RBI Report: Indias Growth Strong Amid Global Crisis

Last Updated: May 29, 2026By

નવી દિલ્હી4 કલાક પેહલા

  • કૉપી લિંક

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ શુક્રવારે તેનો વર્ષ 2025-26 નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં ચાલી રહેલા તણાવ અને આર્થિક અનિશ્ચિતતાઓ છતાં વર્ષ 2026-27 માં ભારતીય અર્થતંત્રની ગતિ મજબૂત રહેશે. આ સમયગાળા દરમિયાન દેશનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 6.9% રહેવાનો અંદાજ છે.

કેન્દ્રીય બેંકે જણાવ્યું કે ભારતના મજબૂત ફંડામેન્ટલ્સ, સતત જળવાઈ રહેલી ઘરેલું માગ, નિકાસ પર ઓછી નિર્ભરતા અને સ્થિર નીતિગત વાતાવરણને કારણે ભારતીય અર્થતંત્ર પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો મક્કમતાથી સામનો કરવામાં સક્ષમ છે.

વિશ્વ માટે સૌથી મોટો ખતરો જિયોપોલિટિકલ તણાવ

RBI એ વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે વર્ષ 2026 માં જિયોપોલિટિકલ જોખમો વિશ્વના આર્થિક વિકાસ માટે સૌથી મોટો અવરોધ બની ગયા છે. ખાસ કરીને ફેબ્રુઆરી 2026 માં શરૂ થયેલા પશ્ચિમ એશિયા સંકટે વિશ્વના વિકાસ દર અને મોંઘવારીના અંદાજોને નોંધપાત્ર રીતે પ્રભાવિત કર્યા છે.

રિપોર્ટમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના બેઝલાઇનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ, વૈશ્વિક અર્થતંત્રનો વૃદ્ધિ દર વર્ષ 2026માં ઘટીને 3.1% રહેવાનો અંદાજ છે, જે અગાઉ 3.3% આંકવામાં આવ્યો હતો.

તેવી જ રીતે, વૈશ્વિક વેપાર (ગ્લોબલ ટ્રેડ)નો વૃદ્ધિ દર પણ ધીમો પડીને 2.8% પર આવવાની આશંકા છે. RBIએ ચેતવણી આપી છે કે જો આ તણાવ આગળ વધશે, તો વૈશ્વિક આર્થિક આઉટલુક વધુ નબળો પડી શકે છે.

2026માં મોંઘવારી દર 4.4% થવાનો અંદાજ

કેન્દ્રીય બેંકે વિશ્વભરમાં વધતી મોંઘવારીના જોખમો તરફ પણ ઇશારો કર્યો છે. એનર્જીની વધતી કિંમતો અને સપ્લાય ચેઇનમાં આવી રહેલી અડચણોને કારણે વૈશ્વિક સ્તરે કિંમતોનું દબાણ ઘણું વધારે છે. વર્ષ 2026માં વૈશ્વિક મોંઘવારી દર 4.4% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જે અગાઉના 3.8%ના અંદાજ કરતાં વધુ છે.

RBIનું માનવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિઓ વધુ બગડશે, તો શેરબજાર (ઇક્વિટી માર્કેટ્સ)માં મોટો ઘટાડો અને ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

4 કારણોસર ભારતની મજબૂત વૃદ્ધિ જળવાઈ રહેશે

તમામ વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં, કેન્દ્રીય બેંકે ભારતના આર્થિક ભવિષ્ય અંગે સકારાત્મક દૃષ્ટિકોણ રાખ્યો છે. આ માટે મુખ્યત્વે 4 કારણોને જવાબદાર ગણવામાં આવ્યા છે…

  • કોર્પોરેટ સેક્ટર અને બેંકોની બેલેન્સ શીટ અત્યંત મજબૂત સ્થિતિમાં છે.
  • સરકાર દ્વારા સતત કેપિટલ એક્સપેન્ડિચર વધારવામાં આવી રહ્યું છે.
  • દેશ પાસે પર્યાપ્ત માત્રામાં ફૂડ સ્ટોક ઉપલબ્ધ છે.
  • કૃષિ ઉત્પાદન સ્થિર રહ્યું છે.

આરબીઆઈએ આશા વ્યક્ત કરી છે કે જો પશ્ચિમ એશિયા સંકટની અસર મર્યાદિત રહેશે, તો ભારતને 6.9% ની વૃદ્ધિ હાંસલ કરવામાં કોઈ મોટી અડચણ નહીં આવે. જોકે, વૈશ્વિક ઉથલપાથલને કારણે નીચેની તરફ જોખમો હજુ પણ યથાવત છે.

