WhatsApp New Feature: Messages Will Auto-Delete After Reading | Gujarat News

Last Updated: April 18, 2026By

વોટ્સએપ યુઝર્સ માટે એક મોટું અપડેટ આવવાનું છે, જે ચેટ પ્રાઈવસીને સંપૂર્ણ રીતે બદલાવી શકે છે. WhatsAppના આ લોકપ્રિય મેસેજિંગ એપમાં ટૂંક સમયમાં એવો ફીચર ઉમેરાઈ શકે છે, જેમાં મેસેજ વાંચ્યા પછી આપમેળે ગાયબ થઈ જશે. અત્યાર સુધી મેસેજ નક્કી સમય પછી ડિલીટ થતા હતા, પરંતુ હવે ટાઈમર ત્યારે જ શરૂ થશે જ્યારે સામેનો વ્યક્તિ મેસેજ વાંચશે. આ બદલાવ ખાસ કરીને તે યુઝર્સ માટે ફાયદાકારક રહેશે, જે સંવેદનશીલ માહિતી શેર કરે છે.

આફ્ટર રીડિંગ ફીચર કેવી રીતે કામ કરશે

WABetaInfoની રિપોર્ટ અનુસાર, વોટ્સએપ એક નવા “આફ્ટર રીડિંગ” ઓપ્શન પર કામ કરી રહ્યું છે, જેમાં મેસેજનો ટાઈમર ત્યારે જ શરૂ થશે જ્યારે રિસીવરને તે વાંચશે. આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.26.15.11માં જોવા મળ્યું છે, જે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તેનો અર્થ એ થાય છે કે જો કોઈ યુઝર મેસેજ ખોલવામાં મોડું કરે છે, તો મેસેજ ત્યાં સુધી સુરક્ષિત રહેશે અને જેમ જ તે વાંચશે, ત્યાર પછી નક્કી સમયગાળામાં ગાયબ થઈ જશે. આ સિસ્ટમ જૂના મોડેલથી અલગ છે, જેમાં મેસેજ મોકલતાં જ ટાઈમર શરૂ થઈ જતો હતો.

નવા ટાઈમિંગ ઓપ્શનથી મળશે વધુ કંટ્રોલ

વોટ્સએપ આ ફીચર સાથે વધુ લવચીક ટાઈમિંગ ઓપ્શન પણ આપવા જઈ રહ્યું છે. સ્ક્રીનશોટ મુજબ યુઝર્સને 5 મિનિટ, 1 કલાક અને 12 કલાક જેવા નવા વિકલ્પો મળી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ યુઝર 5 મિનિટનો સમય સેટ કરે છે, તો મેસેજ વાંચ્યા પછી 5 મિનિટમાં આપમેળે ડિલીટ થઈ જશે. જો રિસીવર ઘણા કલાકો પછી મેસેજ ખોલે છે, તો ટાઈમર એ સમયે જ શરૂ થશે. આ બદલાવથી યુઝર્સ નક્કી કરી શકશે કે તેમનો મેસેજ કેટલો સમય સુધી દેખાય.

પ્રાઈવસી અને સિક્યુરિટી માટે કેમ ખાસ છે આ ફીચર

આ નવું ફીચર હાલના ડિસઅપિયરિંગ મેસેજ સિસ્ટમ સાથે કામ કરશે, જેથી યુઝર્સને બે અલગ વિકલ્પ મળશે. પહેલું સામાન્ય ટાઈમર, જે મેસેજ મોકલતાં જ શરૂ થાય છે, અને બીજું — આફ્ટર રીડિંગ ટાઈમર, જે મેસેજ વાંચ્યા પછી સક્રિય થાય છે. રિપોર્ટ મુજબ આ ફીચર ખાસ કરીને OTP, વ્યક્તિગત માહિતી અથવા ગુપ્ત વિગતો શેર કરનાર યુઝર્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને હજુ સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. અપેક્ષા છે કે પહેલા તેને બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ બનાવવામાં આવશે.

આ પણ વાંચો: Sheikh Hasinaને બાંગ્લાદેશને સોંપવામાં આવશે? ભારત સરકાર શું વિચારી રહી છે, વિદેશ મંત્રાલયે આપી માહિતી