'દીકરીને ભણાવતાં પહેલાં દાદી-નાનીને ભણાવવા પડશે':નીના ગુપ્તાએ મહિલાઓની સ્થિતિ પર ખૂલીને વાત કરી, પોતાના જીવનના રાઝ ખોલ્યા
બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ કહ્યું કે, સમાજમાં મહિલાઓની સ્થિતિ વિશે જેટલી વાતો કરવામાં આવે છે, વાસ્તવિકતા તેનાથી ઘણી અલગ છે. આજે પણ દેશના મોટાભાગના ઘરોમાં છોકરીઓ પ્રત્યેની વિચારસરણી બદલાઈ નથી. તેમણે કહ્યું કે ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’નો નારો આપતા પહેલા દાદા-દાદી અને નાના-નાનીને ભણાવવાનું કામ કરવું પડશે, ત્યારે જ દીકરી ખરેખખર બચશે. નીના ગુપ્તાએ આ વાત જયપુરની હોટેલ લલિતમાં આયોજિત ‘ડાયલોગ ઓન મેન્ટલ વેલનેસ’ કાર્યક્રમમાં કહી. આ દરમિયાન તેમણે પોતાની આત્મકથા ‘સચ કહું તો’, પરિવાર, મહિલાઓની સ્થિતિ, ઉછેર, સંબંધો, માનસિક સ્વાસ્થ્ય અને પોતાના જીવનના અનુભવો વિશે ખુલીને વાત કરી. મારી પાસે કામ નહોતું ત્યારે કોઈ પણ મારા વિશે કંઈ પણ લખી દેતું હતું નીના ગુપ્તાએ કહ્યું કે, ‘પોતાની આત્મકથા લખવાનો વિચાર લગભગ 25 વર્ષ પહેલા આવ્યો હતો. શરૂઆતમાં જ્યારે મારી પાસે કામ નહોતું, ત્યારે મારી કોઈ કિંમત નહોતી, તેથી કોઈ પણ મારા વિશે કંઈ પણ લખી દેતું હતું. ત્યારે મને લાગ્યું કે કોઈને ખબર જ નથી કે હું ખરેખર કેવી છું. તેથી મેં વિચાર્યું કે હું પોતે લખીશ કે હું વાસ્તવમાં કેવી છું.’ તેમણે જણાવ્યું કે, ‘શરૂઆતમાં પુસ્તક લખવા માટે એડવાન્સ પણ લીધું હતું, પરંતુ હિંમત એકઠી કરી શકી નહીં. હું મમ્મી, પપ્પા, ભાઈ અને તેમના પરિવાર વિશે લખવા માંગતી હતી. તેમણે આખી જિંદગી પોતાની સચ્ચાઈ છુપાવી રાખી હતી. મને લાગ્યું કે મને તેમની જિંદગી સામે લાવવાનો અધિકાર નથી. જ્યારે પણ લખવાનું શરૂ કરતી, વિચારતી કે મમ્મીને ખરાબ લાગશે, પપ્પાને ખરાબ લાગશે, ભાઈને ખરાબ લાગશે અને હું અટકી જતી હતી.’ ‘કોવિડમાં હિંમત આવી, કારણ કે હવે કોઈનો ડર નહોતો’ તેમણે કહ્યું કે, ‘કોવિડ દરમિયાન જ્યારે હું છ મહિના પોતાના પહાડી ઘરમાં રહી, ત્યારે જ પુસ્તક પૂરું થઈ શક્યું. ત્યાં સુધીમાં મારા પરિવારના લગભગ બધા લોકો આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા. ત્યારે મને કોઈનો ડર નહોતો. કારણ કે આપણે સૌથી વધારે પોતાના લોકોથી જ ડરીએ છીએ. હું તો ભગવાન કરતાં વધારે મારી દીકરીથી ડરું છું.’ નીનાએ સ્વીકાર્યું કે, તેમણે પોતાના પુસ્તકમાં પણ બધું જ લખ્યું નથી. તેમણે કહ્યું કે, ‘મેં જૂઠું લખ્યું નથી, પરંતુ બધું જ પણ લખ્યું નથી. કેટલાક લોકો વિશેની વાતો છુપાવી દીધી કારણ કે લાગ્યું કે તે મારી દીકરી મસાબા, મારા પતિ કે કેટલાક અન્ય લોકો માટે ઠીક નહીં હોય. હું કોઈની પાસેથી બદલો લેવા માંગતી ન હતી. મારી પાસે તક હતી કે જે લોકોએ મારી સાથે ખોટું કર્યું, તેમના વિશે લખું, પરંતુ મેં પોતાને રોકી.’ તેમણે હસતા કહ્યું કે પ્રકાશકના વકીલોએ તો તેમને લગભગ બધા જ લોકોના નામ બદલવા માટે કહી દીધું હતું. ‘ભગવાન સાથે લડું પણ છું અને આભાર પણ માનું છું’ માનસિક સ્વાસ્થ્ય પર વાત કરતા નીનાએ કહ્યું કે, ‘હું દિવસમાં ઓછામાં ઓછી દસ વાર ભગવાનનો આભાર માનું છું. જ્યારે રાત્રે પોતાની સફેદ ચાદર પર સૂઉં છું ત્યારે સૌથી પહેલા ‘થેન્ક યુ’ બોલું છું. અને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે ભગવાનને ઠપકો પણ આપું છું. કોઈક તો શક્તિ છે જે મારાથી મોટી છે. હું તેની સાથે જ વાત કરું છું.’ મહિલાઓની સ્થિતિ પર તેમણે કહ્યું કે, ‘શહેરોમાં થોડો બદલાવ ચોક્કસ દેખાય છે, પરંતુ ગામડાઓ અને નાના કસબાઓમાં પરિસ્થિતિ હજુ પણ પહેલા જેવી જ છે. આપણે કદાચ એક-બે ટકા વસ્તીની વાત કરી રહ્યા છીએ. બાકીની જગ્યાએ આજે પણ ઘૂંઘટ છે, પગે લાગવું છે, સેવા કરવી છે. ઘણું બધું બદલાયું નથી.’ ‘પંચાયત’ વેબસીરીઝનો કિસ્સો સંભળાવ્યો નીનાએ ‘પંચાયત’ના શૂટિંગ દરમિયાન મધ્ય પ્રદેશના એક ગામનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે, ‘મેં એક છોકરીને પૂછ્યું કે શું ભણે છે? તેની માતા બોલી – ભણી તો રહી છે, પરંતુ 18 વર્ષની થતા જ લગ્ન કરી દઈશું. પછી ઘૂંઘટ કરશે, ઘર સંભાળશે, બાળકો પેદા કરશે. આ આજે પણ થઈ રહ્યું છે.’ તેમણે કહ્યું કે, ‘ફક્ત દીકરીને ભણાવવાથી બદલાવ નહીં આવે. મેં મારી એક મિત્રને કહ્યું કે ‘બેટી પઢાઓ, બેટી બચાઓ’ પહેલાં દાદા-દાદી અને નાના-નાનીને ભણાવો. જ્યાં સુધી તેમની વિચારસરણી નહીં બદલાય, દીકરી ભણી પણ જશે તો તેને કહેવામાં આવશે કે હવે વાસણ માંજો.’ ‘બાળકો પર ગુસ્સો નહીં, પ્રેમથી વાત કરો’ તેમણે પોતાની દીકરી મસાબા સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘સમયની સાથે મેં પોતે પણ ઘણું શીખ્યું. પહેલા હું કહેતી હતી- નથી જવું તો નથી જવું. પછી જવાબ મળતો હતો- હું તો જઈશ. પછી સમજાયું કે જો એ જ વાત પ્રેમથી કહું કે બેટા, મને આ બરાબર નથી લાગતું… બાકીનો નિર્ણય તારો છે, તો તે પોતે વિચારતી હતી.’ તેમણે કહ્યું કે, ‘બાળકો તે જ શીખે છે જે માતા-પિતા કરે છે. એક દિવસ મેં દીકરીને કહ્યું કે બૂમો ન પાડ. તેણે જવાબ આપ્યો- તમે પણ તો બૂમો પાડો છો. ત્યારે સમજાયું કે બાળકો તે જ પુનરાવર્તન કરે છે જે તેઓ આપણને કરતા જુએ છે.’ ‘મારું ધ્યાન કામ પરથી હટીને સંબંધો પર ગયું’ કાર્યક્રમમાં તેમણે પોતાની કારકિર્દીને લઈને ખૂલીને આત્મમંથન કર્યું. તેમણે કહ્યું કે, ‘જો મારું ધ્યાન યોગ્ય રહ્યું હોત તો હું વધુ ઊંચાઈ સુધી પહોંચી શકી હોત. એક સમય એવો આવ્યો જ્યારે મારું ધ્યાન કામ કરતાં વધુ એક સારા જીવનસાથીની શોધ પર ગયું. મને લાગે છે કે આ જ મારી સૌથી મોટી ભૂલ હતી. મહિલાઓનું ધ્યાન ઘણીવાર કારકિર્દી પરથી હટીને પતિ શોધવા પર જતું રહે છે. અર્જુનની જેમ જો ફક્ત લક્ષ્ય પર નજર રહે તો મંઝિલ ચોક્કસ મળે છે.’ ‘આજની પેઢી ખૂબ મૂંઝાયેલી છે’ યુવાનોની માનસિક સ્થિતિ પર તેમણે કહ્યું કે, ‘આજની પેઢી સૌથી વધુ ભ્રમમાં છે. હું ઘણી યુવાન છોકરીઓ સાથે કામ કરી રહી છું. તેઓ કહે છે કે સારા છોકરાઓ મળતા નથી. ડેટિંગ એપ્સ પર જાય છે, પરંતુ ત્યાં પણ પરેશાન છે. બીજી તરફ છોકરાઓ પણ એમ જ કહેતા હશે કે સારી છોકરીઓ મળતી નથી. આ પેઢી ખૂબ મૂંઝાયેલી છે. ઘરમાં જૂના વિચારો છે અને બહાર ખૂબ આધુનિક વિચારસરણી છે. આવી સ્થિતિમાં તેમને સમજાતું નથી કે શું સાચું છે.’ કાર્યક્રમના અંતે તેમણે કહ્યું કે, ‘જીવનમાં ઠોકરો જરૂરી છે. જીવન જીવવું કોઈ શીખવી શકતું નથી. દરેકની મુશ્કેલીઓ અલગ હોય છે. અનુભવથી શીખવું પડે છે. જો ઉપર પહોંચવું હોય તો પડવું પણ પડશે. પડ્યા વગર કોઈ આગળ વધતું નથી.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

