બાળકોને સમય આપી ન શક્યાનો આમિર ખાનને વસવસો:કહ્યું- ''એક દિન'માં દીકરાની નજીક આવ્યો, જુનૈદની આત્મનિર્ભરતા જોઈ છાતી ગજગજ ફૂલે છે'
આમિર ખાન હાલમાં પોતાની પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘એક દિન’ને લઈને ચર્ચામાં છે. તેમાં તેનો દીકરો જુનૈદ ખાન અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આમિરે ફિલ્મ સાથેના પોતાના ભાવનાત્મક જોડાણ અને એક પિતા તરીકેની લાગણીઓ શેર કરી. તેણે સ્વીકાર્યું કે, વ્યસ્ત કારકિર્દીને કારણે તે બાળકોને વધુ સમય આપી શક્યો નહીં, પરંતુ આ ફિલ્મે દીકરા સાથે કામ કરવાની અને નજીક આવવાની તક આપી. આમિરે જુનૈદની સ્વતંત્ર વિચારસરણી અને પોતાના દમ પર ઓળખ બનાવવાની ભાવનાની પ્રશંસા કરી. તેણે બદલાતા સિનેમા ટ્રેન્ડ્સ, મજબૂત વાર્તાઓના મહત્ત્વ અને રોમેન્ટિક ફિલ્મોની અછત પર પોતાનો અભિપ્રાય આપ્યો. સાથે જ અરિજીત સિંહ સાથે કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો. પ્રસ્તુત છે વાતચીતના ખાસ અંશો… પ્રશ્ન: ‘એક દિન’ તમારા માટે કેટલી ખાસ ફિલ્મ છે? જવાબ: મારા માટે આ અનેક કારણોસર ખાસ ફિલ્મ છે. સૌથી મોટું કારણ એ છે કે તેમાં જુનૈદ છે અને મને પ્રોડ્યુસર તરીકે તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. આ માત્ર ફિલ્મ નથી, પરંતુ મારા માટે એક પર્સનલ જર્ની પણ છે. પ્રશ્ન: એક પિતા તરીકે આ અનુભવ કેવો રહ્યો? જવાબ: સાચું કહું તો મેં મારી જિંદગીમાં કામને વધુ સમય આપ્યો. જ્યારે બાળકો મોટા થઈ રહ્યા હતા, ત્યારે હું તેમને એટલો સમય આપી શક્યો નહીં, જેટલો આપવો જોઈતો હતો. આ વાત મારા મનમાં હંમેશા ખટકે છે. પ્રશ્ન: શું આ ફિલ્મથી તમને તે કમી પૂરી કરવાનો મોકો મળ્યો? જવાબ: હા, બિલકુલ. જુનૈદ હંમેશાથી ઇન્ડિપેન્ડન્ટ રહ્યા છે. તેમણે ક્યારેય મારી પાસેથી કંઈ માંગ્યું નથી, ન ગાડી, ન કોઈ સુવિધા. તે દરેક વસ્તુ પોતાના દમ પર કરવા માંગે છે. આવા સમયે એક પિતા તરીકે જે કરવાની ઈચ્છા હોય છે, તે મને આ ફિલ્મ દ્વારા કરવાનો મોકો મળ્યો. આ મારા માટે ભાવનાત્મક અનુભવ છે. પ્રશ્ન: વાર્તાએ તમને કેટલો પ્રભાવિત કર્યા? જવાબ: જ્યારે મેં ફિલ્મની વાર્તા સાંભળી, ત્યારે તે સીધી મારા દિલને સ્પર્શી ગઈ. હું પોતે રોમેન્ટિક વ્યક્તિ છું અને મને આવી વાર્તાઓ ગમે છે. તેની સાદગી અને ભાવનાઓ મને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અને ‘કુછ કુછ હોતા હૈ’ની યાદ અપાવે છે. પ્રશ્ન: શું તમને લાગે છે કે જુનૈદનું પાત્ર તેના જેવું જ છે? જવાબ: હા, ઘણા અંશે. જુનૈદ બાળપણથી શરમાળ અને રિઝર્વ સ્વભાવના રહ્યા છે. તે વધારે ખુલીને વાત કરતા નહોતા, અને હું પણ સ્કૂલ-કોલેજના દિવસોમાં આવો જ હતો. પ્રશ્ન: શું તમારા અને જુનૈદના સ્વભાવમાં સમાનતા છે? જવાબ: ચોક્કસ. જ્યારે મેં એક્ટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આ શાંત રહેનારો છોકરો એક્ટિંગ કેવી રીતે કરશે! તેવી જ રીતે જુનૈદ પણ શાંત સ્વભાવના છે. આ દૃષ્ટિએ અમારા બંનેમાં સમાનતા છે. પ્રશ્ન: જુનૈદની એક્ટિંગમાં તમને શું ખાસ લાગે છે? જવાબ: તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ જે પાત્ર ભજવે છે, તેમાં સંપૂર્ણપણે ભળી જાય છે. ‘મહારાજ’માં તેઓ તે જ પાત્ર લાગે છે. ‘લવયાપા’માં તેમનો અલગ શેડ દેખાય છે. તેઓ પ્રામાણિકતા અને સચ્ચાઈથી એક્ટિંગ કરે છે, જે મોટી વાત છે. પ્રશ્ન: આજકાલ એક્શન ફિલ્મોનો જમાનો છે, ત્યારે ‘એક દિન’ જેવી સોફ્ટ ફિલ્મને લઈને ડર છે? જવાબ: હા, ડર છે. જ્યારે ‘કયામત સે કયામત તક’ રિલીઝ થઈ રહી હતી, ત્યારે પણ એક્શન ફિલ્મોનો