Comedian Praneet More 370 Biryani Controversy; Bigg Boss 19 Contestant Apologizes
8 કલાક પેહલા
- કૉપી લિંક
કોમેડિયન અને ‘બિગ બોસ 19’ના સ્પર્ધક પ્રણિત મોરેના શોમાં હિમાંશુ જાંગડાના ‘370 રૂપિયાની બિરયાની’વાળા નિવેદનને લઈને હોબાળો મચ્યો છે. વિવાદ વકરતા કોમેડિયને માફી માંગી છે. તેણે શનિવારે વીડિયો જાહેર કરીને કહ્યું કે, તે લાંબા સમયથી આ મુદ્દે વાત કરવા માંગતો હતો, પરંતુ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું હતું.
પ્રણિતે કહ્યું કે, વીડિયો પછી તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તે માને છે કે તે આ ટીકાનો હકદાર છે. તેના મતે, શો દરમિયાન એક વ્યક્તિ (હિમાંશુ જાંગડા)એ ઘણી વાંધાજનક વાતો કહી હતી. તે સમયે લોકો હસી રહ્યા હતા, જેના કારણે તે પણ માહોલમાં વહી ગયો અને સાચો નિર્ણય લઈ શક્યો નહીં.

પ્રણિત મોરેએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયો શેર કરીને માફી માંગી.
‘મારે તે જ સમયે રોકવું જોઈતું હતું’
કોમેડિયને સ્વીકાર્યું કે, જો તે ઇચ્છતો, તો તે જ સમયે તે વ્યક્તિને રોકી શક્યો હોત અથવા તેનો વિરોધ કરી શક્યો હોત. પરંતુ તેમ ન કરીને તેણે તેને એક મંચ આપ્યું, જેનાથી મામલો વધુ વકર્યો. પ્રણિતે કહ્યું કે, આ કારણે જે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે, તેની તે માફી માંગે છે.
વધુ એક તક આપવા લોકોને અપીલ
પ્રણિતે એમ પણ કહ્યું કે, તે આ મામલે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીમાં અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છે. સાથે જ તેણે લોકોને તેને વધુ એક તક આપવાની અપીલ કરી. તેણે કહ્યું કે, આ ઘટનામાંથી તેને શીખ મળી છે અને તે પોતાની જાત પર કામ કરી રહ્યો છે. ભવિષ્યમાં તેના કોન્ટેન્ટ અને કામમાં પણ આ બદલાવ જોવા મળશે.
નોંધનીય છે કે, પ્રણિત મોરેના શોમાં દર્શક હિમાંશુ જાંગડાએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિમાંશુ અને પ્રણિતની ટીકા થઈ હતી. હિમાંશુ ગુરુગ્રામની જે ડિઝાઇન અને માર્કેટિંગ એજન્સીમાં કામ કરતો હતો, તેણે આ વિવાદ બાદ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…

હિમાંશુ જાંગડા નામના વ્યક્તિએ કોમેડિયન પ્રણિત મોરેના શોમાં મહિલા વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
AIMSA એ ટિપ્પણીને અપમાનજનક ગણાવી
જ્યારે, ઓલ ઇન્ડિયા મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (AIMSA) એ પ્રણિત મોરેના બીજા સ્ટેન્ડ-અપ શો દરમિયાન MBBS વિદ્યાર્થી સેજલ પવાર દ્વારા કેડાવર (શબ) અને બોડી ડોનર્સ પર કરવામાં આવેલી ટિપ્પણીઓની નિંદા કરી છે.
AIMSA એ કહ્યું કે, ‘મૃતદેહો અને બોડી ડોનર્સને મનોરંજન કે કોમેડીનો વિષય બનાવવો અસંવેદનશીલ અને અપમાનજનક છે.’ સંસ્થા અનુસાર, ‘દરેક બોડી ડોનર મેડિકલ એજ્યુકેશનમાં યોગદાન આપીને ભવિષ્યના ડોકટરોને તાલીમ આપવામાં અને જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.’
એસોસિએશને કહ્યું કે, ‘મૃતદેહોની મજાક ઉડાવવી કે તેમને હળવાશથી લેવા સ્વીકાર્ય નથી અને તેનાથી મેડિકલ શિક્ષણની ગરિમા ઓછી થાય છે.’ AIMSA એ સંબંધિત લોકો પાસેથી તાત્કાલિક માફી માંગવા અને કડક કાર્યવાહીની માંગ કરી. એસોસિએશને ચેતવણી આપી કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે કાનૂની કાર્યવાહી કરી શકે છે.

MBBS વિદ્યાર્થી સેજલ પવારે પુરુષોના મૃતદેહો વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી.
મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમે FIR નોંધી મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમે કોમેડિયન પ્રણિત મોરે, હિમાંશુ જાંગડા, ડો. સેજલ પવાર અને તેમાં સામેલ અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી છે.
FIR ઇન્ડિયન પીનલ કોડ (IPC) 2023 ની અલગ-અલગ કલમો અને IT એક્ટ 2000 ની કલમ 67 હેઠળ નોંધવામાં આવી છે. આરોપ છે કે શો અને તેનાથી સંબંધિત ઓનલાઈન વીડિયોમાં મહિલાઓ, સંમતિ અને મૃત લોકો વિશે વાંધાજનક ટિપ્પણીઓ હતી.
નોંધનીય છે કે, ‘370 રૂપિયાની બિરયાની’ વાળા વીડિયો પછી કોમેડિયન પ્રણિત મોરેના શોનો એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ જૂના વીડિયોમાં સેજલ પવાર નામની એક MBBS સ્ટુડન્ટે કહ્યું હતું કે, તે અને તેના સાથી મેડિકલ સ્ટુડન્ટ્સ કોલેજ (KEM હોસ્પિટલ, મુંબઈ)માં મેડિકલ રિસર્ચ અને ડિસેક્શન માટે દાન કરાયેલા પુરુષોના મૃતદેહોના પ્રાઈવેટ પાર્ટ્સને જોતા અને તેમની મજાક ઉડાવતા હતા. વિવાદ વધવાની સાથે સેજલે માફી માંગતા કહ્યું કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહીં થાય.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


