RCBની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમી શકશે:બેંગલુરુમાં 5 હોમ મેચ, રાયપુરમાં 2 મેચ રમાશે; વિક્ટ્રી સેલિબ્રેશનમાં 11 લોકોના જીવ ગયા હતા

Last Updated: March 3, 2026By

ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ફરી એકવાર પોતાના ઘરઆંગણે પરત ફરશે. ટીમ IPL 2026માં પોતાની સાત હોમ મેચોમાંથી પાંચ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે, જ્યારે બાકીની બે મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે તેની જાહેરાત કરી. ગયા સીઝનમાં પહેલીવાર ખિતાબ જીત્યા બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલા વિક્ટરી સેલિબ્રેશન દરમિયાન થયેલી ભાગદોડમાં 11 ચાહકોના જીવ ગયા હતા. આ ઘટના બાદ આ મેદાન પર મેચ યોજવા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી. સોમવારે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો સોમવારે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન અને ફ્રેન્ચાઇઝી અધિકારીઓ વચ્ચે લાંબી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCIને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે અને IPL શેડ્યૂલની જાહેરાત આ અઠવાડિયે થઈ શકે છે. સંભાવના છે કે 28 માર્ચે સીઝનની પહેલી મેચ પણ ચિન્નાસ્વામીમાં રમાશે. અકસ્માત બાદ પહેલીવાર મોટી મેચની યજમાની ગયા વર્ષે ખિતાબ જીતવાના જશ્ન દરમિયાન થયેલી દુઃખદ ઘટના બાદથી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ પણ મોટી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમાઈ ન હતી. આ મેદાન પર ન તો રણજી ટ્રોફીની મેચ થઈ, ન તો વિજય હઝારે ટ્રોફી કે મહારાજા ટ્રોફી (KSCA T20)ના મુકાબલા આયોજિત કરવામાં આવ્યા. સુરક્ષા કારણો અને તપાસના કારણે લાંબા સમયથી આ વેન્યુ પર સસ્પેન્સ હતું, જે હવે સમાપ્ત થઈ ગયું છે. ડી’કુન્હા કમિટીએ અસુરક્ષિત ગણાવ્યું હતું વુમન્સ વર્લ્ડ કપના સમયે જસ્ટિસ ડી’કુન્હા કમિટીએ પણ આ ગ્રાઉન્ડને મોટા આયોજનો માટે અસુરક્ષિત ગણાવ્યું હતું. આ વર્ષે RCBની પ્રથમ IPL ટ્રોફી જીત્યા બાદ સ્ટેડિયમમાં વિક્ટ્રી પરેડ થઈ હતી. પરંતુ તેની બહાર ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. સુરક્ષા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરાયેલા ફેરફારો ફ્રેન્ચાઇઝી અનુસાર, IPL સિઝન પહેલાં સ્ટેડિયમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા ઉપાયોને સુધારવા માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવ્યા છે. આ જ કારણોસર ડિફેન્ડિંગ ચેમ્પિયનને તેની મોટાભાગની હોમ મેચ બેંગલુરુમાં રમવાની મંજૂરી મળી શકી છે. ટીમે જણાવ્યું કે રાયપુરમાં બે મેચ રમવી એ તેમની જૂની પ્રતિબદ્ધતાનો ભાગ છે. RCBએ સરકારને ખાતરી આપી RCBએ નિવેદન જારી કરીને કહ્યું કે તમામ સંબંધિત વિભાગો સાથે સંકલન અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી બેંગલુરુમાં મેચ યોજવાની મંજૂરી મળી છે. અમે ખાતરી આપી કે આ પ્રકારની ઘટના ફરીથી નહીં બને. રાજ્ય સરકાર, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન અને કર્ણાટક પોલીસનો સહયોગ રહ્યો. સુરક્ષા અને માળખાકીય સુવિધાઓ સંબંધિત વ્યવસ્થા પણ પૂર્ણ કરવામાં આવી છે. બેંગલુરુમાં નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા IPL 2025નો ખિતાબ જીત્યા પછી RCBએ 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટ્રોફી સેલિબ્રેશન રાખ્યું હતું, પરંતુ ખરાબ આયોજન અને ભીડ નિયંત્રણના અભાવને કારણે પરિસ્થિતિ વણસી ગઈ હતી. આ દરમિયાન થયેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. કર્ણાટક સરકારના રિપોર્ટમાં દુર્ઘટના માટે RCBને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. તેમાં કોહલીનો પણ ઉલ્લેખ હતો. કર્ણાટક સરકારે કહ્યું કે RCBએ ચિન્નાસ્વામીમાં આયોજિત વિક્ટ્રી પરેડ માટે સરકાર પાસેથી કોઈ મંજૂરી લીધી ન હતી.