કૃષ્ણના જન્મથી વૈકુંઠધામની યાત્રા સુધીનું છંદ શૈલીમાં ભવ્ય મંચન:અમદાવાદમાં 'મેરે કૃષ્ણ' નાટક યોજાશે; સૌરભરાજ જૈને કહ્યું- 'દ્વારિકાનું અદ્ભૂત આલેખન કરાયું છે'
કૃષ્ણ મથુરા છોડી દ્વારિકાના રણછોડ રાય બન્યા ને ભાલકામાં લીલા સંકેલી સ્વધામ ગયા. કૃષ્ણની જન્મભૂમિ ભલે મથુરા હોય પણ તેમની કર્મ ભૂમિ ગુજરાત રહી છે. દરેક ગુજરાતીની સવાર ‘જય શ્રીકૃષ્ણ’ સાથે થાય છે. ત્યારે ગુજરાતીઓને અને ખાસ કરીને અમદાવાદના લોકોને કૃષ્ણભક્તિમાં તરબોળ કરવા ‘શ્રીકૃષ્ણ’ સૌરભરાજ જૈન, પૂજા શર્મા અને અર્પિત રંકા ભવ્ય નાટક ‘મેરે કૃષ્ણ’ લઈને આવી રહ્યા છે. ટીવી સિરિયલ ‘મહાભારત’માં ‘શ્રીકૃષ્ણ’નું પાત્ર ભજવીને ઘરે ઘરે જાણીતા થયેલા સૌરભરાજ જૈન આ નાટકમાં ફરી શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવી રહ્યા છે. ‘મહાભારત’માં દ્રૌપદી બનેલા પૂજા શર્મા ‘મેરે કૃષ્ણ’ નાટકમાં મહામાયા અને રાધારાણીનું જ્યારે અર્પિત રંકા દુર્યોધન અને કંસના પાત્રમાં જોવા મળશે. અમદાવાદમાં 28 અને 29 માર્ચે યોજાનારા નાટક પહેલા ડ્રામાના ડિરેક્ટર અને કૉ-પ્રોડ્યુસર રાજીવ સિંહ દિનકર, પ્રોડ્યુસર વિવેક ગુપ્તા, લેખક ડૉ. નરેશ કાત્યાયન અને સ્ટારકાસ્ટે નાટક વિશે રસપ્રદ વાતો શેર કરી હતી. 60 કલાકારો સહિત 160થી વધુની ટીમ પ્રોડ્યુસર વિવેક ગુપ્તાએ નાટકનો પરિચય આપતા કહ્યું કે, ‘નાટક દ્વારા શ્રીકૃષ્ણના જન્મથી લઈને વૈકુંઠધામ જવા સુધીના અધ્યાયોને સામેલ કર્યા છે. તેમાં મહામાયા સૂત્રધારની ભૂમિકા ભજવશે. આ નાટક 3 કલાકનું છે અને તેમાં અંદાજિત 60 કલાકારો અને 60 ટેકનિશિયન્સ છે. ઉપરાંત ગુજરાતમાં શો થઈ રહ્યા છે, તેથી અહીંના પણ 30થી 40 લોકો કામ કરશે. એટલે અમારી ટીમ કુલ 160થી વધુ લોકોની છે. ગુજરાતમાં અમારું આ પહેલું મંચન છે. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ શો છે.’ ‘પ્રેક્ષકોનો પ્રતિભાવ અલગ ઊર્જા આપે છે’ સૌરભ રાજ જૈને દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, નાટક પૂરું થયા બાદ પ્રેક્ષકોનો કેવો પ્રતિસાદ મળે છે. તેમણે કહ્યું કે, ‘પ્રેક્ષકોનું લાઇવ રિએક્શન અલગ લેવલની એનર્જી આપે છે. થિયેટરમાં પરફોર્મ કરવાનો આ મારો પહેલો અનુભવ છે, તેથી મારા મગજમાં પણ ઘણી આશંકાઓ હતી, પરંતુ હવે જ્યારે અમે મુંબઈમાં 4 શો કરી ચૂક્યા છીએ, ત્યારે હું કહી શકું છું કે પ્રેક્ષકોનો અઢળક પ્રેમ મળ્યો. પણ આ માત્ર મારા લીધે નથી, અમારા જે ડિરેક્ટર છે રાજીવજી, લેખક છે તેમણે એટલું અદ્ભુત લખ્યું છે અને અદ્ભુત બનાવ્યું છે કે લોકોને ખૂબ પસંદ પડી રહ્યુ છે.’ નાટકમાં દ્વારિકાના આલેખન અંગે પૂછતા સૌરભરાજ જૈને કહ્યું કે, ‘નાટકમાં ઘણા બધા દૃશ્યો દ્વારિકાના છે, તેને અદ્ભૂત રીતે દેખાડવામાં આવ્યું છે.’ આ ઉપરાંત તેમણે કહ્યું કે, ‘આ નાટકમાં છંદમાં રજૂ કરવામાં આવ્યું છે. છંદને યાદ રાખવામાં ઘણી મહેનત કરવી પડી. અમે સતત રિહર્સલ કરીએ છીએ. શો પૂરો થયા પછી પણ સતત રિહર્સલ કરવામાં આવે છે. આ દરમિયાન અમે અમારી જાતને ઈશ્વર અને ડિરેક્ટર પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત કરી દઈએ છીએ.’ ‘બે પાત્રો ભજવવાની તક મળી’ દુર્યોધન અને કંસની ભૂમિકા ભજવનાર અર્પિત રંકાએ કહ્યું કે, ‘વાસ્તવિક જીવનમાં મને ભગવાનમાં ખૂબ આસ્થા છે. તે જ આસ્થાના કારણે મને આ પાત્રો મળ્યા છે. કંસ હોય કે દુર્યોધન, બંને ભગવાન કૃષ્ણનું જ નામ લે છે.’ પૂજા શર્માએ કહ્યું કે, ‘આ નાટકમાં મને બે પાત્રો ભજવવાની તક મળી રહી હતી, એક રાધારાણી અને બીજું મહામાયા, અને બંને જ પોતનામાં ખૂબ અલગ છે. બંનેના રસ એકબીજાથી તદ્દન અલગ છે. તેથી મારા માટે એક એક્ટર તરીકે મારી રેન્જને મોટી કરવાની એક તક હતી. સૌરભને હું સખા કહું છું. સખા જેવો સારો એક્ટર મળે તે સૌભાગ્યની વાત કહેવાય. જ્યારે અમે બંને સાથે કામ કરીએ છીએ, ત્યારે બધું ખૂબ સરળતાથી થઈ જાય છે.’ ‘વાર્તા લખવાની શરૂ કરી ત્યારથી જ કૃષ્ણ તરીકે સૌરભને જ ધ્યાને લીધા’ ડિરેક્ટર રાજીવ સિંહ દિનકરે કહ્યું, ‘ત્રણેય માટે રંગમંચનો પહેલો અનુભવ હતો છતાં ત્રણેય એટલા અદ્ભૂત એક્ટર્સ છે કે, મારે વધારે મહેનત કરવાની જરૂર જ નથી પડી. આજે જે નાટક તૈયાર થયું છે, તેમાં એક મોટો ફાળો સૌરભરાજ જૈનનો પણ છે. તેમણે સ્ક્રિપ્ટમાં, ગીતમાં ઘણા સૂચન આપ્યા. વાર્તા લખવાની શરૂ કરી ત્યારથી જ હું સૌરભને કૃષ્ણ તરીકે જોઈ રહ્યો હતો.’ નાટકના લેખક ડૉ. નરેશ કાત્યાયને કહ્યું કે, ‘અઢી વર્ષ પહેલા નાટકની રચનાની શરૂઆત થઈ હતી. નાટકના મૂળમાં ભક્તિની અવધારણા છે. અત્યારે ભગવાન રામનું સ્મરણ જેટલું આવશ્યક છે, તેટલું જ કૃષ્ણનું દાયિત્વ અને ભૂમિકા આવશ્યક છે. ભગવાન કૃષ્ણએ દરેક ક્ષણે જે સંઘર્ષ કર્યો છે, તેને દર્શકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે.’ શાન, જાવેદ અલી અને પલક મુછાલના સૂરો ‘મેરે કૃષ્ણ’ની પટકથાને ઉદભવ ઓઝા દ્વારા તૈયાર કરાયેલા સંગીતથી વધુ નિખારવામાં આવી છે. ડૉ. નરેશ કાત્યાયન, અમિત મારુ અને ફણીન્દ્ર રાવના ભાવવાહી ગીતોને બોલિવૂડના પ્રખ્યાત સિંગર શાન, જાવેદ અલી અને પલક મુછાલે સ્વરબદ્ધ કર્યાં છે. કૃષ્ણ ભગવાનની માનવ લિલાને રાજીવ સિંહ દિનકરે નાટ્યમંચ પર ડિરેક્ટ કરી છે, જ્યારે વિવેક ગુપ્તા, વિષ્ણુ પાટીલે નાટકને પ્રોડ્યુસ કર્યું છે. આ ભવ્ય મંચન અમદાવાદમાં 28 અને 29 માર્ચના રોજ ઔડા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

