ICC ટુર્નામેન્ટમાં પાંચમી વાર થશે ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ:અત્યાર સુધી મુકાબલો 2-2 થી બરાબર; 1983 અને 2024માં અંગ્રેજોને હરાવ્યા, ચેમ્પિયન પણ બન્યા
ભારત અને ઇંગ્લેન્ડ ICC ટુર્નામેન્ટમાં પાંચમી વખત સેમિફાઇનલમાં આમને-સામને થશે. અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં બંને ટીમ 2-2 જીત સાથે બરાબરી પર છે. રસપ્રદ વાત એ છે કે ભારતે જ્યારે પણ ઇંગ્લેન્ડને સેમિફાઇનલમાં હરાવ્યું, ત્યારે દેશે ખિતાબ જીતવામાં પણ સફળતા મેળવી. ભારત-ઇંગ્લેન્ડનો પ્રથમ સેમિફાઇનલ 1983ના વનડે વર્લ્ડ કપમાં થયો હતો. ત્યારે ભારતે અંગ્રેજોને હરાવ્યા અને પછી ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝને માત આપીને ટીમ ચેમ્પિયન બની. બંને ટીમ સેમિફાઇનલમાં છેલ્લી વખત 2024ના T20 વર્લ્ડ કપમાં ટકરાઈ હતી. ત્યારે પણ ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું અને પછી ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ખિતાબ જીત્યો. 1987ના વનડે વર્લ્ડ કપ અને 2022ના T20 વર્લ્ડ કપમાં પણ ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ થયો હતો. આ બે પ્રસંગોએ ઇંગ્લેન્ડે જીત મેળવી હતી. આગળ વાંચો ચારેય ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલની સંક્ષિપ્ત વાર્તા. તે પહેલાં જુઓ ICC ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં ભારતનો કઈ ટીમ સામે કેવો રેકોર્ડ છે. 1. 1983: જ્યારે ‘અંડરડોગ’ ભારતે ઇંગ્લેન્ડનું અભિમાન તોડ્યું 1983ની સેમિફાઇનલમાં ભારતે યજમાન ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવીને પહેલીવાર ફાઇનલમાં સ્થાન બનાવ્યું. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં મેચ પહેલાં ઇંગ્લિશ મીડિયા અને નિષ્ણાતોએ ભારતની હાર લગભગ નિશ્ચિત માની લીધી હતી. ટોસ હારવા છતાં કેપ્ટન કપિલ દેવે ધીમી પrચને પારખી લીધી. ઇંગ્લેન્ડની આખી ટીમ 60 ઓવરમાં 213 રન પર સમેટાઈ ગઈ. કપિલ દેવે 3 વિકેટ લીધી, જ્યારે મોહિન્દર અમરનાથે 12 ઓવરમાં માત્ર 27 રન આપીને 2 વિકેટ ઝડપી. 214 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારતની શરૂઆત ખરાબ રહી. 50 રનમાં 2 વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ અમરનાથ (46 રન) અને યશપાલ શર્મા (61 રન)એ 92 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સ્થિરતા આપી. યશપાલનો બોબ વિલિસ પર ફટકારેલો લેગ-સાઇડ છગ્ગો આજે પણ પ્રખ્યાત છે. જ્યારે ભારત જીતની નજીક હતું, ત્યારે સંદીપ પાટીલે મુકાબલાને યાદગાર બનાવી દીધો. તેમણે બોબ વિલિસની એક ઓવરમાં 4 ચોગ્ગા ફટકારીને ઇંગ્લેન્ડની આશાઓ તોડી નાખી. પાટીલે 32 બોલમાં અણનમ 51 રનની ઝડપી ઇનિંગ્સ રમી. આ જીતે ભારતને તે આત્મવિશ્વાસ આપ્યો, જેના જોરે ટીમે લોર્ડ્સમાં ફાઇનલ રમ્યો અને આગળ જતાં બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ પણ પોતાના નામે કર્યો. 2. 1987: ગૂચની ‘સ્વીપ’ માસ્ટરક્લાસે 83નો બદલો લીધો 1987માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ભારતને 35 રનથી હરાવીને 1983ની હારનો હિસાબ બરાબર કરી દીધો. ઘરેલું મેદાન પર ખિતાબ જીતવાનું ભારતીય સપનું અહીં જ તૂટી ગયું. આ મેચની સૌથી મોટી કહાણી ગ્રેહામ ગૂચ હતા. સ્પિન માટે પ્રખ્યાત પીચ પર તેમણે ભારતીય સ્પિનરો મનિન્દર સિંહ અને રવિ શાસ્ત્રી સામે સ્વીપ શોટનો વરસાદ કરી દીધો. ગૂચે પોતાની ઇનિંગ્સમાં 11 ચોગ્ગા ફટકાર્યા અને 136 બોલમાં 115 રન બનાવ્યા. ત્રીજી વિકેટ માટે તેમણે માઈક ગેટિંગ સાથે 117 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 254 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. આ મેચ સુનીલ ગાવસ્કરના વનડે કરિયરની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ. તેઓ માત્ર 4 રન બનાવીને આઉટ થયા. 