Mahisagar : ચૂંટણીમાં પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું | Gujarat News

Last Updated: April 6, 2026By

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સાસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ એપ્રિલ-2026 મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા અંગેનો કાર્યક્રમ જાહેર થયેલો છે. ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારમાં પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. આ હેતુ માટે તેઓ દ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે જરૂરી

તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે જરૂરી છે. ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની અસર સામાન્ય જનમાનસ તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવારો ઉપર પણ થાય છે. જેના કારણે સાચી ખોટી ફરિયાદો ઉપસ્થિત થવાની, ઉમેદવારોના એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ થાય અને ઘર્ષણ ઉભુ થવાની તેમજ સુલેહ શાંતી ભંગ થવાની સંભાવના રહે છે. તે અનુસંધાને મહિસાગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી.લટા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રજિસ્ટર કરેલા વાહનની પરમીટ મેળવવાની રહેશે

કોઇપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઇપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો મહીસાગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડો સ્ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે.

ત્રણથી વધુ મોટરકાર વાહન ઉપર હરવા-ફરવા ઉપર પ્રતિબંધ

આ પરમીટમાં વાહન ક્યા મતદાર વિભાગના ક્યા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે. તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. વપરાશમાં લેવાયેલા વાહનનો ખર્ચ ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈ પણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહીં. વધુમાં ત્રણથી વધુ મોટરકાર વાહન ઉપર હરવા-ફરવા ઉપર પ્રતિબંધિત ગણાશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

આ પણ વાંચો : Ahmedabad News: ટિકિટની જાહેરાત બાદ તોડફોડ થવાના ડરથી કોંગ્રેસે કાર્યાલય પર બાઉન્સર તૈનાત કર્યા