PoK Protest Violence: Pakistan Forces Fire on 40,000 Gathered

Last Updated: July 5, 2026By

11 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં રવિવારે જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) ની શાંતિપૂર્ણ પ્રદર્શન રેલી પર પાકિસ્તાની દળોએ ગોળીબાર કર્યો. ANI ના અહેવાલ મુજબ, JAAC એ દાવો કર્યો કે અબ્બાસપુરના સરદાર ગુલામ હુસૈન ખાન સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં લગભગ 40,000 લોકો એકઠા થયા હતા.

સંગઠનનો આરોપ છે કે ડુડિયાલના AMB વિસ્તારમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો, જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જોકે, ઘાયલોની સત્તાવાર સંખ્યા કે પાકિસ્તાન પ્રશાસન તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

JAAC નું કહેવું છે કે આ પ્રદર્શન ઇસ્લામાબાદ સરકાર વિરુદ્ધ છે. સાથે જ, આ આંદોલન JAAC ના નેતાઓ અને કાર્યકરોની ધરપકડ, વહીવટી નિષ્ફળતાઓ અને મૂળભૂત અધિકારોની માંગને લઈને ચાલી રહ્યું છે. સંગઠને ધરપકડ કરાયેલા નેતાઓ અને કાર્યકરોની તાત્કાલિક મુક્તિની માગ કરી છે.

પાકિસ્તાની સેનાની ફાયરિંગના તસવીરો

ઘણા વિસ્તારોમાંથી લોકો પહોંચ્યા, વિદેશમાં પણ પ્રદર્શન

રિપોર્ટ અનુસાર, ડેરા ઇસ્માઇલ ખાનમાં ચાલી રહેલા ધરણા સ્થળ પર પણ ઘણા અલગ-અલગ વિસ્તારોમાંથી લોકોના કાફલા સતત પહોંચતા રહ્યા. પ્રદર્શનમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની પણ મોટી ભાગીદારી નોંધાઈ.

JAAC એ જણાવ્યું કે રાવલાકોટ અને ચકની મહિલાઓ પણ રસ્તાઓ પર ઉતરીને આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. સંગઠનનો દાવો છે કે પ્રદર્શનકારીઓ પ્રશાસનના દબાણ છતાં પાછા હટ્યા નથી.

JAAC ની અપીલ પર ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા કાશ્મીરી સમુદાયે પણ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ JAAC ના કોર કમિટી સભ્ય શૌકત નવાઝ મીરની ધરપકડનો વિરોધ કર્યો અને તેમની મુક્તિની માગ કરી.

JAAC નું કહેવું છે કે શૌકત નવાઝ મીરની ધરપકડ પછી સમગ્ર PoJK માં તણાવ વધી ગયો છે. સંગઠને સોશિયલ મીડિયા પર ‘રીલિઝ શૌકત મીર’ અભિયાન ચલાવ્યું, જેના હેઠળ લોકોને આંદોલનમાં જોડાવા અપીલ કરી. પ્રદર્શન દરમિયાન ‘લોંગ લીવ કાશ્મીર’ અને ‘લોંગ લીવ ધ પીપલ’ જેવા નારા લગાવવામાં આવ્યા.

5 લાખ લોકોને એકઠા કરવાનું લક્ષ્ય

JAAC એ સોશિયલ મીડિયા પર PoK ના 10 જિલ્લાઓની અંદાજિત વસ્તીના આંકડા શેર કર્યા. સંગઠન મુજબ, જો દરેક જિલ્લામાંથી 50 હજાર લોકો પ્રદર્શનમાં સામેલ થાય તો કુલ સંખ્યા પાંચ લાખ સુધી પહોંચી શકે છે. સંગઠને લોકોને સફેદ ધ્વજ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા અને અનુશાસન જાળવી રાખવા અપીલ કરી. તેનું કહેવું છે કે ઉદ્દેશ્ય દુનિયાને એ સંદેશ આપવાનો છે કે પ્રદર્શન ફક્ત મૂળભૂત અધિકારોની માગ માટે છે.

ગયા મહિને હિંસામાં 30 લોકોના મોત થયા હતા

8 જૂને PoKમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ હિંસા જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) અને પ્રાદેશિક સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન થઈ હતી.

રિપોર્ટ અનુસાર મૃતકોમાં 4 પોલીસકર્મી સામેલ છે. જ્યારે 23 સુરક્ષાકર્મી અને લગભગ 50 પ્રદર્શનકારી ઘાયલ થયા છે. પોલીસે અત્યાર સુધીમાં 30 લોકોની ધરપકડ કરી છે.

PoKમાં JAAC અને સરકાર વચ્ચે વિધાનસભાની 12 આરક્ષિત બેઠકોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ બેઠકો તે શરણાર્થીઓ માટે આરક્ષિત છે જેઓ જમ્મુ-કાશ્મીરથી પાકિસ્તાનના અન્ય ભાગોમાં જઈને વસ્યા હતા. JAAC આ બેઠકો સમાપ્ત કરવાની માગને લઈને આંદોલન કરી રહ્યું છે.