255 રનના ટાર્ગેટને ચેઝ કરતા મોહમ્મદ અઝહરુદ્દીને 64 રનની લડાયક ઇનિંગ્સ રમી, પરંતુ તેમના આઉટ થતા જ ભારતીય ઇનિંગ્સ લથડી પડી. ભારતે છેલ્લી 5 વિકેટ માત્ર 15 રનની અંદર ગુમાવી દીધી અને 45.3 ઓવરમાં 219 રન પર ઓલઆઉટ થઈ ગયું. રસપ્રદ સંયોગ એ રહ્યો કે 1983માં ભારતે ઇંગ્લેન્ડને તેના ઘરમાં હરાવ્યું હતું. 4 વર્ષ પછી ઇંગ્લેન્ડે ભારતને ભારતમાં હરાવીને બદલો પૂરો કર્યો. 3. 2022: બટલર-હેલ્સ વચ્ચે 170 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું. 169 રનના લક્ષ્યને ઇંગ્લેન્ડે માત્ર 16 ઓવરમાં ચેઝ કરી લીધું. ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર (80* રન, 49 બોલ) અને એલેક્સ હેલ્સ (86* રન, 47 બોલ)એ 170 રનની અણનમ ઓપનિંગ ભાગીદારી કરી. તે સમયે T20 વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 168/6 બનાવ્યા. વિરાટ કોહલીએ 50 (40 બોલ) રનની ઇનિંગ રમી. આ મેચમાં તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4000 રન પૂરા કરનાર વિશ્વનો પહેલો બેટર બન્યો. હાર્દિક પંડ્યાએ 63 (33 બોલ, 4 ચોગ્ગા અને 5 છગ્ગા) બનાવ્યા, પરંતુ પાવરપ્લેમાં મેચનો વળાંક નક્કી થઈ ગયો. ભારતે પ્રથમ 6 ઓવરમાં 38 રન બનાવ્યા, જ્યારે ઇંગ્લેન્ડે 63 રન બનાવી દીધા. નવા બોલથી ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ પ્રભાવ છોડી શક્યા નહીં. ત્યારબાદ હેલ્સને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કર્યો. તેની ઇનિંગમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા. 4. 2024: કેપ્ટન રોહિતે હિસાબ ચૂકતે કર્યો 27 જૂન 2024, ગયાનાનું પ્રોવિડન્સ સ્ટેડિયમ. 2 વર્ષ પહેલા એડિલેડમાં મળેલી 10 વિકેટની હાર હજુ તાજી હતી. ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવીને માત્ર ફાઇનલની ટિકિટ જ ન મેળવી, પરંતુ 2022ની હારનો હિસાબ પણ બરાબર કરી દીધો. ભારતની શરૂઆત સારી રહી ન હતી. વિરાટ કોહલી (9) અને રિષભ પંત (4) જલદી પેવેલિયન પરત ફર્યા. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માએ જવાબદારી સંભાળી. તેણે 39 બોલમાં 57 રન બનાવ્યા અને સૂર્યકુમાર યાદવ (47 રન) સાથે 73 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. વરસાદના વિઘ્ન વચ્ચે ભારતે 20 ઓવરમાં 171/7નો પડકારજનક સ્કોર બનાવ્યો. ઇંગ્લેન્ડે 3 ઓવરમાં 26 રન બનાવી લીધા હતા અને લયમાં દેખાઈ રહી હતી. ત્યારે જ અક્ષર પટેલે પોતાની સ્પેલના પહેલા જ બોલ પર કેપ્ટન જોસ બટલરને આઉટ કરી દીધો. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તેના પછી કુલદીપ યાદવે પણ 3 વિકેટ લીધી અને ઇંગ્લેન્ડનો મિડલ ઓર્ડર ટકી શક્યો નહીં. 172 રનના ટાર્ગેટના જવાબમાં ઇંગ્લેન્ડ 16.4 ઓવરમાં માત્ર 103 રન પર ઓલઆઉટ થઈ ગયું. સેમિફાઇનલમાં સતત ત્રીજી વાર થશે મુકાબલો T20 વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ સતત ત્રીજી વાર આમને-સામને હશે. 2022માં ઇંગ્લેન્ડે જીત મેળવી હતી, જ્યારે 2024માં ભારત વિજયી રહ્યું. હવે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને વચ્ચે બીજી સેમિફાઇનલ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

