Tech : સાવધાન! સ્માર્ટફોનને 100% ચાર્જ કરવો છે ખતરનાક, જાણો શું છે બેટરી સેવિંગનો 80-20 નિયમ?

Last Updated: February 2, 2026By

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી એક નાની ભૂલ ફોનની બેટરીને કાયમ માટે બગાડી શકે છે? મોટાભાગના લોકો ફોનને 100% ચાર્જ કરવાની આદત ધરાવે છે અથવા રાતભર ચાર્જિંગમાં મૂકી રાખે છે. નિષ્ણાતોના મતે, આ આદત બેટરીની આવરદા ઘટાડે છે અને ફોન ગરમ થવાને કારણે શોર્ટ-સર્કિટનું જોખમ પણ વધારે છે. આ સમસ્યાથી બચવા માટે ’80-20 નિયમ’ શ્રેષ્ઠ ઉપાય છે.

શું છે 80-20 નિયમ?

સ્માર્ટફોનમાં વપરાતી લિથિયમ-આયન બેટરી પર વધુ પડતા ચાર્જિંગથી દબાણ આવે છે. 80-20નો નિયમ સૂચવે છે કે તમારે તમારા ફોનને મહત્તમ 80% સુધી જ ચાર્જ કરવો જોઈએ અને જ્યારે બેટરી ઘટીને 20% પર પહોંચે ત્યારે જ તેને ફરી ચાર્જિંગમાં મૂકવો જોઈએ. બેટરીને વારંવાર થોડા-થોડા અંતરે ચાર્જ કરવી કે તેને સંપૂર્ણ શૂન્ય થવા દેવી – આ બંને પદ્ધતિઓ બેટરી હેલ્થ માટે નુકસાનકારક છે.

ચાર્જિંગ લિમિટ કેવી રીતે સેટ કરવી?

હવે મોટાભાગના સ્માર્ટફોનમાં બેટરી લિમિટ સેટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે:
iPhone યુઝર્સ: સેટિંગ્સમાં જઈ ‘Battery Health & Charging’ વિકલ્પમાં ‘Optimized Battery Charging’ ચાલુ કરી શકે છે. નવા મોડલ્સમાં ‘80% Limit’ નો સીધો ઓપ્શન પણ મળે છે.
Android યુઝર્સ: ફોનના ‘Settings’ માં ‘Battery’ અથવા ‘Protect Battery’ સર્ચ કરો. અહીં તમને ચાર્જિંગને 80% કે 85% પર અટકાવવાનો વિકલ્પ મળશે.
આ નાનકડો ફેરફાર તમારા ફોનની બેટરીને લાંબા સમય સુધી નવી જેવી રાખશે અને સુરક્ષામાં પણ વધારો કરશે.

Leave A Comment