Neymars 2026 World Cup Dream Fades; Brazil FA Dispute Deepens
3 કલાક પેહલા
- કૉપી લિંક
નેમારનું 2026 વર્લ્ડ કપ રમવાનું સપનું લગભગ સમાપ્ત: બ્રાઝિલ ફૂટબોલ ફેડરેશન સાથે વિવાદ વધુ ઘેરો બન્યો; એન્સેલોટીને પણ મળ્યા નથી, ફિટનેસ પર પણ સવાલ
નેમાર જુનિયરની 2026 ફીફા વર્લ્ડ કપમાં રમવાની આશાઓ હવે લગભગ સમાપ્ત થતી દેખાઈ રહી છે. નેમારે પહેલા સંકેત આપ્યા હતા કે આ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે, પરંતુ બ્રાઝિલ ફૂટબોલ ફેડરેશન (CBF) સાથે વધતા તણાવને જોતા આવું શક્ય બનતું દેખાઈ રહ્યું નથી.
સીએનએન બ્રાઝિલના રિપોર્ટ અનુસાર, CBFના આંતરિક સૂત્રોનું કહેવું છે કે નેમારની ટીમમાં પસંદગી હવે “અત્યંત જટિલ” બની ગઈ છે અને તે લગભગ અશક્ય જેવું લાગે છે.
વોર્મ-અપ મેચોમાંથી બહાર, વીડિયોમાં વ્યક્ત કરી નિરાશા
થોડા દિવસો પહેલા જ બ્રાઝિલના કોચ કાર્લો એન્સેલોટીએ આગામી વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ (ફ્રાન્સ અને ક્રોએશિયા સામે) માટે ટીમની જાહેરાત કરી હતી, જેમાં નેમારનું નામ નહોતું. નેમારે સાઓ પાઉલોમાં એક ઇવેન્ટમાં કહ્યું કે તેઓ નિરાશ અને દુઃખી છે. તેમણે એક વીડિયો જાહેર કરીને પોતાની ફિટનેસ પર કામ કરવાની અને ટીમમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ CBFની અંદર આ પ્રતિક્રિયાને સારી રીતે લેવામાં આવી નહોતી.
કોચ કાર્લો એન્સેલોટીનું અપમાન ભારે પડ્યું
તાજેતરમાં એક એવી ઘટના બની જેણે નેમારના ટીમમાં પાછા ફરવાના રસ્તા લગભગ બંધ કરી દીધા. બ્રાઝિલના હેડ કોચ કાર્લો એન્સેલોટી ખાસ કરીને નેમારની રમત જોવા માટે સાન્તોસ FC અને મિરાસોલ વચ્ચેની મેચ જોવા પહોંચ્યા હતા. એન્સેલોટીએ આ માટે પ્રાઇવેટ જેટ લીધું અને છેલ્લી ઘડીએ મુસાફરી કરી જેથી તેઓ નેમારની ફિટનેસનું મૂલ્યાંકન કરી શકે. જોકે, નેમાર તે મેચમાં ‘વર્કલોડ મેનેજમેન્ટ’નું કારણ આપીને રમ્યા નહીં. એટલું જ નહીં, તેમણે કોચને મળવાની કે તેમની સાથે વાત કરવાની પણ કોઈ કોશિશ કરી નહીં. બોર્ડ આને અનુશાસનહીનતા અને પ્રતિબદ્ધતાનો અભાવ માની રહ્યું છે.

બ્રાઝિલના હેડ કોચ કાર્લો એન્સેલોટીએ કહ્યું કે નેમાર હજુ 100 ટકા ફિટ નથી.
ફિટનેસ અને સાન્તોસ FC માટે ખરાબ પ્રદર્શન
નેમારની ફિટનેસ લાંબા સમયથી ટીમ માટે ચિંતાનો વિષય બની રહી છે. સાન્તોસ FC માટે રમતી વખતે પણ તેઓ સતત ઈજાગ્રસ્ત રહ્યા છે અને મેદાન પર ઓછા જોવા મળ્યા છે. 2023માં ઘૂંટણની ગંભીર ઈજા પછી તેઓ નિયમિતપણે મેચ રમી શક્યા નથી. CBFના અધિકારીઓનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી ટુર્નામેન્ટ માટે જે મેચ ફિટનેસની જરૂર હોય છે, નેમાર હાલમાં તેના નજીક પણ નથી. વારંવાર થતી ઈજાઓને કારણે બોર્ડનો તેમના પરનો વિશ્વાસ પણ થોડો ઓછો થયો છે.
બ્રાઝિલના કોચ કાર્લો એન્સેલોટીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નેમાર વર્લ્ડ કપ ટીમનો ભાગ બની શકે છે, પરંતુ તેના માટે તેમનું 100% ફિટ હોવું જરૂરી છે. હાલમાં તેઓ સંપૂર્ણપણે ફિટ નથી, તેથી તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. એન્સેલોટીએ એમ પણ કહ્યું કે નેમારે તાલીમ અને મેચ રમીને પોતાની ફિટનેસ અને પ્રદર્શન દ્વારા પોતાને સાબિત કરવું પડશે.
શું હજુ પણ વાપસીની કોઈ આશા છે?
જોકે, નેમાર પાસે હજુ સાન્તોસ માટે આ સિઝનમાં કેટલીક મેચો બાકી છે, જ્યાં તેઓ પોતાની ફોર્મ અને ફિટનેસ સાબિત કરી શકે છે. પરંતુ ફેડરેશનની અંદર ચાલી રહેલી ચર્ચાઓને જોતાં, તેમની વાપસી કોઈ ચમત્કારથી ઓછી નહીં હોય. જાણકારોનું કહેવું છે કે કોચ અને ફેડરેશન હવે યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને નેમારના વર્તને તેમની સ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. 34 વર્ષીય નેમાર બ્રાઝિલના ઓલ-ટાઇમ ટોપ સ્કોરર છે (79 ગોલ), પરંતુ ઇજાઓએ તેમની કારકિર્દીને અસર કરી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


