Imran Khan Hospital Security Breach; Shifa International Islamabad Lockdown
ઇસ્લામાબાદ14 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ગુરુવારે રાત્રે રાવલપિંડીની અડિયાલા જેલમાંથી ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
ઇમરાનના હોસ્પિટલ પહોંચતા જ બિલ્ડિંગની બધી લાઈટો બંધ કરી દેવામાં આવી. હોસ્પિટલ સ્ટાફના મોબાઈલ જમા કરાવી લેવામાં આવ્યા. ગેટની બહાર હાજર મીડિયાકર્મીઓને હટાવી દેવામાં આવ્યા.
ઇમરાનને સુપ્રીમ કોર્ટના આદેશ પછી સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. કોર્ટે મંગળવારે આદેશ આપ્યો હતો કે ઇમરાન ખાનને બે દિવસની અંદર હોસ્પિટલ લઈ જવામાં આવે. તેમને 16 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
તેમના પરિવારે અને વકીલોએ તેમની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાની પસંદગીના ડોક્ટરો પાસે સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી હતી.

આ શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલના અંદરના ફૂટેજ છે. જ્યાં લાઈટ્સ બંધ છે, ફક્ત અંધારું છે.

સુરક્ષાકર્મીઓએ શિફા હોસ્પિટલની બહાર તૈનાત મીડિયાકર્મીઓને હટાવી દીધા હતા.
પાકિસ્તાન સરકારે આદેશને ફરી પડકાર્યો
પાકિસ્તાન સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ફરીથી રિવ્યુ પિટિશન દાખલ કરી છે. તેમાં માંગ કરવામાં આવી છે કે ઇમરાન ખાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં મોકલવાના આદેશને બદલવામાં આવે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે શરૂઆતમાં કહ્યું હતું કે તે કોર્ટના આદેશનો અમલ કરશે પરંતુ બાદમાં તેણે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને આદેશ પર ફરીથી વિચાર કરવા અને તેને પાછો ખેંચવાની માંગ કરી.
રિપોર્ટ્સ અનુસાર, સરકારની પહેલી રિવ્યુ પિટિશન કોર્ટના રજિસ્ટ્રાર ઑફિસે પરત કરી દીધી હતી. તેનું કારણ અરજી સાથે જરૂરી દસ્તાવેજોનો પૂરો સેટ એટલે કે પેપર બુક્સ ન હોવાનું જણાવાયું હતું.

ઇમરાન મે 2024માં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયા હતા.
ઇમરાનના વકીલે કહ્યું- જેલ પ્રશાસને પૂર્વ PMને મળવા દીધા નહીં
સુપ્રીમ કોર્ટની નિર્ધારિત સમયમર્યાદા વીતી ગયા પછી ઇમરાન ખાનના વકીલ ખાલિદ યુસુફ ચૌધરીએ કહ્યું કે તેઓ અડિયાલા જેલની બહાર હાજર હતા, પરંતુ તેમને ઇમરાનને મળવા દેવામાં આવ્યા ન હતા.
ચૌધરીના જણાવ્યા અનુસાર, તેમને ઇમરાન ખાન પાસેથી અવમાનના અરજી અને પાવર ઓફ એટર્ની પર તેમની સહી કરાવવાની હતી પરંતુ જેલ પ્રશાસને તેમને મળવાની મંજૂરી આપી ન હતી.
વકીલે આરોપ લગાવ્યો કે તેમને ઇમરાનને મળતા રોકવાનો હેતુ સુપ્રીમ કોર્ટમાં તેમની સારવારને લઈને અવમાનના અરજી દાખલ કરતા રોકવાનો છે.
તેમણે કહ્યું, “અમે તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરીશું.”

ઇમરાન ખાનના વકીલ ખાલિદ યુસુફ ચૌધરી.
મેડિકલ રિપોર્ટમાં ઇમરાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા
કોર્ટમાં રજૂ કરાયેલી મેડિકલ રિપોર્ટમાં ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, તેમના બ્લડ પ્રેશરમાં વધઘટ, હૃદયના ધબકારા તેજ થવા અને ખૂબ જ માનસિક તણાવની સમસ્યા સામે આવી.
ઇમરાનનું તાજેતરનું બ્લડ પ્રેશર 140/80 નોંધવામાં આવ્યું, જ્યારે તેમની નાડી પ્રતિ મિનિટ 54 વાર હતી. ફેબ્રુઆરીમાં તેમનું બ્લડ પ્રેશર 120/80 હતું, જે સામાન્ય માનવામાં આવે છે.
ઇમરાનની સારવાર માટે મેડિકલ બોર્ડ બનશે
સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનના સ્વાસ્થ્યની તપાસ માટે મેડિકલ બોર્ડ બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ઇમરાનની બહેન ડો. ઉઝમા ખાન અને તેમના અંગત ડોક્ટરને પણ મેડિકલ બોર્ડમાં સામેલ કરવા જણાવ્યું છે. મેડિકલ બોર્ડમાં ઘણા નિષ્ણાત ડોકટરો હશે. તેઓ સાથે મળીને ઇમરાનની સંપૂર્ણ તપાસ કરશે અને જૂના મેડિકલ રિપોર્ટ પણ જોશે.
આ પછી ડોકટરો શોધી કાઢશે કે તેમને શું તકલીફ છે, બ્લડ ક્લોટ શા માટે બની રહ્યો છે અને આગળ કોઈ ખતરો તો નથી ને. તપાસ પછી બોર્ડ જણાવશે કે ઇમરાનને કઈ સારવારની જરૂર છે અને તેમની સારવાર જેલમાં થઈ શકે છે કે હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે.
ઇમરાન ઓગસ્ટ 2023 થી જેલમાં છે
73 વર્ષીય ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. તેમને સૌપ્રથમ તોશાખાના કેસમાં 3 વર્ષની સજા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની સામે સિફર, અલ-કાદિર ટ્રસ્ટ અને ઇદ્દત નિકાહ સહિત અનેક કેસ નોંધાયા હતા.
બાદમાં સિફર અને ઇદ્દત નિકાહ કેસમાં તેમને કોર્ટમાંથી રાહત મળી હતી. તોશાખાના કેસમાં પણ તેમની એક સજા પર રોક લગાવી દેવામાં આવી હતી. આમ છતાં, અન્ય કેસોને કારણે તેઓ હજુ જેલમાં છે.
ઇમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈનું કહેવું છે કે 2022માં વડાપ્રધાન પદ પરથી હટ્યા બાદ તેમની સામે રાજકીય કારણોસર કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો આરોપ છે કે તેમને રાજકારણ અને ચૂંટણીથી દૂર રાખવા માટે આવું કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, પાકિસ્તાન સરકાર અને તપાસ એજન્સીઓ આ આરોપોને નકારે છે અને કહે છે કે આ મામલાઓ કાયદાકીય પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યા છે.
——————-
આ સમાચાર પણ વાંચો…
નવ મહિના પછી ઇમરાન ખાન બહેન અને પત્નીને મળ્યા:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અડિયાલા જેલ પહોંચ્યા; પૂર્વ PMને હોસ્પિટલ ખસેડવામાં આવશે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને તેમની બહેન નોરીન નિયાઝી અને પત્ની બુશરા બીબીએ અડિયાલા જેલમાં મળ્યા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ મુલાકાત થઈ. નોરીન 9 મહિના પછી ઇમરાનને મળ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