નાણાકીય વર્ષ-27માં મોંઘવારી દર 4.6% રહેવાની અપેક્ષા

  • રિપોર્ટ અનુસાર, દેશના મજબૂત ફૂડ સ્ટોક અને સ્થિર કૃષિ ઉત્પાદનના જોરે ભારતમાં મોંઘવારી નિર્ધારિત લક્ષ્યના દાયરામાં જ રહેવાની શક્યતા છે.
  • નાણાકીય વર્ષ 2026-27 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત મોંઘવારી દર 4.6% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જોકે, તેમાં થોડો વધારો થવાનું જોખમ રહેશે.
  • આ જોખમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને રૂપિયામાં થતી વધઘટને કારણે આવી શકે છે.

ચોમાસા પર અલ નીનોનો પડછાયો, નવા લેબર કોડથી ઉત્પાદકતા વધશે

કૃષિ ક્ષેત્ર અંગેના અહેવાલમાં જણાવાયું છે કે દેશનું ફાર્મ આઉટપુટ મોટાભાગે ચોમાસા પર નિર્ભર રહેશે. આ વર્ષે અલ નીનોને કારણે ચોમાસાને લઈને કેટલાક જોખમો ઊભા થઈ શકે છે, પરંતુ વર્ષના અંતમાં ઇન્ડિયન ઓશન ડિપોલથી કૃષિ ક્ષેત્રને ટેકો મળવાની અપેક્ષા છે.

આ સાથે દેશના લેબર માર્કેટમાં પણ મોટા સુધારાની અપેક્ષા રાખવામાં આવી છે. નવા લેબર કોડ લાગુ થવાથી રોજગારની સ્થિતિમાં સુધારો થશે, જેનાથી માત્ર લોકોની ખર્ચ કરવાની ક્ષમતા જ નહીં વધે પરંતુ દેશની એકંદર ઉત્પાદકતામાં પણ વધારો થશે.

વિદેશી વેપાર અને બેંકિંગ સિસ્ટમની સ્થિતિ સ્થિર

બાહ્ય ક્ષેત્રોના પ્રદર્શન પર RBIએ જણાવ્યું છે કે ભારતના સર્વિસિસ એક્સપોર્ટ, વિદેશોમાંથી આવતા પૈસા (રેમિટન્સ) અને વિવિધ દેશો સાથે થયેલા નવા ટ્રેડ એગ્રીમેન્ટ્સના આધારે દેશનું કરંટ એકાઉન્ટ બેલેન્સ ખૂબ જ મજબૂત સ્થિતિમાં રહેશે. જોકે, ભારતીય બજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)નું રોકાણ આ વાત પર નિર્ભર કરશે કે વૈશ્વિક સ્તરે રોકાણકારોનું વલણ કેવું રહે છે.

કેન્દ્રીય બેંકે દેશના બેંકિંગ સેક્ટરને લઈને પણ આશ્વસ્ત કર્યા છે. રિપોર્ટ અનુસાર, ભારતીય બેંકિંગ પ્રણાલી સંપૂર્ણપણે સ્થિર છે અને બેંકો પાસે પર્યાપ્ત કેપિટલ બફર ઉપલબ્ધ છે, જેનાથી તેઓ કોઈપણ નાણાકીય સંકટનો સામનો કરી શકે છે. જોકે વૈશ્વિક તણાવ અને માર્કેટ વોલેટિલિટીને કારણે શોર્ટ-ટર્મ જોખમો સતત ચાલુ રહેશે.

શું હોય છે ‘રિયલ જીડીપી ગ્રોથ’?

દેશની સીમાઓની અંદર ઉત્પાદિત કુલ વસ્તુઓ અને સેવાઓના મૂલ્યમાં મોંઘવારીની અસરને દૂર કરીને (આધાર વર્ષની કિંમતો પર) જે વાસ્તવિક વૃદ્ધિ નોંધવામાં આવે છે, તેને રિયલ જીડીપી ગ્રોથ કહે છે.

શું છે ‘અલ નીનો’ અને ‘ઇન્ડિયન ઓશન ડાયપોલ’?

  • આ ભૂગોળ અને કૃષિ સાથે સંકળાયેલ શબ્દ છે. અલ નીનો પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટી ગરમ થવાની ઘટના છે જેના કારણે ભારતમાં નબળા ચોમાસાની શક્યતા રહે છે.
  • જ્યારે ઇન્ડિયન ઓશન ડાયપોલ હિંદ મહાસાગરના તાપમાનમાં ફેરફાર સાથે સંકળાયેલું છે, જે અનુકૂળ હોય ત્યારે ભારતમાં સારા ચોમાસા અને વરસાદમાં મદદ કરે છે.

Leave A Comment