હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું:ઈરાન અને US નેવી વચ્ચે ફાયરિંગમાં સલાયાના ખલાસીનું મોત-17ને બચાવ્યા, ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરીનો દાવો
આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા તણાવનો ભોગ હવે ગુજરાતના સાગરખેડૂઓ બની રહ્યા છે. ગત 7મી મેના રોજ સ્ટ્રેટ ઓફ હોરમુઝ (Strait of Hormuz) માં ઈરાન અને અમેરિકાની નેવી વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક માલવાહક વહાણ ડૂબી ગયું છે. આ ઘટનામાં વહાણના એન્જિન રૂમમાં ફરજ બજાવતા અલ્તાફ તાલબ કેર નામના ખલાસીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમગ્ર ઘટના અંગેની જાણ ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ દિવ્ય ભાસ્કરને કરી હતી. આદમ ભાયાએ આ અંગેનો ઈમેલ દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને પણ કર્યો છે અને મદદ માંગી છે. બચેલા 17 ખલાસીઓનો વિડીયો પણ આદમ ભાયાએ દિવ્ય ભાસ્કરને આપ્યો છે. ગોળીબારને કારણે ખલાસીનું મોત, વહાણમાં પાણી ભરાતા ડૂબ્યું
સલાયાનું માલવાહક વહાણ MSV AL FAIZE NOORE SULEMANI-I (રજિસ્ટ્રેશન નં: BDI-1494) 7 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદર તરફ જઈ રહ્યું હતું. આ વહાણ પર એક ટંડેલ સહિત કુલ 18 ખલાસીઓ સવાર હતા. વહેલી સવારે આશરે 1:00 વાગ્યે જ્યારે વહાણ હોરમુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક ઈરાની અને યુએસ નેવી વચ્ચે સામસામે ફાયરિંગ શરૂ થયું હતું. આ ક્રોસ ફાયરિંગની ઝપેટમાં ગુજરાતનું વહાણ આવી ગયું હતું. ગોળીબારને કારણે વહાણને ગંભીર નુકસાન થયું હતું અને તેમાં પાણી ભરાવા લાગતા તે ડૂબવા લાગ્યું હતું. આ અફરાતફરી વચ્ચે એન્જિન રૂમમાં હાજર અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 17 ખલાસીઓનો જીવ બચ્યો
વહાણ ડૂબવા લાગતા અન્ય ખલાસીઓએ જીવ બચાવવા માટે મથામણ શરૂ કરી હતી. સદનસીબે, નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણ ‘MSV પ્રેમ સાગર-I’ એ મદદનો હાથ લંબાવ્યો હતો. આ વહાણે ડૂબી રહેલા 17 ખલાસીઓને રેસ્ક્યુ કરી લીધા હતા. બચાવવામાં આવેલા તમામ ખલાસીઓ 8 મેના રોજ મોડી સાંજે સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચ્યા છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશને દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ પાસે મદદ માંગી
આ ઘટનાના સમાચાર સલાયા પહોંચતા જ સમગ્ર પંથકમાં અને માછીમાર સમાજમાં શોકની લહેર દોડી ગઈ છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ તાત્કાલિક અસરથી દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને ઈમેલ લખીને આ અંગે જાણ કરી છે. અને મદદ માટે આ માંગણીઑ કરી છે : હાલમાં ભારતીય દૂતાવાસ આ મામલે સક્રિયતા દાખવી રહ્યું છે અને ખલાસીઓને ભારત પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને મકલેલો ઈમેલ :
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

