HDFC Bank Chairman Resigns; Keki Mistry Interim Chairman

Last Updated: March 19, 2026By

મુંબઈ2 કલાક પેહલા

  • કૉપી લિંક

HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અતનુ ચક્રવર્તીએ 18 માર્ચના રોજ મોડી રાત્રે રાજીનામું આપી દીધું. બેંકે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે.

ચક્રવર્તીએ બેંકના કામકાજની રીતો પર સવાલો ઉઠાવ્યા છે. તેમના ગયા પછી રિઝર્વ બેંકની મંજૂરીથી કેકી મિસ્ત્રીને 19 માર્ચથી ત્રણ મહિના માટે વચગાળાના ચેરમેન બનાવવામાં આવ્યા છે.

રાજીનામાના સમાચાર પછી આજે HDFCના શેરમાં 5%નો ઘટાડો જોવા મળ્યો છે. તે 43 રૂપિયા ઘટીને 800 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. આ વર્ષે HDFC બેંકનો શેર લગભગ 20% તૂટી ચૂક્યો છે.

ચક્રવર્તી બોલ્યા- બેંકની પ્રેક્ટિસ મારા એથિક્સ સાથે મેળ ખાતી નથી

અતનુ ચક્રવર્તીએ તેમના રાજીનામા પત્રમાં બેંકના આંતરિક કલ્ચર અને કામકાજ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન મેં બેંકની અંદર કેટલીક એવી ઘટનાઓ અને પ્રથાઓ જોઈ છે, જે મારા વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતાને અનુરૂપ નથી.

કેકી મિસ્ત્રીને 3 મહિના માટે કમાન સોંપવામાં આવી

કેકી મિસ્ત્રી હાલમાં બેંકના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેઓ HDFC લિમિટેડના બેંકમાં વિલિનીકરણ પહેલા તેના વાઇસ ચેરમેન અને CEO રહી ચૂક્યા છે. બેંકિંગ સેક્ટરમાં તેમના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને તેમને હાલમાં 3 મહિના માટે કમાન સોંપવામાં આવી છે.

કેકી મિસ્ત્રીએ ગુરુવારે રોકાણકારો અને હિતધારકોને ખાતરી આપી હતી કે બેંક સંપૂર્ણપણે સ્થિર છે. બેંકમાં ચિંતાજનક કોઈ મોટી વાત નથી. મિસ્ત્રીએ કહ્યું કે બોર્ડ દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંકમાં વિશ્વાસ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

કાર્યભાર સંભાળ્યા બાદ કેકી મિસ્ત્રીએ ખાતરી આપી કે બેંક સંપૂર્ણપણે સ્થિર છે અને ચિંતાની કોઈ મોટી વાત નથી.

કાર્યભાર સંભાળ્યા બાદ કેકી મિસ્ત્રીએ ખાતરી આપી કે બેંક સંપૂર્ણપણે સ્થિર છે અને ચિંતાની કોઈ મોટી વાત નથી.

રિઝર્વ બેંકે કહ્યું- HDFCમાં કોઈ ગંભીર ચિંતાની વાત નથી

આ મામલે રિઝર્વ બેંકે કહ્યું કે HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન પદને લઈને બેંક તરફથી જે અસ્થાયી વ્યવસ્થા માંગવામાં આવી હતી, તેને રિઝર્વ બેંકે મંજૂરી આપી દીધી છે.

HDFC બેંક દેશની એક ‘સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક’ છે, જેની નાણાકીય સ્થિતિ મજબૂત છે. બોર્ડ વ્યવસાયિક રીતે કામ કરી રહ્યું છે અને મેનેજમેન્ટ ટીમ ખૂબ જ સક્ષમ છે.

બેંકના કામકાજ કે ગવર્નન્સને લઈને હાલમાં કોઈ ગંભીર ચિંતાની વાત નથી. બેંક પાસે પૂરતી મૂડી છે અને લિક્વિડિટી એટલે કે રોકડની સ્થિતિ પણ સંતોષજનક છે. રિઝર્વ બેંક આગળના રસ્તાઓને લઈને બેંકના બોર્ડ અને મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં રહેશે.

મર્જર પછી દેશની બીજી સૌથી મોટી બેંક બની હતી HDFC

ચક્રવર્તીએ કાર્યકાળ દરમિયાન થયેલી મોટી સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે તેમના સમયમાં જ HDFC લિમિટેડનું બેંક સાથે વિલિનીકરણ થયું, જેનાથી તે દેશની બીજી સૌથી મોટી બેંક બની ગઈ. તેમણે એ પણ ઉમેર્યું કે આ મર્જરના પૂરા ફાયદા મળવા હજુ બાકી છે.

1985 બેચના નિવૃત્ત IAS અધિકારી છે અતનુ ચક્રવર્તી

અતનુ ચક્રવર્તી 1985 બેચના ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. 35 વર્ષની સેવા દરમિયાન તેમણે આર્થિક બાબતોના સચિવ જેવા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું છે. તેઓ બજેટ બનાવવાની પ્રક્રિયા અને રોકાણ વિભાગના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

  • એપ્રિલ 2021માં ચક્રવર્તીને HDFC બેંકના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
  • મે 2024માં ફરીથી આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • તેમનો આ કાર્યકાળ મે 2027 સુધી ચાલવાનો હતો.