દાવો- રણવીર સિંહે FWICEને લીગલ નોટિસ મોકલી:'ડોન 3' વિવાદને લઈને ફિલ્મ વર્કર્સ ઓર્ગેનાઈઝેશને એક્ટર વિરુદ્ધ નોન-કોઓપરેશન જાહેર કર્યું હતું

Last Updated: June 3, 2026By

રણવીર સિંહે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) ને કાનૂની નોટિસ મોકલી છે. એવો દાવો NDTVના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે રણવીરે આ કાનૂની નોટિસ 2 જૂને મોકલી હતી. જોકે, નોટિસમાં એક્ટરની શું માગણીઓ કરી છે, તેની માહિતી હજુ સામે આવી નથી. FWICE એ 25 મે 2026 ના રોજ રણવીર વિરુદ્ધ નોન-કોઓપરેશન જાહેર કર્યું હતું, જે અંતર્ગત સંસ્થાએ તેના તમામ સભ્યોને રણવીરના કોઈપણ પ્રોજેક્ટમાં કામ ન કરવા જણાવ્યું હતું. આ આખો વિવાદ રણવીરના ફિલ્મ ડોન 3 માંથી બહાર થવા સાથે જોડાયેલો છે. આ ફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ કરી રહી હતી. આ મામલે કહેવામાં આવ્યું કે ફિલ્મના તૈયારીઓ પૂરી થયા પછી અને શૂટિંગ શરૂ થવાના માત્ર ત્રણ અઠવાડિયા પહેલા રણવીર પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગયા. પ્રોજેક્ટ છોડવાથી થયેલા નુકસાનના બદલામાં મેકર્સે રણવીર પાસેથી 45 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી છે. રણવીરના સપોર્ટમાં આવી કંગના ફિલ્મ ‘ડોન 3’ માંથી રણવીરના બહાર થવા અને FWICE ના નોન-કોઓપરેશનના મામલે એક્ટ્રેસ કંગના રનૌતે પ્રતિક્રિયા આપી. મંગળવારે તે તેની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ ના ટ્રેલર લોન્ચ પર પહોંચી હતી. કંગનાને જ્યારે આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે જીવનમાં આગળ વધવા પર અવરોધો આવે જ છે. એક્ટ્રેસે કહ્યું કે તેમને પણ પહેલા ઘણા લોકોએ બેન કર્યા હતા, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. ‘હેસિયત વધે છે તો દુશ્મન પણ વધે છે’ ‘કંગના રનૌતે ઇવેન્ટ દરમિયાન રણવીર સિંહનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘તમે મને આ પ્રશ્ન પૂછી રહ્યા છો, મને તો બધાએ બૅન કરી છે. હું એ જ કહેવા માંગીશ કે, જ્યારે તમારી હેસિયત વધે છે, તો તમારા દુશ્મન પણ વધે છે. એવું ક્યારેય ન થઈ શકે કે તમારી હેસિયત વધે અને દુશ્મન ન વધે. આજે રણવીર સિંહે વિચારવું જોઈએ કે તેમની શું હેસિયત છે કે તેમના આટલા દુશ્મન બની ગયા છે. આ એક રીતે સારું જ છે.’ ‘અવરોધોથી કોઈ ફરક પડતો નથી’ કંગનાએ પોતાના જીવનનું ઉદાહરણ આપતા આગળ કહ્યું કે, ‘જ્યારે તમે જીવનમાં આગળ વધો છો, ત્યારે ઘણી મુશ્કેલીઓ આવે છે. રસ્તો હંમેશા સરળ ન હોઈ શકે. મારી સાથે તો આટલું બધું થયું છે, પણ જુઓ આજે હું સારું કામ કરી રહી છું. મારી ગાડી પણ સારી ચાલી રહી છે. એટલે આ વસ્તુઓથી કોઈ ફરક પડતો નથી, સમયની સાથે બધું ઠીક થઈ જશે.’ ‘ડોન 3’ છોડ્યા પછી વિવાદ શરૂ થયો રણવીર સિંહ અને ફેડરેશન વચ્ચે આ વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે એક્ટરે અચાનક ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન 3’ થી અલગ થવાનો નિર્ણય કર્યો. ફેડરેશનનો આરોપ છે કે રણવીરના આ નિર્ણયથી ફિલ્મનું શેડ્યૂલ ખોરવાઈ ગયું અને પ્રોડ્યુસર્સને 45 કરોડનું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું. આ ફરિયાદ પછી FWICE એ 25 મેના રોજ રણવીર વિરુદ્ધ નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ જાહેર કર્યું હતું. જોકે આ કોઈ કાનૂની પ્રતિબંધ નથી, પરંતુ તેના કારણે ફિલ્મના શૂટિંગ દરમિયાન લોજિસ્ટિક્સ અને કામદારોને એકઠા કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

Leave A Comment