'ભારતે વાયદાઓ તોડ્યા, શરતો બદલી':ભારતીય મંત્રીનું વલણ ખરાબ હતું, બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જાપાની પૂર્વ મંત્રીએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા

Last Updated: July 17, 2026By

ભારત-જાપાનના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જાપાનના પૂર્વ ન્યાય મંત્રી હિદેકી માકિહારાએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે પ્રોજેક્ટ મોડો થવાનું સૌથી મોટું કારણ ભારતીય મંત્રીનું વલણ રહ્યું. માકિહારાએ કહ્યું કે તેઓ પોતે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રહ્યા છે અને જાપાની ટીમે પૂરી મહેનતથી કામ કર્યું, પરંતુ અપેક્ષા મુજબના પરિણામો મળ્યા નથી. તેમના મતે, ભારતીય પક્ષે ઘણી વખત કરેલા વાયદા પૂરા કર્યા નથી. કરારો કર્યા, પછી તેમાંથી પાછા હટી ગયા. છેલ્લી ઘડી સુધી પોતાની રીતે શરતો બદલતા રહ્યા. આ જ કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધી શક્યો નથી. ‘વડાપ્રધાનના પ્રવાસથી પણ કોઈ પરિણામ આવ્યું નથી’ માકિહારાના મતે, વડાપ્રધાનના પ્રવાસથી પણ કોઈ પરિણામ આવ્યું નથી. ખરેખરમાં, જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચી 1-3 જુલાઈ 2026ના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન બંને દેશોએ 129 કરારોની જાહેરાત કરી હતી. આ કરારોનો હેતુ રોકાણ, ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને સપ્લાય ચેઇન સહયોગને મજબૂત કરવાનો છે.
માકિહારાએ પોતાની પોસ્ટમાં ટોયો કેઇઝાઇ ઓનલાઇનનો એક રિપોર્ટ પણ શેર કર્યો. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે બુલેટ ટ્રેનના સૌથી મહત્વપૂર્ણ સેફ્ટી સિસ્ટમ (સિગ્નલિંગ સિસ્ટમ)માં જાપાનને સામેલ કરવામાં આવ્યું નથી. તેમણે દાવો કર્યો કે તેમને 100% ખાતરી છે કે આ પ્રોજેક્ટ આગળ ન વધી શકવાની સંપૂર્ણ જવાબદારી ભારતીય પક્ષની છે. જોકે, ભારત સરકાર કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ તરફથી હાલમાં આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. 2017માં શરૂ થયો હતો પ્રોજેક્ટ દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ અમદાવાદમાં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. બંને શહેરો વચ્ચે 508 કિમીનું અંતર બુલેટ ટ્રેન ત્રણ કલાકમાં કાપશે. હાલમાં સામાન્ય ટ્રેનથી આ મુસાફરી પૂર્ણ કરવામાં સાત-આઠ કલાક લાગે છે. આ રૂટ પર 12 સ્ટેશનો મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી હોઈ શકે છે. આમાંથી મુંબઈ સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં ₹88 હજાર કરોડનું જાપાની રોકાણ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાનો અંદાજિત ખર્ચ આશરે ₹2 લાખ કરોડ છે. તેમાંથી લગભગ ₹88 હજાર કરોડ જાપાન આપી રહ્યું છે. આ પૈસા જાપાનની સરકારી એજન્સી JICA ખૂબ જ સસ્તી શરતો પર આપી રહી છે. આ લોન પર માત્ર 0.1% વાર્ષિક વ્યાજ લાગશે, તેને ચૂકવવા માટે 50 વર્ષ મળશે અને પહેલા 15 વર્ષ સુધી હપ્તો ચૂકવવો પડશે નહીં. જાપાને અત્યાર સુધી આ પરિયોજના માટે 1,150 અબજ યેન (લગભગ ₹55 હજાર કરોડ) મંજૂર કર્યા છે. આ ઉપરાંત, તે બુલેટ ટ્રેનની શિંકનસેન ટેકનોલોજી, તાલીમ અને તકનીકી નિપુણતા પણ ભારતને ઉપલબ્ધ કરાવી રહ્યું છે. રૂટનો 7 કિમીનો ભાગ સમુદ્રની અંદર હશે 508 કિમીના રૂટમાંથી 351 કિમીનો ભાગ ગુજરાત અને 157 કિમીનો ભાગ મહારાષ્ટ્રમાંથી પસાર થશે. કુલ 92% એટલે કે 468 કિમી લાંબો ટ્રેક એલિવેટેડ રહેશે. મુંબઈમાં 7 કિમીનો હિસ્સો સમુદ્રની અંદર હશે. 25 કિમીનો રૂટ સુરંગમાંથી પસાર થશે. 13 કિમીનો હિસ્સો જમીન પર હશે. બુલેટ ટ્રેન 70 હાઈવે, 21 નદીઓ પાર કરશે. 173 મોટા અને 201 નાના બ્રિજ બનશે. શરૂઆત 10 કોચવાળી 35 બુલેટ ટ્રેનોથી થશે. આ ટ્રેનો રોજ 70 ફેરા લગાવશે. એક બુલેટ ટ્રેનમાં 750 લોકો બેસી શકશે. બાદમાં 1200 લોકો માટે 16 કોચ થઈ જશે. 2050 સુધીમાં આ ટ્રેનોની સંખ્યા વધારીને 105 કરવાનો પ્લાન છે.

Leave A Comment