Surat Congresss Peoples Manifesto for the Municipal Corporation elections promises of 50 percent relief in property tax and 10 thousand permanent recruitments | Gujarat News

Last Updated: April 6, 2026By

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા કબજે કરવા કોંગ્રેસે મજબૂત દાવ ખેલ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શહેરની મુખ્ય સમસ્યાઓ અને મધ્યમ વર્ગને સ્પર્શતા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર

કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો તેઓ સત્તા પર આવશે તો મનપામાં ખાલી પડેલી 10 હજારથી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત, મહિલાઓના નામે રજિસ્ટર મિલકત વેરામાં 50 ટકા સીધી રાહત આપવાનું મોટું વચન આપ્યું છે. શહેરને લટકતા વાયરોથી મુક્ત કરવા, તાપી શુદ્ધિકરણ માટે અલગ બજેટ અને ખાડી પૂરની કાયમી સમસ્યા હલ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, 37 વર્ષના શાસનમાં માત્ર વાતો જ થઈ છે, વાસ્તવિક પ્રજાલક્ષી કામો થયા જ નથી.

મનપામાં ખાલી પડેલી જગ્યાઓ ભરતી 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાવનગર શહેર ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. વોર્ડ નંબર 3 (વડવા ‘બ’) ના ભાજપના મહિલા નગરસેવિકા સેજલબેન ગોહેલ આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા સેજલબેને પક્ષ સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કે પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઉપેક્ષાથી નારાજ થઈને તેમણે પક્ષનો ત્યાગ કર્યો છે, જે ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકાcમાં વિવાદ 

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રારંભ પૂર્વે જ મતદાર યાદીને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના નેતાઓ વશરામ સાગઠિયા અને પૂર્વ નગરસેવક મકબૂલ દાઉદાનીએ વોર્ડ નંબર 15 માં મતદાર યાદીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. કલેક્ટરને કરવામાં આવેલી લેખિત ફરિયાદ મુજબ, એક ચોક્કસ બૂથમાં જ્યાં તમામ મતદારો એક જ કોમના છે, ત્યાં અચાનક અન્ય ચાર પરિવારોના નામ ખોટી રીતે ઉમેરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે આને સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવેલી ‘ઘૂસણખોરી’ ગણાવી છે અને કલેક્ટર પાસે આ નામો તાત્કાલિક દૂર કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: Surat: લગ્નના એક વર્ષમાં જ નવદંપતીએ કરી આત્મહત્યા, કારણ શોધવા પોલીસની તપાસ