રાવલકોટમાં રવિવારે પોલીસ અને JAAC કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ. (આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે.)

રાવલકોટમાં રવિવારે પોલીસ અને JAAC કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ. (આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે.)

ભારતે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી

PoK માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર ભારતે પાકિસ્તાન પર ફેક ન્યૂઝ અને ફેક વીડિયો ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ મામલે પાકિસ્તાન તરફથી સતત ખોટા સમાચાર અને વીડિયો ફેલાવવાની પેટર્ન જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે આ પોતાની નિષ્ફળતાઓને છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘન પરથી ધ્યાન હટાવવાનો નિરાશાજનક પ્રયાસ છે.

રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પોલીસની ક્રૂરતાના અહેવાલો સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે.

તેમણે કહ્યું કે ભારતને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનના ખોટા કાર્યો અને માનવાધિકાર ઉલ્લંઘન માટે તેને જવાબદાર ઠેરવશે.

JAAC પર પ્રતિબંધ લાગ્યો, ત્યારબાદ હિંસા ભડકી

સરકારે 5 જૂને JAAC પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારથી વિસ્તારમાં તણાવ સતત વધી રહ્યો છે.

રવિવારે JAAC કાર્યકર્તા સંગઠનના એક સભ્યના મૃત્યુના વિરોધમાં હોસ્પિટલના શબઘરની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. સભ્યનું મૃત્યુ કથિત રીતે પોલીસ ફાયરિંગમાં થયું હતું. પોલીસ જ્યારે પ્રદર્શનકારીઓને હટાવવા પહોંચી, ત્યારે અથડામણ શરૂ થઈ ગઈ અને હિંસા ફેલાઈ ગઈ.

રાવલકોટના કમિશનર સરદાર વહીદ ખાને રોયટર્સને જણાવ્યું કે પ્રદર્શનકારીઓના ગોળીબારમાં ચાર પોલીસકર્મીઓ અને એક રાહદારીનું મૃત્યુ થયું. તેમણે દાવો કર્યો કે તેના જવાબમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં છ પ્રદર્શનકારીઓ માર્યા ગયા.

પાકિસ્તાની અખબાર ડોન અનુસાર પોલીસનો આરોપ છે કે JAAC સાથે સંકળાયેલા લોકોએ સુરક્ષાકર્મીઓ પર શોટગન અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો. પોલીસે આ ઘટનાને આતંકવાદી કાર્યવાહી ગણાવતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા તથા નાગરિકોની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

PoK માં 27 જુલાઈએ ચૂંટણી

ગિલગિટ-બાલ્ટિસ્તાન પછી 27 જુલાઈએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં વિધાનસભા ચૂંટણી યોજાશે. PoK ની વિધાનસભામાં કુલ 53 બેઠકો છે. તેમાંથી 45 બેઠકો પર સીધી ચૂંટણી થાય છે, જ્યારે 8 બેઠકો મહિલાઓ, ટેકનિકલ નિષ્ણાતો અને ધાર્મિક વિદ્વાનો માટે અનામત છે.

PoK માં વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. આ પહેલા 2021 માં PoK વિધાનસભા ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી (PTI) એ 45 માંથી 25 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. ત્યારબાદ સરદાર અબ્દુલ કય્યુમ નિયાઝી વડાપ્રધાન બન્યા. જોકે એપ્રિલ 2022 માં ઇમરાન ખાનની સરકાર પડી ગઈ. તેની અસર ત્યાંની રાજનીતિ પર પણ પડી.

મે 2022 માં સરદાર અબ્દુલ કય્યુમ નિયાઝીએ રાજીનામું આપી દીધું. ત્યારબાદ PTI એ જ સરદાર તનવીર ઇલિયાસને નવા વડાપ્રધાન બનાવ્યા. પરંતુ એપ્રિલ 2023 માં PoK ની ઉચ્ચ અદાલતે તેમને અદાલતની અવમાનનાના કેસમાં અયોગ્ય જાહેર કર્યા. ત્યારબાદ તેમનું પદ જતું રહ્યું અને ફરી એકવાર નવા વડાપ્રધાનની પસંદગી કરવી પડી.

આ પછી PTI ના જ ચૌધરી અનવરુલ હક વડાપ્રધાન બન્યા. પરંતુ થોડા જ સમય પછી તેમણે ઇમરાન ખાન અને PTI થી અંતર કરી લીધું અને પોતાને સ્વતંત્ર નેતા તરીકે સ્થાપિત કર્યા. ચૌધરી અનવરુલ હકને પણ નવેમ્બર 2025 માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા, અને હવે ત્યાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના ફૈસલ મુમતાઝ રાઠોર નવા વડાપ્રધાન છે.