Can intense summer sun increase the risk of cataracts Know what eye experts say | Gujarat News

Last Updated: May 21, 2026By

ઉનાળાની શરૂઆત થતાં જ આકરા સૂર્યપ્રકાશથી લોકો ત્રાહિમામ થાય છે. સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણોનો પ્રકોપ ડિાઈડ્રેશન અને હિટસ્ટ્રોકની સમસ્યાનું જોખમ વધારે છે.  મોટાભાગના લોકો એ વાતથી વાકેફ છે કે તીવ્ર તડકો ત્વચાને નુકસાન પહોંચાડે છે અને ટેનિંગની સમસ્યા વધારે છે. પરંતુ, બહુ ઓછા લોકો જાણે છે કે આ કાળઝાળ ગરમી તમારી આંખોને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. અવારનવાર એક સવાલ ચર્ચામાં રહે છે કે, શું વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી આંખોમાં મોતિયાનું (Cataract) જોખમ વધી જાય છે? સામાન્ય રીતે ૫૦ થી ૬૦ વર્ષની ઉંમર પછી થતી આ સમસ્યા શું યુવાનોને પણ શિકાર બનાવી શકે છે? ચાલો જાણીએ આ અંગે ડૉક્ટર્સનો શું અભિપ્રાય છે.

શું તીવ્ર તડકાથી ખરેખર મોતિયાનું જોખમ વધે છે?

ડોક્ટરે જણાવ્યું કે, મોતિયા એ આંખની એક સામાન્ય સમસ્યા છે જેમાં આંખનો કુદરતી લેન્સ વાદળછાયું (Blurry) બની જાય છે. જેના કારણે દ્રષ્ટિ ઝાંખી પડે છે અને ધીમે-ધીમે જોવાની ક્ષમતા નબળી થતી જાય છે. સામાન્ય રીતે મોતિયા એ ઉંમર વધવાની સાથે સંબંધિત સમસ્યા છે, પરંતુ આંખમાં કોઈ ઈજા થવી, ડાયાબિટીસ હોવો કે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં રહેવું – આ તમામ પરિબળો નાની ઉંમરે પણ મોતિયાનું જોખમ નોંધપાત્ર રીતે વધારી દે છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખોના લેન્સના પ્રોટીનને નુકસાન પહોંચાડે છે, જેથી ઉનાળામાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે.

UV કિરણો માત્ર મોતિયા જ નહીં, કેન્સરનું પણ કારણ બની શકે!

વધુ પડતો સૂર્યપ્રકાશ મોતિયાની પ્રક્રિયાને થોડી ઝડપી બનાવી શકે છે, પરંતુ તેને માત્ર એકમાત્ર મુખ્ય કારણ માનવું યોગ્ય નથી તેવું ડોક્ટર કહે છે. ઉનાળામાં યુવી કિરણોના કારણે આંખોમાં ડ્રાયનેસ (શુષ્કતા), આંખો લાલ થવી, એલર્જી અને કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી) જેવી સમસ્યાઓ ખૂબ સામાન્ય બની જાય છે. આ સિવાય, યુવી કિરણો લાંબા ગાળે આંખના વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ પણ વધારી શકે છે. તેથી, સૂર્યના કિરણો પ્રત્યે બેદરકારી દાખવવી ભારે પડી શકે છે.

ઉનાળામાં આ રીતે કરો આંખોનું રક્ષણ

જો તમે ઉનાળાની ઋતુમાં તમારી આંખોને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો આ સરળ બાબતોનું ખાસ ધ્યાન રાખો. તડકામાં બહાર નીકળતી વખતે હંમેશા યુવી પ્રોટેક્શન વાળા સનગ્લાસ (ચશ્મા) પહેરો. જો આવા ચશ્મા ન હોય, તો સામાન્ય સનગ્લાસ પણ આંખોને સીધા તડકાથી બચાવવામાં મદદ કરશે. ગરમીમાં બપોરે બહાર જવાનું ટાળો. ખાસ કરીને બપોરના સમયે જ્યારે સૂર્યપ્રકાશ સૌથી તીવ્ર હોય, ત્યારે બિનજરૂરી બહાર જવાનું ટાળો.  ઉનાળામાં શરીરમાં પાણીની કમી ન થવા દો. પુષ્કળ પાણી પીઓ જેથી આંખોમાં ભેજ જળવાઈ રહે. જો આંખો સુકી કે ખંજવાળવાળી લાગે, તો ડૉક્ટરની સલાહ મુજબ લુબ્રિકેટિંગ આઇ ડ્રોપ્સનો ઉપયોગ કરો. આંખો એ શરીરનું સૌથી નાજુક અંગ છે, તેથી તેમાં થતી કોઈ પણ નાની સમસ્યાને અવગણ્યા વગર તાત્કાલિક આંખના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.

આ પણ વાંચો : Summerમાં આ લોકોએ ORS પીવાનું ટાળવું, કિડની અને BP પર થશે સીધી અસર

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave A Comment