Ebola Bundibugyo Strain Threat: Is India At Risk Over New Outbreak? | Gujarat News

Last Updated: May 18, 2026By

આફ્રિકાના કોંગો અને યુગાન્ડા દેશોમાં ઇબોલા વાયરસના અત્યંત ઘાતક નવા પ્રકોપે સમગ્ર વિશ્વની ચિંતામાં મોટો વધારો કર્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા આ આઉટબ્રેકને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. આ વખતે આ ભયાનક ચેપ પાછળ ઇબોલાનો ‘બુંદીબુગ્યો’ સ્ટ્રેન જવાબદાર હોવાનું સામે આવ્યું છે, જે ઓર્થોઇબોલાવાયરસ પરિવારનો એક ભાગ છે. આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અહેવાલો અનુસાર, આ નવા સ્ટ્રેનને કારણે અત્યાર સુધીમાં 80 થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને શંકાસ્પદ દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.

આ રોગ કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે?

તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બુંદીબુગ્યો વાયરસનો મૃત્યુદર આશરે 80 થી 90 ટકા જેટલો ઊંચો છે, જે તેને અત્યંત જીવલેણ બનાવે છે. આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે લોહી, લાળ, પરસેવો, ઉલટી અને પેશાબના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે.

ઇબોલાના પ્રાથમિક અને ગંભીર લક્ષણો:

રોગની શરૂઆતમાં દર્દીને સામાન્ય વાયરલ તાવ જેવા જ લક્ષણો દેખાય છે, જેમાં ભારે તાવ, અસહ્ય માથાનો દુખાવો, ગળામાં સોજો અને શરીરમાં અશક્તિનો સમાવેશ થાય છે. પરંતુ જેમ-જેમ આ વાયરસ શરીરમાં ફેલાય છે, તેમ દર્દીની હાલત ગંભીર બને છે. દર્દીને ઉલટી-ઝાડા થવા લાગે છે અને શરીરની અંદર તેમજ બહારના ભાગોમાંથી (જેમ કે નાક, પેઢા અને મળદ્વાર) લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે. ગંભીર તબક્કામાં આ વાયરસ મગજ પર સીધી અસર કરે છે, જેના લીધે દર્દી માનસિક સંતુલન ગુમાવે છે અને અત્યંત આક્રમક વર્તન કરવા લાગે છે.

ભારત માટે કેટલો ખતરો? અને બચાવના ઉપાયો

રાહતની વાત એ છે કે હાલમાં ભારતમાં ઇબોલા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) આ વૈશ્વિક સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. દેશના જાણીતા તબીબ ડૉ. રણદીપ ગુલેરિયાએ સ્પષ્ટતા કરી છે કે ભારતના નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે ઇબોલા એ કોવિડ-૧૯ ની જેમ હવામાં કે શ્વસનના ટીપાં દ્વારા ઝડપથી ફેલાતો નથી. તેનો ફેલાવો માત્ર નજીકના શારીરિક સંપર્ક પૂરતો મર્યાદિત હોવાથી તેને નિયંત્રિત કરવો સરળ છે.

એરપોર્ટ પર કડક દેખરેખ રાખવામાં આવી

આ વાયરસને ભારતમાં આવતો રોકવા માટે એરપોર્ટ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રભાવિત આફ્રિકાના દેશોમાંથી પરત ફરતા મુસાફરોને ૨૧ દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યનું સેલ્ફ-મોનિટરિંગ કરવાની સલાહ આપવામાં આવી છે. ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં, પથારી કે તબીબી સાધનોથી દૂર રહીને અને વહેલી તકે નિદાન કરીને જ આ ઘાતક વાયરસના સંભવિત ખતરાને નાથી શકાય છે.

આ પણ વાંચોઃ આ દેશની સુંદર છોકરીઓ લગ્ન કરવા માટે તરસી રહી છે! પુરુષોની વસ્તી ઓછી હોવાના કારણે પડી રહી છે મુશ્કેલી

Leave A Comment