યુગ હતો. તે સમયે પણ લાગતું હતું કે, અમારી સોફ્ટ ફિલ્મ લોકોને પસંદ આવશે કે નહીં. આજે 35 વર્ષ પછી પણ એ જ ડર છે. પ્રશ્ન: તેમ છતાં તમને શું વિશ્વાસ અપાવે છે? જવાબ: મારું માનવું છે કે ટેકનોલોજી અને ટ્રેન્ડ બદલાઈ શકે છે, પરંતુ વાર્તાની તાકાત બદલાતી નથી. જો વાર્તા સાચી રીતે કહેવામાં આવી હોય, તો તે દર્શકો સુધી ચોક્કસ પહોંચશે. પ્રશ્ન: શું તમને લાગે છે કે દર્શકો આવી લવ સ્ટોરીને મિસ કરી રહ્યા છે? જવાબ: હા, મને લાગે છે કે ઘણા સમયથી આવી નિર્દોષ, સાચી લવ સ્ટોરી આવી નથી. આજકાલ મોટાભાગની ફિલ્મોમાં કાં તો મોટો સ્કેલ હોય છે અથવા વધુ ડ્રામા હોય છે. આવા સંજોગોમાં આ ફિલ્મ અલગ છે. પ્રશ્ન: ‘કયામત સે કયામત તક’ અને ‘એક દિન’ માં કોઈ કનેક્શન જુઓ છો? જવાબ: કેટલીક રસપ્રદ સમાનતાઓ છે. જેમ કે બંને ફિલ્મોની રિલીઝ ટાઈમિંગ ઘણી નજીક છે. ‘કયામત સે કયામત તક’ 29 એપ્રિલે આવી હતી અને આ ફિલ્મ પણ એક મેના રોજ લગભગ તે જ સમયે રિલીઝ થઈ રહી છે, લગભગ 38 વર્ષ પછી. પ્રશ્ન: શું ફિલ્મની એન્ડિંગમાં ફેરફાર કરવામાં આવ્યો? જવાબ: હા, શરૂઆતમાં શૂટ કરવામાં આવેલી એન્ડિંગથી અમે સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતા. તેથી છેલ્લા ભાગ પર ફરીથી કામ કર્યું અને તેને વધુ સારું બનાવવાનો પ્રયાસ કર્યો. પ્રશ્ન: શું એન્ડિંગનો ઇમોશન બદલાયો? જવાબ: ના, ઇમોશન તે જ રાખવામાં આવ્યો છે. બસ તેને પ્રભાવશાળી બનાવવા માટે ટ્રીટમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રશ્ન: અરિજીત સિંહ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? જવાબ: ખૂબ જ શાનદાર રહ્યો. તેમણે પહેલા અમારા ગીત માટે હા પાડી દીધી હતી, પરંતુ બાદમાં સોશિયલ મીડિયા પર ગીતો છોડવાની જાહેરાત કરી દીધી. તે સમયે અમે ગભરાઈ ગયા હતા. પ્રશ્ન: પછી શું થયું? જવાબ: મેં તેમને ફોન કરીને પૂછ્યું કે, ‘અમે આવીએ કે નહીં?’ તેમણે પ્રેમથી કહ્યું કે, તેઓ અમારું ગીત જરૂર ગાશે. તેમની સાથે કામ કરવું ઘર જેવો અનુભવ હતો. પ્રશ્ન: અરિજીત સાથે તમારી કેમેસ્ટ્રી કેવી રહી? જવાબ: ખૂબ સારી. તેઓ બ્રિલિયન્ટ અને ગિફ્ટેડ આર્ટિસ્ટ છે. સાથે જ સરળ અને સારા માણસ છે. તેમની સાથે બનેલું કનેક્શન હંમેશા રહેશે. પ્રશ્ન: નવી પ્રતિભાઓને તક આપવા પાછળ તમારી શું વિચારસરણી છે? જવાબ: મને લાગે છે કે જો કોઈમાં જુસ્સો અને મહેનત હોય, તો તેને તક મળવી જોઈએ. ઇન્ડસ્ટ્રીને નવા લોકોની જરૂર હોય છે. પ્રશ્ન: ડિરેક્ટર સુનીલ પાંડેમાં તમને શું ખાસ લાગ્યું? જવાબ: તેઓ મહેનતુ અને જુસ્સાદાર છે. દરેક નાની-મોટી વિગત પર તેમની નજર રહે છે અને તેઓ કામમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. પ્રશ્ન: શું તેઓ તમારી અપેક્ષાઓ પર ખરા ઉતર્યા? જવાબ: હા, ચોક્કસ. જે અમે કાગળ પર વિચાર્યું હતું, તે તેમણે સ્ક્રીન પર સારી રીતે ઉતાર્યું છે. આખી ટીમ ફિલ્મથી ખુશ છે. પ્રશ્ન: તમે પોતાને આગ્રહી (પુશી) માનો છો? જવાબ: હા, હું કામને લઈને કડક છું. પરંતુ જ્યારે તમે એવા લોકો સાથે કામ કરો છો, જેઓ એટલા જ સમર્પિત હોય, તો કામ સરળ અને મનોરંજક બની જાય છે. પ્રશ્ન: તમે ફિલ્મોને લઈને આટલા ચૂઝી કેમ છો? જવાબ: હું હંમેશાથી આવો જ રહ્યો છું. હું વિચારીને ફિલ્મો પસંદ કરું છું. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી વાર્તાઓ સાંભળી છે. પ્રશ્ન: શું જલ્દી જ તમને ફરીથી સ્ક્રીન પર જોઈ શકાશે? જવાબ: હા, ચોક્કસ. ખૂબ જ જલ્દી હું મારી આગામી ફિલ્મની જાહેરાત કરીશ. બસ એક-બે મહિના રાહ જુઓ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

