Editor’s View : બાંગ્લાદેશ-ચીની ભાઈ-ભાઈ, ભારત એલર્ટ:તીસ્તા નદી પર ચીનનો ડોળો ને ભારતના 7 રાજ્યો જોખમમાં; 3 હજાર કલાક પછી ખામેની દફનવિધિ, મોદી ઈરાન જશે?
સિંધુ નદીના પાણી માટે પાકિસ્તાન યુદ્ધની ધમકી આપી ચૂક્યું છે. હવે બાંગ્લાદેશ પાસેથી વહેતી તીસ્તા નદી માટે પણ તણાવ વધ્યો છે. થયું છે એવું કે તીસ્તા નદી ભારતના સિક્કીમમાંથી વહીને બંગાળની ખાડીમાં મળે છે. વચ્ચે બે બેરેજ આવે છે. ભારતના જલપાઈગુડીમાં ગાજોલદોબા બેરેજ અને બાંગ્લાદેશમાં તીસ્તા બેરેજ. તીસ્તા બેરેજમાંથી બાંગ્લાદેશને થોડું પાણી મળે છે. બાંગ્લાદેશને વધારે પાણી જોઈએ છે. એટલે નદીને ઊંડી કરવી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું એવું બધું કરવું પડે. આના માટે એક અબજ ડોલર જોઈએ. બાંગ્લાદેશ ઠનઠન ગોપાલ છે. તેણે ચીનને કહ્યું કે, તીસ્તા રિવર પ્રોજેક્ટમાં મદદ કરો. જિનપિંગને પણ ભાવતું’તું ને વૈદ્યે બતાવ્યું. તરત તૈયાર થઈ ગયા. કહ્યું, અમે એક અબજ ડોલર આપીશું. 15% તમારા, બાકીના વ્યાજે. અમારા એન્જિનીયરો, અમારા ટેકનિશિયનો તીસ્તા નદી પાસે હાજર રહેશે. હવે, ભારત માટે સમસ્યા એ છે કે જ્યાં તીસ્તા નદીના ડેવલપમેન્ટનું કામ કરવાનું છે તે બરાબર ચિકન નેક પાસે છે. ચિકન નેક એટલે ભારતના સાત રાજ્યોને જોડતો કટકો. ચીન અહીંયા સુધી આવી જાય તો તો પત્યું. ભારત પર જોખમ વધી જાય, જાસુસી થવા લાગે. સિંધુ નદીના કારણે પાકિસ્તાન સાથે માથાકૂટ ચાલી રહી છે, હવે તીસ્તા નદીના કારણે બાંગ્લાદેશ અને ચીન સાથે શું માથાકૂટ થઈ છે, આજે તે સમજીએ… નમસ્કાર, પાકિસ્તાન તો ભારતનું દેખીતું દુશ્મન છે પણ ચીન ખંધું છે. તે ભારત સાથે સારા સંબંધો રાખવાની વાત કરે છે પણ એ બધો દેખાડો છે. ચીનને ભારતની નજીક આવીને જાસુસી કરવી છે અને તેના માટે ચિકન નેક બહુ સારી જગ્યા છે. ભારતનો ત્રીજો પાડોશી દેશ બાંગ્લાદેશ પણ ભારતને મુશ્કેલીમાં મૂકવા કોઈપણ હદ સુધી જાય તેમ છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હતી ત્યાં સુધી ભારતને વાંધો નહોતો પણ હવે તારિક રહેમાનની સરકાર ચીનના ખોળે બેઠેલી છે, એ જ ભારત માટે ચિંતાનો વિષય છે. હકીકતે થયું છે શું? બાંગ્લાદેશની નવી સરકારે ચીન પાસેથી તીસ્તા રિવર પ્રોજેક્ટને આગળ વધારવામાં મદદ માંગી છે. ઉપરથી આ એક નદી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દેખાય છે, ભારત માટે મુદ્દો માત્ર પાણીનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો છે. કારણ છે સિલિગુડી કોરિડોર, જેને ભારતનું “ચિકન નેક” કહેવાય છે. ભારત, ચીન અને બાંગ્લાદેશ વચ્ચે એક નદી અચાનક સ્ટ્રેટેજિક રીતે ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. આ નદી છે – તીસ્તા નદી. એ જ તીસ્તા, જે હિમાલયમાંથી નીકળે છે, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં અને બાંગ્લાદેશ પાસેથી પસાર થઈને બંગાળના અખાતમાં મળે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ મુદ્દો એટલા માટે ચર્ચામાં આવ્યો કારણ કે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને ચીન પાસેથી તીસ્તા રિવર કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ એન્ડ રિસ્ટોરેશન પ્રોજેક્ટમાં મદદ માંગી છે. લગભગ એક અબજ ડોલરનો આ પ્રોજેક્ટ સત્તાવાર રીતે નદીની સફાઈ, ડ્રેજિંગ, પૂર નિયંત્રણ, સિંચાઈ અને સ્થાનિક વિકાસ માટે બનાવવામાં આવ્યો છે. પણ ભારતમાં આ પ્રોજેક્ટ માત્ર નદીનો પ્રોજેક્ટ નથી, આપણી સુરક્ષાનો સૌથી મોટો પ્રશ્ન પણ છે. તીસ્તા પ્રોજેક્ટને લઈને ચીન અને બાંગ્લાદેશની વધતી નિકટતા ભારતમાં ચિંતા પેદા કરી શકે છે. હવે સમજો કે તીસ્તા પ્રોજેક્ટ આખરે શું છે? બાંગ્લાદેશ ઘણા વર્ષોથી તીસ્તા નદીના રિસ્ટોરેશનની યોજના બનાવી રહ્યું છે. લગભગ 102 કિલોમીટર લાંબા વિસ્તારમાં નદીનું ડ્રેજિંગ, ડેમોનું નિર્માણ, પૂર નિયંત્રણ, સિંચાઈ નેટવર્ક અને સિંચાઈ સુધારો કરવો તે આ યોજનાનો ભાગ છે. બાંગ્લાદેશનો તર્ક છે કે ઉત્તરીય જિલ્લાઓમાં દર વર્ષે પૂર અને જળ સંકટ બંને સમસ્યાઓ ઊભી થાય છે. તેથી તીસ્તા રિસ્ટોરેશન પ્રોજેક્ટ જરૂરી છે. પણ બાંગ્લાદેશ પાસે નથી ભંડોળ, નથી કોઈ ટેકનિકલ પાવર. એટલે તેણે ચીન પાસે મદદ માગી છે. ચીને પણ આ પ્રોજેક્ટમાં લાંબા સમયથી રસ દાખવ્યો છે. તેનું કારણ એ છે કે તીસ્તા નદીના પ્રોજેક્ટના બહાને ચીન ભારતની નજીક તહેનાતી વધારી શકે ને જાસુસી કરી શકે. એટલે આ પ્રોજેક્ટ બાંગ્લાદેશ માટે સારો છે પણ ભારત માટે જોખમી છે. ચિકન નેક શું છે? ચિકન નેકના કારણે 7 રાજ્ય ખતરામાં ભારતનું હોર્મુઝ એટલે ચિકન નેક કોરિડોર જો તમે ભારતનો નકશો જોશો, તો પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગમાં એક અત્યંત સાંકડો ભૂભાગ દેખાશે. આ જ છે ચિકન નેક. આ લગભગ 20 થી 22 કિલોમીટર પહોળો અને લગભગ 60 કિલોમીટર લાંબો ભૂભાગ છે. પરંતુ તેનું મહત્વ તેની પહોળાઈથી નહીં, પરંતુ તેની ભૂમિકાથી છે. ચિકન નેક સાંકડો છતાં એવો મહત્વનો રસ્તો છે કે ભારતના સાત રાજ્યોની રેલવે લાઈનો, નેશનલ હાઈવે, પેટ્રોલિયમ સપ્લાય, ફાઈબર ઓપ્ટિક નેટવર્ક, સૈન્ય લોજિસ્ટિક્સ લગભગ બધું જ આ કોરિડોર પરથી પસાર થાય છે. સમજી લો કે, આ ભારતનું હોર્મુઝ છે. ભારતની અસલી ચિંતા ચીન છે કે રિવર પ્રોજેક્ટ? ભારતની અસલી ચિંતા નદી કરતાં ચીનની હાજરી છે. ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ નવી વાત નથી. ડોકલામ સંકટ, ગલવાનની હિંસક અથડામણ, અરુણાચલ પ્રદેશને લઈને વિવાદ આ બધી ઘટનાઓએ બંને દેશો વચ્ચેના વિવાદને વધુ ઊંડો બનાવ્યો છે. આવા સમયે સવાલ એ થાય કે ભારતના ચીન તીસ્તા પ્રોજેક્ટમાં આટલો રસ કેમ બતાવે છે? જો ચીન આ પ્રોજેક્ટમાં રોકાણ કરે છે, તો તેના એન્જિનિયરો, ટેકનિકલ નિષ્ણાતો, સરવે ટીમ બધા આ વિસ્તારમાં પહોંચશે અને તેઓ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક અને સૌથી સંવેદનશીલ ચિકન નેકની ખૂબ નજીક પહોંચી જશે. અહીંથી જ ભારતની સુરક્ષા ચિંતા શરૂ થાય છે. જો ચીનને આ પ્રોજેક્ટ મળે છે તો ચીની એન્જિનીયરો નદીનો સરવે કરશે. જમીની વિસ્તારનો સરવે કરશે. આ દરમિયાન કોમ્યુનિકેશન નેટવર્ક, આવવા-જવાના રસ્તાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી તમામ જાણકારીઓનું સૈન્ય મહત્વ પણ હોઈ શકે છે. ભારતને આશંકા છે કે લાંબા સમય સુધી હાજરીથી ચીન આ સમગ્ર વિસ્તારને બારીકાઈથી સ્કેન કરી લેશે. શું ચીન ભારતને ચારે બાજુથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે? ભારતમાં ઘણા એક્સપર્ટ આ ઘટનાને “સ્ટ્રિંગ ઓફ પર્લ્સ” અને પ્રાદેશિક ઘેરાબંધીની મોટી વ્યૂહરચના તરીકે જુએ છે. ઉત્તરમાં ચીન પહેલેથી જ તિબેટ અને ચુંબી વેલીમાં હાજર છે. પશ્ચિમમાં પાકિસ્તાન સાથે તેનું ગાઢ લશ્કરી અને આર્થિક ગઠબંધન છે. હિન્દ મહાસાગરમાં ચીને બંદરો અને દરિયાઈ પ્રોજેક્ટ થકી પોતાની હાજરી વધારી છે. શ્રીલંકાના હમ્બનટોટા પોર્ટમાં ચીનની હાજરી, પાકિસ્તાનના ગ્વાદર પોર્ટમાં ચીનની હાજરી, મ્યાંમારમાં ચીની ઈન્વેસ્ટમેન્ટ… આ બધી બાબતો ભારત માટે જોખમી છે. ચીન ધીમે ધીમે ભારતને ચારેય તરફથી ઘેરી રહ્યું છે. હવે જો બાંગ્લાદેશના ઉત્તરીય ભાગમાં પણ ચીનની તહેનાતી થાય છે, તો ભારત માટે વધારે જોખમ સર્જાશે. તીસ્તા પ્રોજેક્ટમાં ચીનની એન્ટ્રીથી ભારત માટે 4 સમસ્યા ચીનને તીસ્તા નદી સાથે કોઈ લેવા-દેવા નથી તીસ્તા નદી સાથે ચીનને કોઈ લેવા-દેવા જ નથી. માત્ર તેનો એક જ સ્વાર્થ છે કે ભારતની નજીક રહીને જાસુસી થઈ શકે. હકીકતે ચીને બાંગ્લાદેશને 2022માં તીસ્તા પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. એ વખતે શેખ હસીના વડાપ્રધાન હતા. શેખ હસીના જાણતા હતા કે ચીન સ્વાર્થી છે અને આ પ્રોજેક્ટથી ભારત માટે જોખમ ઊભું થઈ શકે છે. એટલે શેખ હસીનાએ ચીનનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એ પછી બાંગ્લાદેશમાં બળવો થયો ને શેખ હસીના ભાગીને ભારત આવી ગયાં. બાંગ્લાદેશમાં ચૂંટણીઓ થઈને હવે તારિક રહેમાન વડાપ્રધાન છે. ચીન જાણે છે કે તારિક રહેમાન ભારત વિરોધી છે એટલે તેણે ફરીથી આ પ્રોજેક્ટ માટે પ્રસ્તાવ મોકલ્યો છે. બાંગ્લાદેશને તીસ્તાનું 37.5% પાણી મળે છે, હવે 50% જોઈએ છે ભારત- બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા જળ કરાર થયો નથી, વહેંચણીનો વિવાદ ચાલે છે ભારત-બાંગ્લાદેશમાં માત્ર 2 નદીઓ પર સમજૂતી થઈ ચૂકી છે છેલ્લે, ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેની યુદ્ધમાં 28 ફેબ્રુઆરી 2026એ માર્યા ગયા. હજુ સુધી તેના સુપુર્દ-એ-ખાક થયા નથી. 4 જુલાઈથી તેની ક્રિયાઓ શરૂ થશે અને 9 જુલાઈએ 3 હજાર કલાક પછી મશહદમાં ખામેનીની દફનવિધિ થશે. આ દફનવિધિ માટે નરેન્દ્ર મોદીને ઈરાનના રાષ્ટ્રપતિએ આમંત્રણ મોકલ્યું છે. જોવાનું એ છે કે મોદી ઈરાન જાય છે કે નહીં. જોકે ઈરાન સાથે સંબંધ સુધારવાની આ તક છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

