત કરાયું.
‘2 વર્ષથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું’
મંગળવારે પદ્મ ભૂષણ મળ્યા પછી અલ્કા યાજ્ઞિકે એક ભાવુક પોસ્ટ શેર કરી. તેમણે સમારોહની તસવીર શેર કરીને લખ્યું, ‘છેલ્લા 2 વર્ષથી હું લોકોની નજરથી દૂર રહી છું. ન તો સાર્વજનિક કાર્યક્રમોમાં સામેલ થઈ અને ન તો મારા જીવન વિશે વધુ કંઈ શેર કર્યું. તમારામાંથી ઘણા લોકો જાણે છે કે, હું સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. આવા સમયે તમારો પ્રેમ, પ્રાર્થનાઓ, મેસેજ અને અતૂટ સમર્થન દરેક પગલે મારી સાથે રહ્યું.’

સિંગર શાને કહ્યું- ‘તમે આ સન્માનના હકદાર છો’
અલ્કા યાજ્ઞિકની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં સિંગર શાને લખ્યું, ‘અલ્કાજી, તમે સન્માનના હકદાર હતા. તમે અમારા બધા માટે ગર્વ અને ખુશીનું કારણ છો. તમારા ચાહકો માટે આનાથી મોટી ખુશી કોઈ નહીં હોય કે તમે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાઓ, ફરીથી આત્મવિશ્વાસ અને ઊર્જા સાથે પાછા ફરો અને તમારા મધુર અવાજથી અમને ફરી એકવાર મંત્રમુગ્ધ કરો, જેમ કે ફક્ત તમે જ કરી શકો છો.’
અલકા યાજ્ઞિકને છે દુર્લભ ન્યુરો ડિઝીઝ, સાંભળવામાં થાય છે તકલીફ
અલકા યાજ્ઞિક છેલ્લા 2 વર્ષથી સંગીતથી દૂર છે. તેમને દુર્લભ ન્યુરો ડિઝીઝ છે, જેના કારણે તેમને સંભળાવાનું લગભગ બંધ થઈ ગયું છે. સારવાર દરમિયાન તેમને લાઉડ મ્યુઝિકથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
અલકા યાજ્ઞિકે 2 વર્ષ પહેલા આ અંગે જાણકારી આપતા સંગીતમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે, ‘થોડા અઠવાડિયા પહેલા જ્યારે હું એક ફ્લાઇટમાંથી બહાર નીકળી, ત્યારે અચાનક મને સંભળાવાનું બંધ થઈ ગયું. તે ઘટના પછી ઘણા અઠવાડિયા સુધી હિંમત એકઠી કર્યા પછી હવે હું મારી ચૂપકીદી તોડવા માંગુ છું, કારણ કે ઘણા લોકો પૂછી રહ્યા હતા કે, હું આ દિવસોમાં કેમ દેખાતી નથી. ડોકટરોએ જણાવ્યું છે કે, મને એક દુર્લભ બીમારી થઈ છે, જેને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કહેવાય છે. આ એક વાયરલ ઇન્ફેક્શનના કારણે થયું છે. આ અચાનક આવેલી મોટી સમસ્યા હતી, જેના માટે હું બિલકુલ તૈયાર નહોતી.’

અલકા યાજ્ઞિકે લાંબી પોસ્ટ લખીને બીમારી વિશે ચાહકોને જણાવ્યું હતું.
તેમણે આગળ લખ્યું હતું કે, ‘હું હજી આ સ્થિતિને સમજવાનો અને સ્વીકારવાનો પ્રયાસ કરી રહી છું. તમને બધાને બસ એટલી જ વિનંતી છે કે મને તમારી પ્રાર્થનાઓમાં યાદ રાખો. મારા ચાહકો અને યુવા સાથીઓને હું એ પણ કહેવા માંગુ છું કે, ખૂબ જ તેજ અવાજવાળા સંગીત અને હેડફોનના વધુ પડતા ઉપયોગથી સાવચેત રહો.’
‘એક દિવસ હું મારા વ્યવસાય સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેનાથી થતા જોખમો વિશે વિગતવાર વાત કરવા માંગીશ. હાલમાં, તમારા બધાના પ્રેમ અને સમર્થનના સહારે હું મારી જિંદગીને ફરીથી સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છું અને આશા રાખું છું કે જલ્દી જ તમારા બધાની વચ્ચે પાછી ફરીશ.’

news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


