Javed Akhtar Slams Border 2 Music; Sonu Nigam Responds to ‘Creative Drought’ Remark

Last Updated: January 25, 2026By

23 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડની આતુરતાથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ ‘બોર્ડર 2’ ફિલ્મ તેના સંગીતને લઈને ચર્ચામાં છે. દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તરે જૂના ગીતોને રીક્રિએટ કરવાની પરંપરા સામે નારાજગી વ્યક્ત કરતા ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. તેમજ રીક્રિએટેડ ગીતોને ‘સર્જનાત્મકતાનો દુકાળ’ કહ્યો હતો. હવે આ અંગે સોનુ નિગમે પ્રતિક્રિયા આપી છે.

‘સમજણ અને સર્જનાત્મક્તાનો દુકાળ છે’

તાજેતરમાં ‘ઇન્ડિયા ટુડે’ને આપેલા ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, ‘તેમણે (મેકર્સ) મને ફિલ્મ ‘બોર્ડર 2′ માટે ગીતો લખવા કહ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી. મને ખરેખર લાગે છે કે આ સમજણ અને સર્જનાત્મક દુકાળ જેવું છે. તમારી પાસે એક જૂનું ગીત છે, જે હિટ રહ્યું હતું અને હવે તમે તેમાં કંઈક ઉમેરીને તેને ફરીથી રિલીઝ કરવા માંગો છો? નવા ગીતો બનાવો, નહીંતર એ સ્વીકારો કે, તમે હવે એ સ્તરનું કામ કરી શકતા નથી.’

'બોર્ડર 2'માં 'જાતે હુએ લમ્હોં' અને 'સંદેશે આતે હૈ' ગીતો રી-ક્રિએટ કરવામાં આવ્યા છે.

‘બોર્ડર 2’માં ‘જાતે હુએ લમ્હોં’ અને ‘સંદેશે આતે હૈ’ ગીતો રી-ક્રિએટ કરવામાં આવ્યા છે.

‘અમારી પાસે પણ અસામાન્ય ગીતો હતા, છતાં અમે નવા ગીતો બનાવ્યા’

જાવેદ અખ્તરે આગળ ઉમેર્યું, ‘જે વીતી ગયું છે તેને વીતી જવા દો. તેને ફરીથી દોહરાવવાની શું જરૂર છે? અમારી સામે પણ પહેલા એક ફિલ્મ હતી, ‘હકીકત’ (1964). તેના ગીતો પણ સામાન્ય નહોતા. ભલે તે ‘કર ચલે હમ ફિદા’ હોય કે ‘મેં યે સોચકર ઉસકે દર સે ઉઠા થા’, આ બધા શાનદાર ગીતો હતા. પરંતુ અમે તેનો ફરીથી ઉપયોગ ન કર્યો. અમે નવા ગીતો લખ્યા, તદ્દન અલગ ગીતો બનાવ્યા અને લોકોને તે પણ પસંદ આવ્યા.’

‘ક્યાં સુધી વિતેલા ગૌરવના સહારે જીવતા રહીશું?’

અંતમાં જાવેદ અખ્તરે કહ્યું, ‘હવે જ્યારે તમે ફરીથી ફિલ્મ બનાવી રહ્યા છો, તો નવા ગીતો બનાવો. ભૂતકાળ પર શા માટે નિર્ભર રહેવું? આવું કરીને તમે પોતે જ સ્વીકારી રહ્યા છો કે, હવે અમે એવું કામ નથી કરી શકતા. આવી રીતે તો આપણે માત્ર વિતેલા ગૌરવના સહારે જ જીવતા રહીશું.’

થોડા સમય પહેલા જ જાવેદ અખ્તરે દિવ્ય ભાસ્કર સાથે ‘બોર્ડર 2’ ના ગીતો વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘ગીતોનું કોઈ નવું વર્ઝન આવ્યું છે, મેં હજુ સુધી સાંભળ્યું નથી. મેં સાંભળ્યું છે કે તેમાં કેટલાંક નવા અંતરા લખવામાં આવ્યા છે.’

'બોર્ડર 2' એ 1997ની ફિલ્મ 'બોર્ડર'ની રીમેક છે.

‘બોર્ડર 2’ એ 1997ની ફિલ્મ ‘બોર્ડર’ની રીમેક છે.

સોનુ નિગમે જાવેદ અખ્તરના નિવેદન પર પ્રતિક્રિયા આપી

હવે, ‘બોર્ડર’ અને ‘બોર્ડર 2’ના ગીતો ગાનારા સિંગર સોનુ નિગમે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, ‘બોર્ડર આપણા સરહદી વીરોની વાસ્તવિક જીવનની વાર્તાઓ, આપણી વિજય ગાથાઓની એક ફ્રેન્ચાઇઝી ધરાવે છે. આને મોટી સફળતા બનાવવા માટે આખી ટીમે ખરેખર ખૂબ જ મહેનત કરી છે.’

‘બોર્ડર સૈનિક છે, તો સંદેશે આતે હૈ તેનો યુનિફોર્મ છે’

જાવેદ અખ્તરના નિવેદનને ટાંકીને સોનુ નિગમે કહ્યું કે, ‘તે એકદમ સાચું છે કે આપણે નવા હિટ ગીતો બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ ‘જો ‘બોર્ડર’ એક સૈનિક છે, તો ‘સંદેશે આતે હૈં’ તેનો યુનિફોર્મ છે’, ઉપરાંત જાવેદ સાહેબ અમારા ગુરુ છે અને તેમને જાણીને આનંદ થશે કે ‘મિટ્ટી કે બેટે’ ‘બોર્ડર 2’ તરફથી આપણા સૈનિકો અને દરેક ભારતીય માટે એક ભેટ છે.